તીડનો હુમલો : જુલાઈમાં પાકિસ્તાન તરફથી તીડના ઝુંડનું જોખમ - TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર સંયુક્ત રાષ્ટ્રસંઘના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન(એફએઓ)એ ચેતવણી આપી છે કે તીડનાં ઝુંડ જુલાઈમાં ફરી હુમલાઓ કરી શકે છે.

કેન્દ્ર સરકારે આ મામલે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતનાં 16 રાજ્યોને ચેતવણી આપી છે.

ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે જૂન મહિનામાં દક્ષિણ ઈરાનમાંથી અને જુલાઈ માસમાં 'હૉર્ન ઑફ આફ્રિકા' માંથી આવી શકે છે.

ભારતના તીડ ચેતવણી સંગઠનના કે. એલ. ગુર્જરે જણાવ્યું હતું કે વયસ્ક તીડનાં કેટલાંક ઝુંડ ઈરાન અને પાકિસ્તાનમાંથી આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અને વિશેષ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા ગુજરાતના વિસ્તારોમાં તીડના હુમલા અગાઉ પણ થયા છે.

UPSC દ્વારા પરીક્ષાની નવી તારીખો જાહેર કરાઈ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ અનેક મહત્ત્વની પરીક્ષાઓની નવી તારીખોની જાહેરાત કરી છે. સિવિલસર્વિસિઝની પ્રાથમિક પરીક્ષા હવે ચોથી ઑક્ટોબરે યોજાશે.

પ્રાથમિક પરીક્ષામાં પાસ થનાર ઉમેદવાર સિવિલ સર્વિસિઝની મુખ્ય પરીક્ષા આપી શકશે જેની શરૂઆત 8 જાન્યુઆરી, 2021થી થશે.

પહેલાં આ પરીક્ષા 31 મેના રોજ યોજાનાર હતી પરંતુ કોરોના વાઇરસના સંક્રમણને કારણે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી.

સિવિલ સર્વિસ સિવાય ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસની પ્રાથમિક કસોટી પણ ચોથી ઑક્ટોબરે યોજાશે.

યુપીએસસીએ એનડીએ, આઈએએસ, આઈએસએસ, સીએમએસ સહિતની અનેક પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરી છે.

કોરોના વાઇરસ : દર્દીઓના ટેસ્ટ OPDમાં કરવાની માગ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર અમદાવાદ હૉસ્પિટલ અને નર્સિંગહોમ્સ ઍસોસિયેશને ગુજરાત સરકારને લખેલા પત્રમાં રજૂઆત કરી છે કે મહામારીને રોકવા માટે આપણે ઓપીડીમાં ઉદારતાપૂર્વક ટેસ્ટિંગ કરવા જરૂરી છે, જેથી ક્રૉસ ઇન્ફૅક્શનને રોકી શકાય.

ઍસોસિયેશનના પ્રમુખ ભરત ગઢવીએ જણાવ્યું, "અમે અપીલ કરીએ છીએ કે હૉસ્પિટલમાં સારવાર લેવા આવનાર તમામ સંદિગ્ધ, સામાન્ય કેસ, કૉન્ટેક્ટ્સ, આરોગ્યકર્મી, દર્દીઓ કે જે વૈકલ્પિક સારવાર હેઠળ હોય અને હૉસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓના કોરોના વાઇરસના ટેસ્ટ કરવામાં આવે."

ઍસોસિયેશને સરકારને અપીલ કરી છે કે 30મી એપ્રિલ સુધી ચૂકવવાના બાકી થતા મા અમૃતમ યોજનાના પૈસા આપવામાં આવે. ઍસોસિયેશને પ્રૉપર્ટીટ્રૅક્સમાં પણ બાદ આપવાની માગ કરી છે.

હૉસ્પિટલોને તેમના સ્ટાફને પગાર આપવામાં તકલીફ થઈ રહી હોવાનો દાવો કરીને ઍસોસિયેશને ખાનગી હૉસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતાં પ્રત્યેક નર્સને દર મહિને 10 હજાર રૂપિયા આપવાની માગ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો