બીબીસી આઇના રિપોર્ટ બાદ બાળકોની યૌનશોષણ સંબંધિત જાહેરાતો મુદ્દે સરકારની મેટાને નોટિસ – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રોદ્યોગિકી મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળકોનાં યૌનશોષણ અને દુર્વ્યવહાર સંબંધિત સામગ્રી મામલે મેટાને નોટિસ પાઠવી છે. એક સૂત્રે બીબીસીને આ વાતની પુષ્ટિ કરી છે.

બીબીસી આઇની તપાસમાં જાણવા મળ્યું છે કે ઇન્સ્ટાગ્રામ ભારતમાં બાળ જાતીય શોષણ સામગ્રીને પ્રોત્સાહન આપતી પેઇડ જાહેરાતો ચલાવી રહ્યું છે.

બીબીસી વર્લ્ડ સર્વિસ દ્વારા જોવામાં આવેલી જાહેરાતોમાં "બળાત્કાર વીડિયો" અને "બાળ વીડિયો" જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે અને વપરાશકારોને મૅસેજિંગ ઍપ્લિકેશન ટેલિગ્રામ પર ચૅનલના નામ સાથે લિંક મોકલવામાં આવે છે, જ્યાં તેઓ સામગ્રી ફક્ત 99 રૂપિયામાં ખરીદી શકે છે.

સૂત્ર અનુસાર, સરકારે ઇન્સ્ટાગ્રામને સીએસઇએએમ (બાળકોનાં યૌનશોષણ અને દુર્વ્યવહાર સંબંધિત સામગ્રી)ને પ્રબલન આપવા અને તેની પહોંચ સરળ બનાવવી બધી જાહેરાતો અને સામગ્રીને હઠાવી લેવાનો આદેશ આપ્યો છે.

તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રોદ્યોગિકી મંત્રાલયે મેટાને સાત દિવસમાં વિસ્તૃત સ્પષ્ટીકરણ માગ્યું છે.

સૂત્રો અનુસાર, આ નોટિસ કાલે એટલે કે શનિવારે સાંજે જારી કરાઈ છે.

આ કૉંગ્રેસ નેતાએ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર સામે કેમ ઉઠાવ્યા સવાલ?

કૉંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અભિષેક મનુસિંઘવીએ ભારતીય ક્રિકેટ ટીમનાં પ્રદર્શન અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે.

તેમનું નિવેદન ભારતની ઇંગ્લૅન્ડ સામેની બીજી ટી20 મૅચ હાર્યા બાદ આવ્યું હતું. બંને ટીમો વચ્ચેની પહેલી મૅચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી.

આ પહેલાં ભારતીય ટીમ આયર્લૅન્ડ સામે ટી20 સિરીઝ 2-0થી હારી હતી.

અભિષેક મનુસિંઘવીએ ઍક્સ પર લખ્યું, "ગૌતમ ગંભીરના કોચ રહેતા ભારતીય ક્રિકેટ ટીમ મૅચની સાથે-સાથે પોતાની દિશા પણ ખોઈ રહી હોય તેવું નજરે પડી રહ્યું છે. ઇંગ્લૅન્ડ સામે મળેલી હાર ફરી એક વખત યાદ અપાવે છે કે માત્ર પ્રતિષ્ઠાના દમ પર જ કોઈ ટીમને કોચ નહીં કરી શકાય."

તેમણે હર્ષિત રાણા પર પણ સવાલ ઉઠાવ્યો.

તેમણે લખ્યું, "એક સવાલ સતત ઊભો છે, આખરે હર્ષિત રાણાએ ટીમને એવું તો શું આપી રહ્યા છે કે તેમને વારંવાર તક મળી રહી છે? જવાબદારીને વૈકલ્પિક નહીં બનાવી શકાય."

મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ, મુંબઈ સહિત કયા જિલ્લામાં ઍલર્ટ?

મહારાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે વરસાદ ચાલુ છે. મુંબઈમાં પણ ભારે વરસાદને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારતના હવામાન વિભાગે રવિવારે મુંબઈ માટે રેડ ઍલર્ટ જારી કર્યું છે અને ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઍલર્ટ 6 જુલાઈ સુધી યથાવત્ રહેશે.

હવામાન વિભાગે મુંબઈ ઉપરાંત રાયગઢ, નાસિક, પાલઘર, થાણા, પુણે, સતારા અને રત્નાગિરી જિલ્લામાં પણ રેલ ઍલર્ટ જાહેર કર્યું છે.

મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઍક્સ પર એક પોસ્ટમાં તમામ ક્ષેત્રો મામલે જાણકારી આપી જ્યાં હવામાન વિભાગે ઍલર્ટ જારી કર્યું છે. તેમણે ઇમર્જન્સી હેલ્પલાઇન નંબરો પણ જારી કર્યા.

છેલ્લા 24 કલાકમાં મુંબઈ અને ઘાટમાથા ક્ષેત્રમાં ભારે વરસાદ પડ્યો છે. કોલાબામાં 265.6 મિમી અને સાંતાક્રૂઝમાં 227.7 મિમી વરસાદ નોંધાયો છે. આ આંકડો ચાર જુલાઈ સવારે આઠ વાગ્યાથી પાંચ જુલાઈ સવારે 8-30 વાગ્યા સુધીનો છે.

હેલ્પલાઇન નંબર

મુંબઈ- 1916

પાલઘર- 02525-297474 / +91 82379 78873

થાણા - 022-25364779 / 022-25301740 / +91 93723 38827

પનવેલ - 022-27458040 / 41 / 42

ખામેનેઈની અંતિમવિધિમાં લાખો લોકો ઉમટ્યા, જુઓ તસવીરો

માર્યા ગયેલા ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈને અંતિમ વિદાય આપવા માટે ઈરાનમાં ગઈકાલે ભારે ભીડ ઉમટી હતી.

આ અંતિમવિધિ તેહરાનના 'ગ્રાન્ડ મોસલ્લા'માં આયોજિત થઈ છે. અહીં બે દિવસનો શોક સમારોહ છે.

ઈરાની અધિકારીઓનું માનવું છે કે કુલ છ દિવસ સુધી ચાલનારા આ સમારોહમાં દોઢથી બે કરોડ લોકો સામેલ થશે.

ત્યારબાદ ખામેનેઈના મૃતદેહને ઈરાક પણ લઈ જવામાં આવશે. બુધવારે અલી ખામેનેઈના અંતિમસંસ્કાર માટે ઈરાકની રાજધાની બગદાદમાં બંધ પાળવામાં આવશે.

એસ. જયશંકર આજથી મધ્ય-પૂર્વના દેશોનો પ્રવાસ કરશે

ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર આજથી મધ્ય-પૂર્વ દેશોનો પ્રવાસ શરૂ થઈ રહ્યો છે. વિદેશ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જારી કરીને તેની માહિતી આપી હતી.

શનિવારે જારી આ પ્રેસ રિલીઝ પ્રમાણે જયશંકર 11 દિવસોના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. તેમનો આ પ્રવાસ પાંચ જુલાઈથી 15મી જુલાઈ સુધી ચાલશે.

આ દરમિયાન તેઓ મધ્ય-પૂર્વમાં કતાર, બહેરીન, કુવૈત, અને ઓમાન જશે. ત્યાર પછી તેઓ ન્યૂયૉર્ક અને બ્રસેલ્સની આધિકારિક યાત્રા પર રહેશે.

13મી જુલાઈએ ન્યૂયૉર્કમાં જયશંકર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 2028-29ના સમયગાળા દરમિયાનના ભારતના અભિયાનની શરૂઆત કરશે. અને બ્રસેલ્સમાં ભઙારત-ઈયુ ટ્રેડ એન્ડ ટૅક્નૉલૉજી કાઉન્સિલની ત્રીજી બેઠકમાં સામેલ થશે. આ દરમિયાન આ યુરોપિયન યુનિયન અને બેલ્જિયમમાં પોતના સમકક્ષોની સાથે મુલાકાત પણ કરશે.

મશહૂર પંડવાની ગાયિકા તીજનબાઈનું નિધન

મહાભારતનાં આખ્યાનોને પંડવાની ગાયન મારફતે દુનિયાભરમાં પહોંચાડનારાં મશહૂર લોકગાયિકા તીજનબાઈનું છત્તીસગઢની રાજધાની રાયપુરમાં રવિવારે વહેલી સવારે નિધન થઈ ગયું.

લાંબા સમયથી તેઓ બીમાર હતાં. રાયપુર એમ્સમાં તેમણે છેલ્લા શ્વાસ લીધાં હતાં.

તીજનબાઈ પોતાની બુલંદ અવાજ, પ્રભાવી અભિનય અને અનોખી પ્રસ્તુતિ શૈલીથી પંડવાનીને દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ નવી ઓળખ અપાવી.

મહાભારતની કથાઓને મંચ પર જીવંત કરવાની તેમની કલાએ તેમને દેશ અને દુનિયાભરમાં મશહૂર કરી દીધાં હતાં. તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તીજનબાઈનો જન્મ ભિલાઈના ગામ ગનિયારીમાં થયો હતો. તેમની ઉંમર 13 વર્ષની હતી ત્યારે તેમણે પહેલી વખત મંચ પર પ્રદર્શન કર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન