ગુજરાતી હાસ્યલેખક રતિલાલ બોરીસાગરને વર્ષ 2019નો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ જાહેર

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

ગુજરાતી લેખક રતિલાલ મોહનલાલ બોરીસાગરને વર્ષ 2019નો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ જાહેર થયો છે.

તેમના હાસ્ય નિબંધસંગ્રહ 'મોજમાં રેવું રે' માટે તેમના આ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે.

સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2019 માટે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, બંગાળી, અસમિયા, કન્નડ, કાશ્મીરી, મૈથેલી સહિત 23 ભાષામાં પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.

સાત કવિતાનાં પુસ્તકો, ચાર નવલકથા, છ ટૂંકીવાર્તા, ત્રણ નિબંધ, નૉન-ફિક્શન, ઑટોબાયોગ્રાફી, બાયોગ્રાફી માટે ઍવૉર્ડ જાહેર કરાયા છે.

ઍવૉર્ડવિજેતાઓમાં ગુજરાતના રતિલાલ બોરીસાગર સહિત શશી થરૂર (એન ઍરા ઑફ ડાર્કનૅસ-નૉન-ફિક્શન)નો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાંથી રતિલાલ બોરીસાગરની ઍવૉર્ડ માટે પસંદગી થઈ છે.

રતિલાલ બોરીસાગરનો જન્મ 31 ઑગસ્ટ, 1938માં સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો છે. તેઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં જ લીધું હતું.

ઉચ્ચ અભ્યાસ કરીને તેઓ 1971મં સાવરકુંડલા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક બન્યા હતા.

તેમજ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક પણ રહી ચૂક્યા છે.

હાલમાં પણ તેઓ વિવિધ સાહિત્યિક સામયિકોમાં લેખનકાર્ય કરે છે.

રતિલાલ બોરીસાગરે લેખનની શરૂઆત ટૂંકીવાર્તાથી કરી હતી.

તેમનાં 'મરક મરક', 'આનંદલોક', 'એન્જોયગ્રાફી' સહિતનાં પુસ્તકો જાણીતાં છે.

તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી ઍવૉર્ડ અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતીન્દ્ર દવે પારિતોષિક પણ મળેલું છે.

ગુજરાતી સાહિત્યમાં હાસ્યનિબંધ ક્ષેત્રે તેમણે આગવી ઓળખ ઊભી કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો