You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs ENG T20 : એ ઓવર જેને કારણે ભારતની પકડમાંથી મૅચ સરકી ગઈ અને ઇંગ્લૅન્ડ જીતી ગયું
ઇંગ્લૅન્ડે શનિવારે માન્ચેસ્ટરમાં રમાયેલી બીજી ટી20 મૅચમાં જૅકબ બેથલની શાનદાર ઇનિંગની મદદથી ભારતને ચાર વિકેટે હરાવી દીધું છે. ભારતે પહેલાં બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટનાભોગે 190 રન બનાવ્યા હતા.
તેના જવાબમાં તેના જવાબમાં ઇંગ્લૅન્ડે 6 બૉલ બાકી હતા ત્યારે આ મૅચ પોતાને નામે કરી હતી. ઇંગ્લૅન્ડે 19 ઓવરમાં 6 વિકેટના ભોગે 191 રન બનાવ્યા હતા.
ઇંગ્લૅન્ડ તરફથી જૅકબ બેથલે નૉટઆઉટ રહીને 76 રનની ઇનિંગ રમી હતી જ્યારે કે ભારત તરફથી અર્શદીપસિંહે ત્રણ વિકેટ લીધી હતી.
ભારતીય ટીમના કૅપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી. ભારત તરફથી સૌથી વધુ રન ઈશાન કિશને બનાવ્યા હતા. તેણે 49 રનની ઇનિંગ રમી હતી.
અભિષેક શર્માએ 43 રનનું યોગદાન આપ્યું હતું. કૅપ્ટન શ્રેયસ અય્યરે 22 બૉલમાં 37 રનની ઇનિંગ રમી જ્યારે કે તિલક વર્મા 24 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા.
ભારતીય ટીમમાં યુવાન બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીએ આ મૅચમાં ડૅબ્યૂ કર્યું હતું. જોકે, તેઓ પોતાની પહેલી ઇન્ટરનૅશનલ મૅચમાં માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. માત્ર દસ બૉલમાં બનાવેલા તેમના 14 રનમાં બે છક્કા પણ સામેલ હતા.
વિલ જૅક્સના બૉલ પર તેઓ વિકેટકીપર જોસ બટલરના હાથે સ્ટમ્પ આઉટ થયા હતા. ટૉસ પહેલાં વૈભવને ટીમના વાઇસ કૅપ્ટન તિલક વર્માએ ડૅબ્યૂ કૅપ આપી હતી. તેમને સંજુ સેમસનની જગ્યાએ લીધા હતા.
આ સાથે વૈભવ સૂર્યવંશી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડૅબ્યૂ કરનારા સૌથી નાની ઉંમરના ભારતીય ખેલાડી બની ગયા હતા. મૅન્સ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરના ખેલાડી બનવાનો રેકૉર્ડ આ પહેલાં સચીન તેંડુલકરના નામે હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સચીને 1989માં પાકિસ્તાનની સામે 16 વર્ષની ઉંમરમાં ટેસ્ટ મૅચમાં ડૅબ્યૂ કર્યું હતું. હાલ વૈભવની ઉંમર 15 વર્ષ છે.
આ જીત સાથે યજમાન ટીમે ટી20 મૅચની સિરીઝમાં 1-0થી બઢત મેળવી લીધી છે.
એક તબક્કે એવું લાગતું હતું કે આ મૅચ ભારતની મુઠ્ઠીમાં છે પરંતુ ભારતની બે ઓવર એવી હતી જેમાં પડેલા રનને કારણે ભારતની હાર થઈ.
રવિ બિશ્નોઈની ઓવર બની ટર્નિંગ પૉઇન્ટ
ઇંગ્લૅન્ડનો સ્કોર 16 ઓવર બાદ પાંચ વિકેટના ભોગે 142 રન હતો. જૅકબ બેથલ 36 બૉલમાં 42 રન બનાવીને રમી રહ્યા હતા. તેમની સાથે ક્રિઝ પર સૅમ કરન હતા. 24 બૉલમાં જીત માટે ઇંગ્લૅન્ડને 49 રન જોઈતા હતા. ભારત તરફથી રવિ બિશ્નોઈ 17મી ઓવર નાખવા માટે આવ્યા.
બિશ્નોઈએ પહેલો બૉ નો-બૉલ નાખ્યો. જૅકબ બેથલે ફ્રી હિટ પર છક્કો ફટકાર્યો. પછીના બૉલમાં બિશ્નોઈએ ડૉટ બૉલ નાખ્યો. પરંતુ ફરીથી તે નો-બૉલ જાહેર કરવામાં આવ્યો. ફરીથી બેથલે ફ્રી હીટમાં છક્કો ફટકાર્યો. ત્યાર પછીના ચાર બૉલમાં એક ચોક્કા અને એક છક્કાની મદદથી બેથલે વધુ 14 રન બનાવ્યા. આમ 17મી ઓવરમાં કુલ 29 રન બન્યા.
છેલ્લી બે ઓવરમાં હવે ઇંગ્લૅન્ડની ટીમને જીત માટે 18 બૉલમાં 20 રન બનાવવાના હતા. જે મુશ્કેલ નહોતા.
રવિ બિશ્નોઈ ભારત માટે ટી20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી મોંધી ઓવર નાખનારા સ્પિનર બની ગયા છે. ઓવરઑલ ભારત તરફથી આ ત્રીજી સૌથી મોંધી ઓવર છે. શિવમ દુબેએ ન્યૂઝીલૅન્ડ સામે 34 રન આપ્યા હતા.
સ્ટુઅર્ટ બિન્નીએ વેસ્ટઇન્ડિઝ સામે 2016માં 32 રન આપ્યા હતા. રવિ બિશ્નોઈ પહેલાં સુરેશ રૈના ટી20 ઇન્ટરનૅશનલમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપનારા ભારતીય સ્પિનર હતા. તેમણે 2012માં ન્યૂઝીલૅન્ડ સામે 26 રન આપ્યા હતા.
આ મૅચમાં રવિ બિશ્નોઈની પહેલાં પણ અર્શદીપસિંહની ઓવરમાં 27 રન આપ્યા હતા. ત્રીજી જ ઓવરમાં હૅરી બ્રૂકે અર્શદીપસિંહની ઓવરમાં ત્રણ સિક્સર અને બે ફોરની મદદથી 27 રન બનાવ્યા હતા.
જ્યારે કે એક તબક્કે ભારતે મૅચ પર પકડ મેળવી લીધી હતી અને એક રન પર ઇંગ્લૅન્ડનો સ્કોર બે વિકેટના ભોગે એક રન હતો. પરંતુ અર્શદીપસિંહ અને રવિ બિશ્નોઈની મોંઘી ઓવરને કારણે આ મૅચ ભારતના હાથમાંથી સરકી ગઈ.
આ બંને ઓવર મળીને ભારતે 56 રન આપ્યા.
કૅપ્ટન શ્રેયસ અય્યરે શું કહ્યું?
મૅચ બાદ કૅપ્ટન શ્રેયસ અય્યરે પણ રવિ બિશ્નોઈની 17મી ઓવરને ટર્નિંગ પૉઇન્ટ ગણાવી હતી.
શ્રેયસ અય્યરે કહ્યું, "15 ઓવર બાદ મૉમેન્ટમ જતું રહ્યું હતું. રવિ બિશ્નોઈએ એક નો-બૉલ નાખ્યો. મને એમ હતું કે તેઓ મજબૂતી સાથે વાપસી કરશે."
"પરંતુ ફરી તેમણે એક નો-બૉલ નાખ્યો. સતત બે નો-બૉલે અમને પરેશાન કર્યા. 17મી ઓવરમાં મૅચ અમારા હાથમાંથી જતી રહી. નિશ્ચિત અમારે તેમાંથી બોધ લેવાનો રહેશે."
શ્રેયસ અય્યરના કૅપ્ટન બન્યા બાદ ભારત એક પણ મૅચ જીતી શક્યું નથી.
તેમની કૅપ્ટનશિપમાં રમાયેલી ચારેય મૅચમાં ટીમ ઇન્ડિયા જીતી નથી શકી. આયર્લૅન્ડ સામે સિરીઝની હાર બાદ ઇંગ્લૅન્ડમાં પણ નિરાશાજનક પ્રદર્શન યથાવત્ છે.
સોશિયલ મીડિયા પર ફૅન્સ ભારતની હાર માટે રવિ બિશ્નોઈને જવાબદાર ગણાવે છે. ત્યાં ક્રિકેટના જાણકારો પણ તેમના પ્રદર્શનને લઈને સવાલો કરી રહ્યા છે.
રવિ બિશ્નોઈની કેમ થઈ રહી છે આલોચના?
સોશિયલ મીડિયા પર ફૅન્સ ભારતની હાર માટે રવિ બિશ્નોઈને જવાબદાર ગણાવે છે. ત્યાં ક્રિકેટના જાણકારો પણ તેમના પ્રદર્શનને લઈને સવાલો કરી રહ્યા છે.
ક્રિકેટના વિશ્લેષક અયાઝ મેમણે મૅચ બાદ ભારતની આ બે મોંઘી ઓવર મામલે ઍક્સ પર લખ્યું, "અર્શદીપ અને બિશ્નોઈની બે મોંઘી ઓવર, જેમાં કુલ 56 રન બન્યા. જે ભારતની હારનું કારણ બન્યા અને ટીમ જીતનું ખાતું ન ખોલી શકી."
મેમણે બિશ્નોઈની ભૂલો અને ભારતના ત્રણ સ્પિનરો સાથે રમવાના નિર્ણય સામે પણ સવાલો ઉઠાવ્યા.
તેમણે લખ્યું, "બિશ્નોઈ સતત ભૂલો કરતા રહ્યા અને ઇંગ્લૅન્ડના બૅટ્સમૅનો તેનો ફાયદો ઉઠાવતા રહ્યા. ત્રણ સ્પિનરો સાથે ઉતરવાની ભારતની રણનીતિ પૂર્ણ પ્રકારે નાકામ રહી."
ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ કહ્યું કે કોઈ પણ મૅચમાં નો-બૉલ સ્વીકાર્ય નથી. તે પણ સ્પિનર્સથી આ ભૂલ થાય તો તે ગંભીર છે.
તેમણે ઍક્સ પર લખ્યું, "કોઈ પણ સ્ટેજમાં નો-બૉલ સ્વીકાર્ય નથી. સ્પિનરથી આ પ્રકારની ભૂલો તો સ્વીકાર્ય નથી જ. એક જ મૅચમાં ત્રણ નો-બૉલ કરવા તો બિલકુલ સ્વીકાર્ય નથી."
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ લખ્યું, "ટી20 ફૉર્મેટમાં કોઈ પણ બૉલર માટે સહાનુભૂતિ જોઈએ. પરંતુ રવિ બિશ્નોઈ આઈપીએલ 2026માં રાજસ્થાન રૉયલ્સના નિયમિત ખેલાડી પણ નથી. છતાં તેમની પાસે ટીમ ઇન્ડિયા માટે આ મહત્ત્વની ગણાતી ઓવર કેમ કરાવવામાં આવી? કોઈ મને આ સમજાવશે?"
વરિષ્ઠ ખેલ પત્રકાર વિક્રાંત ગુપ્તાએ ઍક્સ પર લખ્યું, "શું આ માત્ર સંયોગ છે કે આ મૅચમાં રવિ બિશ્નોઈએ ચાર ઓવરમાં ત્રણ નો-બૉલ ફેંક્યા? શું તેઓ નેટ્સમાં પણ આવું કરી રહ્યા હતા અને તે પણ સ્પિન કોચ સાઇરાજ બહુતુલેની ઉપસ્થિતિમાં?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન