કલમ 370 પર રાહુલ ગાંધીએ કહ્યું 'શક્તિનો દુરુપયોગ', પણ કેટલાક કૉંગ્રેસીઓના અલગ સૂર

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાના સરકારના નિર્ણયને શક્તિનો દુરુપયોગ જણાવ્યો છે.

રાહુલ ગાંધીએ નિર્ણય આવ્યો તે દિવસે ટ્વીટ કરતા લખ્યું છે, "રાષ્ટ્રીય એકતાનો વિસ્તાર જમ્મુ-કાશ્મીરને એકતરફી વહેંચી દેવાથી નહીં થાય."

"ચૂંટાયેલા પ્રતિનિધિઓને જેલમાં બંધ કરી દેવા આપણા બંધારણનું ઉલ્લંઘન છે. આ રાષ્ટ્રનું નિર્માણ અહીંના લોકોથી થયું છે, ધરતીના એક ટૂકડાથી નહીં."

"આ કાર્યકારી શક્તિઓનો દુરૂપયોગ છે અને તે આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે ચિંતાજનક છે."

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાંચ ઑગસ્ટે રાજ્યસભામાં કલમ 370માં ફેરફાર કરીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાની જાહેરાત કરી અને સદનમાં હોબાળો થયો.

કૉંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, સીપીએમ, સીપીઆઈ, મુસ્લિમ લીગ, કેરળ કૉંગ્રેસ અને એમડીએમકેએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો જ્યારે ટીએમસી, જેડીયૂ અને એનસીપીએ વૉકઆઉટ કર્યું.

ભાજપ ઉપરાંત એઆઈએડીએમકે, એલજીપી, આરપીઆઈ, અકાલી દળ, શિવસેના, વાઈએસઆર કૉંગ્રેસ, બીજેડી, ટીડીપી, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ફેરફારને ટેકો આપ્યો હતો.

કલમ 370માં ફેરફાર અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલના સમર્થનમાં 125 સંસદસભ્યોએ વોટ આપ્યા તો 61 સંસદસભ્યોએ તેના વિરુદ્ધ વોટ આપ્યા જેમાં કૉંગ્રેસ અને ડાબેરી પક્ષો હતા.

ટીએમસી અને જેડીયૂએ વોટિંગનો બહિષ્કાર કર્યો જ્યારે અરવિંદ કેજરીવાલ અને માયાવતીએ આ મુદ્દે સરકારનો સાથ આપ્યો હતો.

રાહુલ-પ્રિયંકા ગાંધી ચુપ?

આ પહેલાં સોમવારે કૉંગ્રેસ તરફથી રાજ્યસભામાં ગુલામ નબી આઝાદ અને ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે જોરદાર વિરોધ કર્યો હતો ત્યારે કૉંગ્રેસના કેટલાક નેતાઓ કાશ્મીર મુદ્દે હવે સરકારની સાથે છે.

આઝાદ-ચિદમ્બરમે સરકારનું પગલું 'બંધારણની હત્યા' સમાન ગણાવ્યું હતું.

સોમવારને કૉંગ્રેસના વલણથી નારાજ પાર્ટી વ્હિપ ભુવનેશ્વર કલિતાએ રાજ્યસભા અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કલિતા આસામ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા હતા.

તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપતા કહ્યું, "કૉંગ્રેસે મને કાશ્મીર મુદ્દે પણ વ્હિપ લાગુ કરવાનું કહ્યું હતું પણ સત્ય એ છે કે દેશનું વલણ કૉંગ્રેસ પાર્ટીથી એકદમ અલગ છે."

"મને લાગે છે કે કૉંગ્રેસ આત્મહત્યા કરવા માટે જઈ રહી છે અને હું તેનો ભાગ નથી બનવા માગતો. હું વ્હિપનું પાલન નહોતો કરવાનો એટલે મેં રાજીનામું આપ્યું હતું."

"કૉંગ્રેસનું નેતૃત્વ પોતે જ પોતાને ખતમ કરવા પર ઉતરી પડ્યું છે. મારૂં માનવું છે કે કૉંગ્રેસને ખતમ થતાં કોઈ નહીં અટકાવી શકે."

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જનાર્દન દ્વિવેદીએ પણ કલમ 370 પર ભાજપને ટેકો આપ્યો છે.

દ્વિવેદીએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે કલમ 370 ઇતિહાસની ભૂલ હતી જેને સુધારવાની જરૂર હતી.

તેમણે કહ્યું, "આ મારો અંગત મત છે અને આ બાબતે હું ભાજપનું સમર્થન કરું છું. "

'હિન્દુસ્તાની છું'

રાયબરેલીથી કૉંગ્રેસ ધારાસભ્ય અદિતિ સિંહે પણ કલમ 370 બાબતે ટ્વીટ કર્યું.

તેમણે લખ્યું , "કલમ 370 પર અમે બધા સાથે છીએ. જય હિન્દ."

આ ટ્વીટ પર લોકોએ અદિતિ સિંહને પૂછ્યું 'તમે તો કૉંગ્રેસી છો'. આના પર અદિતિએ કહ્યું કે 'હું ભારતીય છું.'

ટ્વિટર પર ઘણા લોકો અદિતિ સિંહની પ્રશંસા કરી રહ્યા છે.

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાના પુત્ર અને કૉંગ્રેસ નેતા દીપેન્દર સિંહ હુડ્ડાએ કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરવાનું સમર્થન કર્યું છે.

હુડ્ડાએ ટ્વીટમાં લખ્યું છે, "મારો પહેલાથી વિચાર રહ્યો છે કે 21મી સદીમાં કલમ 370નો કોઈ અર્થ નહીં રહી જતો અને ત્યાંથી હઠાવવી જોઈએ."

"આ દેશની અખંડતા અને જમ્મુ-કાશ્મીરની જનતા, જે આપણા દેશનો અભિન્ન અંગ છે, તેના હિતમાં છે."

"પણ આ વર્તમાન સરકારની જવાબદારી છે કે આને શાંતિ અને વિશ્વાસના વાતાવરણમાં લાગુ કરવામાં આવે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો