કોરોના વાઇરસ : કોરોના વાઇરસના દિલ્હીમાં જુલાઈ સુધીમાં સાડા પાંચ લાખ કેસ થશે : મનીષ સિસોદિયા

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે રાજધાની દિલ્હીમાં 31 જુલાઈ સુધી કોરોના વાઇરસના સંક્રમણના કેસની સંખ્યા સાડા પાંચ લાખ થઈ શકે છે અને હૉસ્પિટલોમાં 80 હજાર પથારીઓની જરૂર પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની હૉસ્પિટલોની પથારીઓ અને સારવારને લઈને રાજકીય ચર્ચા ચાલી રહી છે.

દિલ્હીની હૉસ્પિટલોમાં દિલ્હીવાસીઓનો જ ઇલાજ થશે એ મતલબના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના નિર્ણયને એલજી અનિલ બૈજલે સોમવારે બદલી દીધો છે.

દિલ્હીમાં હૉસ્પિટલોમાં સારવાર માટે દિલ્હીવાસીઓ માટે પથારીઓ અનામત રાખવાને લઈ રાજકીય ખેંચતાણ તેજ થઈ ગઈ છે.

આ દરમિયાન દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દર જૈને સોમવારે કહ્યું હતું કે દિલ્હીમાં જૂન મહિનાના અંત સુધીમાં હૉસ્પિટલોમાં 15 હજારથી 17 હજાર પથારીઓ ઉમેરવાની જરૂર પડશે.

દિલ્હીમાં કેસોની વધી રહેલી સંખ્યાને જોતા આ સ્થિતિ કૉમ્યુનિટી ટ્રાન્સિશનની છે કે નહીં તેની વિગતવાર ચર્ચા કરવા આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ થઈ હતી.

કૉમ્યુનિટી ટ્રાન્સમિશનના મુદ્દે પણ ખેંચતાણ

દિલ્હીમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશન છે કે નહીં તે મુદ્દે ચર્ચા કરવા માટે આજે દિલ્હી ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટીની પૂર્વ નિર્ધારિત બેઠક દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનિષ સિસોદિયાના અધ્યક્ષસ્થાને મળી.

બેઠક પૂર્ણ થયા બાદ મનિષ સિસોદિયાએ પત્રકારોને કહ્યું કે કેન્દ્ર સરકારના અધિકારીઓના મતે હાલ દિલ્હીમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશન નથી અને આથી હાલ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવાની જરૂર નથી.

સિસોદિયાએ કહ્યું કે આ બેઠકમાં કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ હાજર હતા અને આ બેઠકમાં કેન્દ્રના અધિકારીઓએ આ મત વ્યક્ત કર્યો હતો.

દિલ્હી ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટીની આ અગાઉથી નિર્ધારિત બેઠક હતી જેમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ, દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનિષ સિસોદીયા, દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દર જૈન પણ ઉપસ્થિત હતા.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ હોવાને કારણે તેમણે આ બેઠકમાં ભાગ લીધો ન હતો.

મંગળવારે સવારે અરવિંદ કેજરીવાલના કોવિડ-19ના પરીક્ષણ માટે નમૂના લેવાયા હતા જેનો રિપોર્ટ આવવો હજુ બાકી છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દર જૈને સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દિલ્હીમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશન છે કે નહીં એ અમે ત્યારે જ કહી શકીએ જ્યારે કેન્દ્ર સરકાર તેનો સ્વીકાર કરે.

જોકે, આ વાતચીતમાં તેમણે એવો સૂર વ્યક્ત કર્યો કે દિલ્હીમાં હાલ લગભગ અડધાથી વધુ કેસ એવા આવી રહ્યા છે જેના સ્રોતની જાણકારી ન હોય અને કૉમ્યુનિટી ટ્રાન્સમિશનમાં પણ આ જ સ્થિતિ હોય છે.

કેવી છે રાજધાનીની સ્થિતિ?

દિલ્હીમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના નવા 1007 કેસ નોંધાયા છે જેને ઉમેરતા દિલ્હીમાં કુલ કેસોની સંખ્યા 29743 પર પહોંચી ગઇ છે જેમાં ઍક્ટિવ કેસોની સંખ્યા 15416 છે.

દિલ્હીમાં કોવિડ-19ની મહામારીને કારણે કુલ મરણાંક વધીને 874 થઈ ગયો છે.

દિલ્હી વહીવટી તંત્રએ જાહેર કરેલા આંકડાને ટાંકીને સમાચાર એજન્સી પીટીઆઈએ માહિતી આપી કે દિલ્હીમાં 30 મેથી 6 જૂન વચ્ચે કોવિડ-19ને કારણે 62 લોકોનાં મોત થયા જેમાંથી 5 જૂને 27 લોકોએ જીવ ગુમાવ્યા છે.

દિલ્હીમાં અત્યાર સુધી સારવાર બાદ સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 11357 છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો