You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૉકડાઉન : જ્યારે માછીમારો માટે મદદગાર બન્યું બીએસએફ
- લેેખક, રોક્સી ગાગડેકર
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
કોરોના સંકટ વચ્ચે લખપત અને નારાયણ સરોવરના માછીમારોને થોડી રાહત મળી છે. સ્થાનિક તંત્ર અને બૉર્ડર સિક્યૉરિટી ફોર્સની (બી.એસ.એફ.)ની 79મી બટાલિયનની મદદથી એવી વ્યવસ્થા કરાઈ હતી કે ગામના લોકો સુધી કોરોનાનો ચેપ પહોંચે નહીં.
મોટા પાયે સ્ક્રિનિંગનું કામ ઉપાડી લેવાયું હતું. માછીમારો માટે પ્રૉટૅક્ટિવ સાધનો પણ ઉપલબ્ધ કરાવાયા અને મચ્છીમારી કરી શકે તેવી વ્યવસ્થા પણ કરી આપવામાં આવી.
પશ્ચિમ તરફ છેલ્લું ગામ એટલે લખપત કે જ્યાંથી ભારત અને પાકિસ્તાનની સરહદ 40 કિમી દૂર જ છે. મોટા ભાગની વસતિ મચ્છીમારી કરીને ગુજરાન ચલાવે છે.
લૉકડાઉનની 'ઝાળ'
પાંચથી 7 માછીમારો એક બોટ લઈને 3થી પાંચ દિવસ સુધી દરિયામાં ફેરો મારે અને માછલીઓ લઈને પરત આવે. મચ્છીમારી થઈ હોય તે પ્રમાણે એક બોટના માછીમારોને 20થી 25 હજાર રૂપિયા સુધીની કમાણી સ્થાનિક બજારમાંથી થાય.
અખિલ ભારતીય ફિશરમૅન ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ વેલજીભાઈ મસાણીએ ફોન પર બીસીસીને જણાવ્યું :
"અહીં માછલી પકડવામાં આવે તેને મોટા ભાગે વેરાવળની જથ્થાબંધ માર્કેટમાં મોકલવામાં આવે છે. સારી ક્વૉલિટીની માછલીની નિકાસ થાય છે.""બાકીની માછલી સ્થાનિક બજારમાં વેચાતી હોય છે."
જોકે લૉકડાઉનને કારણે 22 માર્ચથી 13 એપ્રિલ સુધી લખપતના માછીમારોએ પણ દરિયાની ખેડ બંધ કરવી પડી હતી. તે પછી સ્થાનિક તંત્ર અને બીએસએફની મદદથી મચ્છીમારી ફરી શરૂ કરવામાં આવી છે.
મચ્છીમારીને મળી મુક્તિ
લખપત 350ની વસતિ ધરાવતું નાનકડું ગામ છે. બીએસએફના અધિકારીઓએ અહીં અનાજ અને પાણીની વ્યવસ્થા ના કરી આપી, ત્યાં સુધી પુરવઠાની મુશ્કેલી પણ ઊભી થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
24 માર્ચે કેન્દ્ર સરકાર તરફથી મચ્છીમારી માટે છૂટ આપવામાં આવી હતી. મસાણીએ બીબીસીને જણાવ્યું:
"મોટા ભાગની માછલી ભારતની બહાર મોકલવામાં આવે છે. તેને ખાદ્યપદાર્થ ગણીને આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવી લેવામાં આવી હતી.""લૉકડાઉનમાં મુક્તિ અપાઈ તેનું આ એક મુખ્ય કારણ હતું."
જોકે સ્થાનિક તંત્ર અને બીએસએફનો સહયોગ ના મળ્યો હોત, તો ફરીથી માછીમારી કરવી શક્ય ના બની હોત.
બંનેએ ભેગા મળીને તબીબી તપાસ કરાવડાવી હતી, ટેસ્ટ કરાવાયા અને સલામતી માટે પ્રોટેક્ટિવ સાધનો પણ અપાયા.
સરહદે સંક્રમણનું સંકટ
આ અંગે બીબીસી સાથે વાતચીત કરતાં બી.એસ.એફ.ના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ એમ. એલ. ગર્ગે જણાવ્યું કે સૌ પહેલાં તો સૌનું મેડિકલ ચેકઅપ કરાવવું જરૂરી હતું. અમે સ્થાનિક તંત્ર સાથે મળીને તેની વ્યવસ્થા કરી હતી.
લખપત સરહદી વિસ્તારમાં હોવાથી તેની જવાબદારી બીએસએફ પર છે કે તે સલામત રહે એમ ગર્ગે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે આ સંકટના સમયમાં ગુજરાતના જખૌથી લઈને રાજસ્થાનના બાડમેર સુધીના સરહદી વિસ્તારોમાં સ્થાનિક લોકોને શક્ય એટલી મદદ કરવામાં આવી રહી છે.
ગર્ગે ઉમેર્યું, "લખપતના માછીમારો માટે અમે ગ્લૉવ્ઝ અને ઍનિટાઇઝર્સ ઉપલબ્ધ કરાવ્યા.""તેમને એકબીજાથી અંતર કેવી રીતે જાળવવું તેની તાલીમ આપી અને તે પછી માછીમારી માટે ફર્સ્ટ બેચને રવાના કરવામાં આવી હતી."
કોરોના વાઇરસનું જોખમ ટળી ના જાય ત્યાં સુધી બીએસએફ સાવચેતી માટે સક્રિય રહેશે.
દરિયાના ખોળે સાગરખેડૂ
માછીમારો દરિયાઇ ખેડ માટે જાય અને પરત આવે ત્યારે સ્ક્રિનિંગ માટેની વ્યવસ્થા કલેક્ટર કચેરીએ કરી હતી. મામલતદાર એ. એલ. સોલંકીએ બીબીસીને જણાવ્યું હતું કે 13 એપ્રિલે લખપતમાંથી 18 અને કોટેશ્વરમાંથી 94 માછીમારો દરિયામાં ગયા હતા અને ગત ગુરુવારે પરત ફર્યા. સામાન્ય રીતે બોટમાં છ જણ રહેતા હોય છે, પણ હાલમાં માત્ર ચારને જ મંજૂરી આપવામાં આવી છે.
500 જોડી મોજાં, 500 માસ્ક અને સૅનિટાઇઝર્સ માછીમારોને આપવામાં આવ્યા હતા.
આ વિસ્તાર દયાપર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. ત્યાંના પી.એસ.આઈ. (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) જે. પી. સોઢાએ ફોન પર બીબીસીને જણાવ્યું કે માછીમારોને દરિયામાં જતી વખતે સાથે બરફ, ડીઝલ અને અનાજ લઈ જવું પડે. આ બધી વસ્તુઓ તેમને મળી રહે તેવી વ્યવસ્થા માટે પોલીસે વાહનોને ગામ સુધી જવા દીધા હતા.
એ જ રીતે માછીમારી કરીને આવ્યા પછી માછલીઓને વેચાણ માટે બહાર મોકલવા માટે પણ વાહનો મળી રહે તેનો પણ ખ્યાલ રખાયો હતો એમ સોઢાએ જણાવ્યું હતું. મોટા ભાગની માછલીઓ વેરાવળમાં મોકલવામાં આવે છે, જ્યાંથી તેની નિકાસ થાય છે.
મચ્છીમારીમાં 'કાંટો'
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
કોટેશ્વર અને લખપતમાં કુલ 50 બોટ છે. લખપતના એક માછીમાર અબ્દુલ અલીએ બીબીસીને ફોન પણ જણાવ્યું કે કેન્દ્ર સરકારે મંજૂરી આપી ત્યારથી તેઓ દરિયાખેડ કરવા માટે તૈયારી કરવા લાગ્યા હતા.
અબ્દુલ અલીએ જણાવ્યું,"ચેપ લાગવાનો ભય હતો અને સાથે જ ડીઝલ તથા બરફ હતા નહીં એટલે અમે દરિયામાં જઈ શકીએ તેમ નહોતા."
દરિયાખેડ કરવા જતા પહેલાં દરેક બોટ માલિકે 10,000 રૂપિયાનું રોકાણ આ બધી વસ્તુઓ પાછળ કરવું પડતું હોય છે.
જોકે મધદરિયા સુધી જવા પર માછીમારો પર પ્રતિબંધ છે, તેની સામે હાસમ ભડાલા નામના માછીમારે નારાજી વ્યક્ત કરી હતી.
ભડાલા કહે છે, "ફિશરમૅન ઍસોસિયેશને મધદરિયે જવા માટે મંજૂરી માગી છે, પણ હજી સુધી સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી."
સીર ક્રિકની આસપાસ પડાલા, પબેવાડી, ઓગણ, દેવડીવાડી અને કોરી ક્રિક આવેલી છે. હાલમાં માછીમારોને કોરી ક્રિકથી આગળ જવાની મંજૂરી નથી.
ભડાલા ઉમેરે છે,"વધારે સારી માછીઓ મળે તે માટે અમે પડાલા ખાડી સુધી જવાની મંજૂરી મળે તેમ ઇચ્છીએ છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો