ગુજરાત : વૅક્સિન વિકસાવવામાં મદદરૂપ થાય એવો પ્રયોગ હાથ ધરાયો-TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાત બાયૉટેકનૉલૉજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી)ના વૈજ્ઞાનિકોએ ગુજરાતમાંથી લીધેલા નોવેલ કોરોના વાઇરસનાં એકસોથી વધારે સૅમ્પલનું જિનોમ સિક્વંસિંગ કરી લેવાયું છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ અંગે ટ્વિટર પર જાણકારી આપી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ સાર્સ કોવ-2ના નામે ઓળખાતો આ વાઇરસ કોવિડ-19ના સંક્રમણ માટે જવાબદાર હોય છે.

જીબીઆરસીના વૈજ્ઞાનિકોએ કહ્યું કે હજી આ જિનોમ સિક્વન્સિંગનું વિશ્લેષણ ચાલી રહ્યું છે અને ઠોસ પરિણામ મળવામાં સમય લાગશે.

તેમણે વધુમાં જણાવ્યું કે વૈજ્ઞાનિકોએ વાઇરસ મ્યુટેશનના હૉટસ્પૉટ ઓળખી લીધાં છે.

અમદાવાદનાં આવાં હૉટસ્પૉટમાંથી લાક્ષણિકતા શોધી લેવાથી વૅક્સિન વિકસિત કરવામાં મદદ મળશે.

આ શોધ સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું કે "જ્યાં મૃત્યુ દર વધારે છે ત્યાંથી સૅમ્પલ લેવામાં આવ્યા હતા. અમદાવાદ જ્યાં ગુજરાતના સૌથી વધારે કેસ અને મૃત્યુ છે ત્યાંથી મોટા ભાગનાં સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં. એ સિવાય રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત અને સાબરકાંઠામાંથી પણ સૅમ્પલ લેવામાં આવ્યાં, જેથી આખા રાજ્યમાં વાઇરસના જિનોમ પર કામ કરી શકાય."

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પ્રયોગનો હેતુ એ હૉટસ્પૉટ શોધવાનો છે જ્યાં વાઇરસનું મ્યુટેશન થયું છે. વૈજ્ઞાનિકોએ અખબારને કહ્યું કે જ્યારે વૅક્સિન પર કામ થાય છે ત્યારે આ હૉટસ્પૉટ્સની લાક્ષણિકતા મહત્ત્વપૂર્ણ બની જાય છે. ગુજરાતમાં 80-85 ટકા મ્યુટેશન અમદાવાદમાં જોવા મળ્યાં હતાં.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ હૉટસ્પૉટના આધારે જો વૅક્સિન વિકસિત ન કરવામાં આવી તો તે નિષ્ફળ રહેશે.

રાજકોટ-જામનગરના વેપારીઓ સરકારથી નારાજ

અમદાવાદ મિરરના અહેવાલ મુજબ રાજકોટ ચેમ્બર્સ ઑફ કૉમર્સે રાજકોટ અને જામનગરને ફ્લાઇટ્સ ન મળતાં નારાજગી વ્યક્ત કરી છે.

રાજકોટ અને જામનગર સૌરાષ્ટ્રનાં ઔદ્યોગિક હબ છે અને ડીજીસીએ દ્વારા 30 જૂન સુધી ફ્લાઇટનું સમયપત્રકલ જાહેર કરવામાં આવ્યું છે તેમાં રાજકોટ કે જામનગર માટે એક પણ ફ્લાઇટ નથી.

જ્યારે પોરબંદર અને દીવથી મુંબઈની ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ ચેમ્બર્સ ઑફ કૉમર્સએ વિરોધની ચિમકી ઉચ્ચારીને કહ્યું કે પોરબંદરથી વધારે ઍર ટ્રાફિક નથી હોતો અને દીવથી પર્યટકોની આવનજાવન હોય છે જે અત્યારે બંધ છે, પરંતુ રાજકોટ અને જામનગર જે ઔદ્યોગિક નગરો છે ત્યાં એક પણ ફ્લાઇટ આપવામાં નથી આવી.

વિક્રમ સિંઘાનિયા નામના વેપારીએ અમદાવાદ મિરરને કહ્યું કે 'રાજકોટ અને જામનગરમાં મશીન ટૂલ્સ, બ્રાસ પાર્ટ્સ, ઑટો પાર્ટ્સ ઍન્સિલિયરી અને અહીં રિલાયન્સ તથા એસ્સાર જેવી મોટી કમ્પનીઓ છે તો પણ અહીં એક પણ ફ્લાઇટ નથી શરૂ કરવામાં આવી.'

લદ્દાખમાં ભારતે સૈનિકોની તહેનાતી વધારી

લદ્દાખમાં જમીની સ્તર પર ભારત અને ચીન વચ્ચે તણાવ ઘટાડવા માટે વાતચીત નિષ્ફળ ગયા બાદ ભારતે ઉત્તરાખંડમાં સેનાની હાજરી વધારી છે.

આ પહેલા નિયંત્રણરેખા પર ચીન તરફથી પણ સૈનિકોની સંખ્યા વધારવામાં આવી હતી, એવા અહેવાલ આવ્યા હતા.

પૂર્વી લદ્દાખમાં, જે વેસ્ટર્ન સેક્ટરનો ભાગ છે ત્યાં પણ ભારતીય સેનાએ નિયંત્રણરેખા પર સર્વેલાન્સ વધારવા માટે વધારાના સૈનિક તહેનાત કર્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલાથી લખ્યું છે કે ગુલદૉંગ સેક્ટરમાં ચીન તરફથી સૈનિકોની તહેનાતી વધારવાના સમાચાર આવ્યા બાદ ભારતે મિડલ સેક્ટરમાં ઉત્તરાખંડમાં ચીનની સરહદ પાસે સેનાની હાજરીને મજબૂત કરી છે.

એક વરિષ્ઠ અધિકારીએ અખબારને કહ્યું કે હરસિલમાં તહેનાતી વધારી દેવામાં આવી છે કારણ કે ચીને તેની તરફ સૈનિકોની તહેનાતી વધારવાના સમાચાર મળ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો