BBC TOP NEWS : સિંદૂર અને બંગડીઓ પહેરતાં નૂસરત જહાં સામે ફતવો

પ્રકાશિત

દારૂલ-ઉલૂમ-દેવબંધ દ્વારા નવા ચૂંટાયેલાં સંસદસભ્ય નૂસરત જહાં સામે ફતવો કાઢવામાં આવ્યો હતો, જેની મહિલા અને બાળકલ્યાણ પ્રધાન દેવશ્રી ચૌધરીએ ટીકા કરી છે અને કહ્યું કે 'આ કંઈ પાકિસ્તાન નથી, સંસદસભ્ય સામે કોઈ ફતવો કાઢી ન શકે.'

તા. 25મી જૂને નુસરત જહાં સંસદસભ્ય તરીકે શપથ લેવા પહોંચ્યા ત્યારે તેમણે સફેદ-ગુલાબી સાડી પહેરી હતી, હાથ ઉપર મહેંદી અને બંગડીઓ હતી, માથામાં સિંદૂર હતું તથા ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું, જેને 'બિન-ઇસ્લામિક' ઠેરવીને ફતવો કાઢવામાં આવ્યો હતો.

નૂસરતે ટ્વિટર ઉપર લખ્યું, 'માત્ર નફરત ફેલાવનારાઓ'ની વાતો ઉપર ધ્યાન નહીં આપે.

તા. 17 અને 18મીએ તુર્કી ખાતે નૂસરત જહાં લગ્નવિધિ ચાલી રહી હોવાથી શપથવિધિમાં હાજર રહી શક્યાં ન હતાં એટલે તેમણે મિત્ર મિમિ ચક્રવર્તી સાથે બાદમાં શપથ લીધાં હતાં.

નૂસરતે ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે લગ્ન કર્યું છે.

દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદ

'ઇન્ડિય એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર રવિવારના રોજ દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદ પડ્યો છે.

વલસાડમાં 10 કલાકની અંદર 203 મીમી વરસાદ પડ્યો હતો. અહીં નદીમાં પાણીનું સ્તર વધવા અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે રૅસ્ક્યૂ ટીમને પણ ખડપેગ રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. વાપીમાં પણ 220 મીમી વરસાદ નોંધાયો હતો.

બીજી તરફ ઇન્ડિયન મિટિયૉરોલૉજી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ગુજરાતમાં આ વર્ષે અને આ સમયગાળા દરમિયાન ગત વર્ષની તુલનામાં 5 ટકા વધુ વરસાદ પડ્યો છે.

અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 13 ટકા વરસાદ પડ્યા હોવાનું હવામાન વિભાગ જણાવે છે.

સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે વધુ વરસાદ પડ્યો છે.

આકાશ વિજયવર્ગીય જેલમુક્ત

ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ રવિવારે જામીન ઉપર જેલમાંથી બહાર આવ્યા.

તેઓ વિજયવર્ગીયની ઓફિસે પહોંચ્યા ત્યારે કથિત રીતે અજાણ્યા શખ્સો દ્વારા હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ સિવાય મીઠાઈ વહેંચી હતી અને ગોળીબાર પણ કર્યો હતો.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, હવામાં ચાર-પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો વીડિયો વાઇરલ થયો હતો, જેના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તા. 26મી જૂનના દિવસે ઇંદૌર મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા દબાણ-હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તે સમયે પ્રથમ વખત ધારાસભ્ય બનેલા આકાશે હાથમાં બૅટ લઈને અધિકારી ઉપર હુમલો કર્યો હતો.

આ વીડિયો વાઇરલ થતાં આકાશની ટીકા થઈ હતી અને હુમલા સમયે અધિકારીની વ્હારે ન આવવા બદલ કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સુરત : બ્રેક ના લાગતા પ્લેન રન-વેથી આગળ નીકળું ગયું

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર સુરત ઍરપૉર્ટ પર બ્રેક ન લાગતા સ્પાઇસજેટનું પ્લેન રન-વે પરથી આગળ નીકળી ગયું હતું. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

43 મુસાફરો સવાર ભોપાલ-સુરત ફ્લાઇટ SG3722 સુરત ઍરપૉર્ટ પર ઊતરી રહી હતી. પરંતુ સ્પષ્ટ ના દેખાવાને કારણે વિમાન રન-વેથી આગળ નીકળી ગયું હતું.

ઍરપૉર્ટ ડિરેક્ટર સંજયકુમાર પનીગ્રાહીના હવાલાથી અખબાર લખે છે, "ભોપાલથી આવેલી ફ્લાઇટ સુરતમાં રાતના 8.20 વાગે ઊતરી હતી. ત્યારે ફ્લાઇટ રન-વેના સેફ્ટી એરિયાથી આગળ નીકળી ગઈ હતી."

"અમારી ઇમર્જન્સી સર્વિસે તુરંત પ્રતિક્રિયા કરી અને દુર્ઘટના થતા અટકાવી. આ ઘટનામાં બધા મુસાફરો સુરક્ષિત છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો