અર્ણવ ગોસ્વામી સામેની ફરિયાદ રદ કરવા સુપ્રીમ કોર્ટનો ઇન્કાર, સીબીઆઈ તપાસની પણ ના

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા વિરુદ્ધ અપશબ્દ બોલવાના મામલે પત્રકાર અર્ણવ ગોસ્વામી વિરુદ્ધ કૉંગ્રેસ દ્વારા દેશભરમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ રદ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો છે.

આ કેસમાં તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરવામાં આવી હતી તેનો પણ સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો છે.

જોકે, સુપ્રીમ કોર્ટે ધરપકડ સામે આગોતરા જામીન ત્રણ અઠવાડિયા સુધી માન્ય રાખ્યા છે.

અર્ણવ ગોસ્વામી સામે ઘણાં રાજ્યોમાં એફઆઈઆર દાખલ થયેલી છે.પાલઘરમાં બે સાધુ અને એક ડ્રાઈવરના મૉબ લિન્ચિંગ મામલે અર્ણવના શોમાં કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સામે કરાયેલી 'આપત્તિજનક ભાષા'ને લઈને એફઆઈઆર થઈ છે

ગત સુનાવણીમાં 24 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્ણવ ગોસ્વામીને ત્રણ અઠવાડિયાં માટે ધરપકડથી વચગાળાની રાહત આપી હતી.

શું છે સમગ્ર મામલો?

ટીએસ સિંહદેવનો આરોપ છે કે પોતાની ચેનલના એક કાર્યક્રમ દરમિયાન અર્ણવે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવા માટે જાણીજોઈને ભડકાઉ નિવેદન આપ્યું અને સોનિયા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો.

પાલઘરમાં મૉબ લિન્ચિંગ સંબંધિત એક લાઇવ ટીવી કાર્યક્રમમાં અર્ણવ ગૌસ્વામીએ સોનિયા ગાંધીનું નામ લઈને કેટલાય સવાલો કર્યા હતા.

અર્ણવે કહ્યું હતું, "જો કોઈ મૌલવી કે પાદરીની આ રીતે હત્યા થઈ હોત તો શું મીડિયા, સેક્યુલર ગૅંગ અને રાજકીય પાર્ટીઓ આજે શાંત હોત? જો પાદરીઓની હત્યા થઈ હોત તો 'ઇટાલીવાળી એન્ટોનિયા માઇનો', 'ઇટાલીવાલા સોનિયા ગાંધી' આજે ચૂપ રહેત?"

મહારાષ્ટ્રના પાલઘરમાં સુરત જઈ રહેલા બે સાધુ અને તેમના ડ્રાઇવરની ટોળાંએ માર મારીને હત્યા કરી હતી. ટોળાંને તેમની પર ચોર હોવાની શંકા હતી.

અર્ણવના આ નિવેદન બાદ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી કલમનાથે પણ તેમની નિંદા કરી છે.

સમગ્ર મામલાની શરૂઆત અર્ણવ ગોસ્વામીએ ટીવી કાર્યક્રમમાં સોનિયા ગાંધી અંગે કરેલી એક ટિપ્પણી બાદ થઈ

એ પછી રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્ણવ ગૌસ્વામીએ કૉંગ્રેસ પર હુમલા કરવાનો આરોપ મૂક્યો હતો.

ઘટના ઘટી એ જ દિવસે મોડી રાતે તેઓએ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો અને આ આરોપ લગાવ્યો છે. અર્ણવે દાવો કર્યો છે કે જ્યારે તેઓ મુંબઈમાં ઑફિસથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે લોકોએ તેમના પર હુમલો કર્યો.

આ વીડિયોમાં હુમલાનો આરોપ લગાવતાં અર્ણવે કહ્યું, "હું ઑફિસથી ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તા બાઇકસવાર બે ગુંડાએ હુમલો કર્યો. હું મારી કારમાં પત્ની સાથે હતો. હુમલાખોરોએ કાચ તોડવાનો પ્રયાસ કર્યો. તેઓ કૉંગ્રેસના ગુંડા હતા."

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર આ મામલે બે લોકોની ધરપકડ કરાઈ છે.

અર્ણવ ગૌસ્વામી પર આરોપ છે કે તેઓએ પોતાના ટીવી પ્રોગ્રામમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. કૉંગ્રેસના ઘણા નેતાઓએ અર્ણવ ગૌસ્વામીની ભાષાને લઈને સવાલ ઉઠાવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો