ભારત-ચીન સીમાવિવાદ : આજે બેઉ દેશો વચ્ચે સૈન્ય સ્તરની બેઠક - TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારત અને ચીનના સૈન્યના કોર્પ્સ કમાન્ડર વચ્ચે મંગળવારે સવારે બેઠક નિર્ધારિત છે.

ચુસુલ બોર્ડર પૉઇન્ટ ખાતે મળી રહેલી આ બેઠકમાં બંને દેશો વચ્ચે વાતચીત લદ્દાખમાં લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ (LAC)પર તણાવ ઘટાડવા અંગે વાતચીત થશે છે.

ગલવાન ઘાટી સૈન્ય સંઘર્ષમાં ભારતના 20 સૈનિકોનાં મૃત્યુ થયા એ પછી બેઉ દેશો વચ્ચે તણાવ વધ્યો છે.

6 જૂન 6 અને 22 જૂને થયેલી બેઠક ચીની સરહદમાં આવેલા મોલ્ડોમાં થઇ હતી, જ્યારે ત્રીજી બેઠક ચુસુલ બોર્ડર પોઇન્ટ ખાતે થઈ રહી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના અહેવાલ પ્રમાણે ભારતના XIV કૉર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ અને ચીનના દક્ષિણ શિનજિયાંગ મિલિટરી રિજિયોનલ કમાન્ડર મેજર જનરલ લિયુ લિન વચ્ચે આ ત્રીજી બેઠક હશે.

પાછલી બેઠકમાં બંને દેશઓ વચ્ચેના કૉર્પ્સ કમાન્ડર્સ ગલવાન ઘાટી જેવા ઘર્ષણના સ્થળો વિશે ચર્ચા કરી પરસ્પર સહમતીથી પાછળ ખસવા પર સહમત થયા હતા. એ પછી છેલ્લી બેઠકમાં સ્પ્રિંગ્સ અને પેન્ગોન્ગ ત્સો પાસે તણાવની સ્થિતિને દૂર કરવા આગામી બેઠકમાં ચર્ચા કરવા સહમતી થઈ હતી.

અહેવાલ અનુસાર આર્મીના સૂત્રો જણાવી રહ્યા છે કે ચીનની સેનાએ પેન્ગોન્ગ ત્સો અને ગલવાન ઘાટી પાસે માળખાકીય સુવિધાઓનાં બાંધકામની ગતિવિધિ કરી છે તો કારાકોરમ ઘાટ પાસે ભારતના મહત્વના મિલિટરી બેઝ દૌલત બેગ ઓલ્ડીની નજીક દીપસંગ પ્લેઇન્સમાં ઘૂસણખોરી પણ કરી છે. જોકે, ભારત સરકાર ચીને કોઈ વિસ્તાર કબજે કર્યો હોવાનું નકારે છે.

ચીનના સૈન્યની આ જમાવટની બરાબરી માટે ભારતીય વાયુ સેનાએ પણ લદ્દાખમાં વધારાની હવાઇ સુરક્ષા ટુકડીઓ મોકલી છે અને સેનાની વધુ ટુકડીઓ પણ આ વિસ્તારમાં તૈનાત કરાઇ છે.

ચાર રફાલ વિમાનોનો પહેલો બૅચ જુલાઈમાં ભારત પહોંચશે

ચીન સાથેની સરહદ પર તણાવ વચ્ચે ફ્રાંસ તરફથી ભારતને ચાર રફાલ ફાઇટર જેટ જુલાઈના અંતમાં મળી જશે.

ધ હિંદુ અખબારના અહેવાલ પ્રમાણે ચાર રફાલ વિમાનોનો પહેલો જથ્થો ફ્રાંસથી 27 જુલાઈએ રવાના થશે. આ સાથે જ વધુ એક ઍરક્રાફ્ટની પણ ડિલિવરી કરવામાં આવી શકે છે પરંતુ એ વિશે હજુ અનિશ્ચિતતા છે એમ અહેવાલ જણાવે છે.

અગાઉ ફ્રાંસથી ચાર રફાલ વિમાનોનો પહેલો જથ્થો મે મહિનામાં ભારત આવવાનો હતો પરંતુ કોરોના વાઇરસની મહામારીને કારણે એમાં મોડું થયું અને હવે એને જુલાઈમાં મોકલવાનું નક્કી થયું છે.

સપ્ટેમ્બર 2016માં ભારત સરકારે ફ્રાંસ સાથે 36 રફાલ મલ્ટિ-રોલ ફાઇટર જેટ વિમાનો ખરીદવાનો 7.87 બિલિયન યુરોનો સોદો કર્યો હતો. રફાલ વિમાન સોદાને લઈને સરકાર પર ગેરરીતિના પણ આરોપ લાગ્યા હતા જેમાં સુપ્રીમ કોર્ટે ગેરરીતિનો દાવો ફગાવ્યો હતો.

બંને દેશો વચ્ચેના કરાર પ્રમાણે 36 મહિના બાદથી ડિલિવરી શરુ થશે અને 67 મહિનામાં તે પૂર્ણ થશે.

અમદાવાદમાં GTUની પરીક્ષા સામે વિરોધપ્રદર્શન

ગુજરાત ટેકનૉલૉજિકલ યુનિવર્સિટી(GTU)ના 2જી જુલાઈએ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાના નિર્ણયનો નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા(NSUI)એ વિરોધ કર્યો છે.

અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે NSUIના સભ્ય વિદ્યાર્થીઓએ GTUના વાઇસ-ચાન્સેલર નવીન શેઠના નિવાસસ્થાનની બહાર પોતાનો વિરોધ વ્યક્ત કરી તેમના પૂતળાનું દહન કર્યું હતું અને માગ કરી હતી કે હાલના મહામારીના સમયમાં પરીક્ષાઓ લેવામાં ન આવે.

પોલીસે ઘટના સ્થળે પહોંચી વાઇસ ચાન્સલર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરી રહેલા NSUIના સભ્યોની અટકાયત કરી હતી.

GTUએ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઑનલાઇન, ઑફલાઇન અને વિશેષ પરીક્ષા એમ ત્રણ વિકલ્પો આપ્યા છે. જોકે, વિદ્યાર્થીઓ ઑનલાઇન અને વિશેષ પરીક્ષાના વિકલ્પોનો વિરોધ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓ મતે વર્ણાનાત્મક જવાબો ઑનલાઇન પરીક્ષામાં આપવા શક્ય નથી જ્યારે સપ્ટેમ્બરમાં નિર્ધારિત કરાયેલી વિશેષ પરીક્ષા ઘણી મોડી કહેવાય અને એનાથી કોઈ હેતુ નહીં સરે. વિદ્યાર્થીઓનો એક વર્ગ મેરિટને આધારે પાસ કરી દેવાની માગ કરી રહ્યો છે.

GTUના વાઇસ ચાન્સેલર નવીન શેઠે કહ્યું કે યુનિવર્સિટી UGCની ગાઇડ લાઇન્સ પ્રમાણે જ પરીક્ષા આયોજિત કરી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો