You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટને કારણે ગોધરાના મુસ્લિમોમાં આક્રોશ
ગોધરામાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી વિરુદ્ધ કરાયેલી કથિત વાંધાજનક ટીપ્પણીને લઈને મુસ્લિમ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને એક સ્થાનિક ડૉક્ટર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ મામલે કથિત વાંધાજનક ટિપ્પણી કરનારા ડૉક્ટરે માફી માગી લીધી છે, જોકે, મુસ્લિમ ડૉક્ટરની ધરપકડ કરવાની માગ કરી રહ્યો છે.
બનાવની વિગત એવી છે કે ગોધરાના સ્થાનિક તબીબ અને સામાજિક કાર્યકર ડૉ. સુજાત વલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
એ વીડિયોમાં તેઓ વિજ્ઞાનના સંદર્ભમાં કથિત રીતે પીર-દરગાહ અને અજમેરના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી.
આ મામલે વિવાદ થયા બાદ ડૉ. વલીએ ફેસબુક પર વીડિયો પોસ્ટ કરીને માફી પણ માગી લીધી હતી.
ડૉ. વલીએ ફેસબુક પર પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું:
"મેં પોસ્ટ કરેલા વીડિયોથી કેટલાક લોકોને દુઃખ પહોંચ્યું હતું, જે બદલ હું દિલગીર છું અને તકેદારી રાખીશ કે હવેથી આવું ન બને."
સ્થાનિક મુસ્લિમ આગેવાન તૌફીક મલેક ડૉ. સુજાત વલી વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવાની માગ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પત્રકારો સાથેની વાતચીતમાં તૌફીકે જણાવ્યું, "જો ડૉ. વલી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે અને તેમની અટકાયત કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે."
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ગોધરાનાં ડી. એસ. પી. લીના પાટીલે જણાવ્યું:
"આ મામલે ડૉ. સુજાત વલી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી લેવાઈ છે અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે."
(આ સ્ટોરી માટે ગોધરાના પત્રકાર દક્ષેશ શાહના ઇનપુટ્સ મળ્યા છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો