You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બે દાયકામાં પહેલી વાર બાંગ્લાદેશ સરહદે ગોળીબાર, ભારતીય સૈનિકનું મૃત્યુ
ભારત-બાંગ્લાદેશ સરહદે બૉર્ડર ગાર્ડ ઑફ બાંગ્લાદેશ (બીજીબી) અને ભારતની બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ(બીએસએફ) વચ્ચે ગોળીબારની ઘટના બની છે. આ ગોળીબારમાં બીએસએફના એક જવાનનું મૃત્યુ થયું છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને બાંગ્લાદેશ સરહદે સૈનિકો વચ્ચે ઘર્ષણની આવી ઘટના બે દાયકામાં પહેલી વાર બની છે.
ભારતની બીએસએફના કહેવા મુજબ બીએસએફની પાર્ટી પરત ફરી રહી હતી ત્યારે બૉર્ડર ગાર્ડ ઑફ બાંગ્લાદેશે ગોળીબાર કર્યો.
જોકે, બૉર્ડર ગાર્ડ ઑફ બાંગ્લાદેશ (બીજીબી)ના કમાન્ડિંગ ઑફિસર લેફ્ટનન્ટ ફિરદોસ મહમૂદે બીબીસી બાંગ્લાને કહ્યું કે ''બીએસએફે બાંગ્લાદેશની સરહદમાં પ્રવેશ કર્યો અને સૌપ્રથમ ગોળીબાર કર્યો અને બૉર્ડર ગાર્ડ ઑફ બાંગ્લાદેશે એનો પ્રતિકાર કર્યો. બીએસએફ સૈનિકના મૃત્યુ અંગે કોઈ માહિતી નથી.''
શું બની ઘટના?
બીએસએફના જણાવ્યા મુજબ ''ગુરુવારે સરહદી વિસ્તાર નજીક પદ્મા નદીમાં ત્રણ માછીમાર માછલીઓ પકડવા ગયા હતા.''
''બૉર્ડર ગાર્ડ ઑફ બાંગ્લાદેશે ત્રણ લોકોની અટકાયત કરી. જોકે, બે લોકોને બીસીએફના પોસ્ટ કમાન્ડર સાથેની ફ્લેગ મિટિંગની સૂચના છોડવામાં આવ્યા.''
''આ પછી આશરે 10.30 વાગે પોસ્ટ કમાન્ડર પાંચ સૈનિકો સાથે બીએસએફની બોટમાં બૉર્ડર ગાર્ડ ઑફ બાંગ્લાદેશ પેટ્રોલિંગ ટીમ સાથે ફ્લેગ મિટિંગમાં પહોંચ્યાં.''
બીએસએફનું કહેવું છે કે આ ફ્લેગ મિટિંગમાં બૉર્ડર ગાર્ડ ઑફ બાંગ્લાદેશે બંધક બનાવવામાં આવેલા માછીમારને મુક્ત ન કર્યો અને બીએસએફની ટુકડીને ઘેરી લીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીએસએફના કહેવા મુજબ ''પરિસ્થિતિ પારખીને બીએસએફની ટુકડી પરત ફરી રહી હતી ત્યારે બૉર્ડર ગાર્ડ ઑફ બાંગ્લાદેશ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું.''
જોકે, બૉર્ડર ગાર્ડ ઑફ બાંગ્લાદેશ ફાયરિંગ બીએસએફ તરફથી કરવામાં આવ્યું અને તેઓએ માત્ર પ્રતિકાર કર્યો એમ કહે છે.
આ ગોળીબારમાં હૅડ કૉન્સ્ટેબલ વિજય ભાણ સિંહને માથામાં ગોળી વાગી અને કૉન્સ્ટેબલ બૉટમૅનને જમણે હાથે ગોળી વાગી.
બેઉને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા જ્યાં હૅડકૉન્સ્ટેબલ વિજય ભાણ સિંહને મૃત જાહેર કરાયા.
ઈજાગ્રસ્ત કૉન્સ્ટેબલ બૉટમૅનને મુર્શિદાબાદ મેડિકલ કૉલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
બૉર્ડર ગાર્ડ ઑફ બાંગ્લાદેશનું શું કહેવું છે?
આ અંગે બૉર્ડર ગાર્ડ ઑફ બાંગ્લાદેશે બીબીસી બાંગ્લા સર્વિસને કહ્યું કે ''બેઉ પક્ષો વચ્ચે ફલેગ મિટિંગમાં બીએસએફે એમના એક જવાનનું મૃત્યુ થયું હોવાની માહિતી આપી છે પરંતુ બૉર્ડર ગાર્ડ ઑફ બાંગ્લાદેશને કોઈ માહિતી નથી.''
બૉર્ડર ગાર્ડ ઑફ બાંગ્લાદેશે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા હોવાનું પણ તેમણે કહ્યું છે.
આ ઘટના પછી બેઉ દેશોની સરહદી સુરક્ષા ઉચ્ચસ્તરીય અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા.
આ મામલે નિવૃત્ત બીએસએફ ડીઆઈજી સલિલકુમાર મિત્રાએ બીબીસી બાંગ્લાને કહ્યું, ''આ એક અસાધારણ ઘટના છે. ફ્લેગ મિટિંગમાં ફાયરિંગની ઘટના ઇતિહાસમાં નથી બની.''
''ફલેગ મિટિંગનો અર્થ બે સૈન્યદળો વચ્ચેનો સંવાદ થાય છે. બીજીબીએ કેમ ફાયરિંગ કર્યું તે સ્પષ્ટ નથી. આ અસાધારણ છે.''
બૉર્ડર ગાર્ડ ઑફ બાંગ્લાદેશનું કહેવું છે કે સરહદે કોઈ તણાવ નથી તેમ છતાં તેઓ સતર્ક છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો