You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘રાહુલ ગાંધી કોઈ પણ જગ્યાએ કંઈ પણ બોલી દે છે’ - ભાજપના નેતાએ આવું નિવેદન કેમ આપ્યું?
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટે આપેલા ચુકાદા પર રાજકીય નેતાઓએ ટિપ્પણી અને પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. સત્તા પક્ષ અને વિપક્ષી નેતાઓ તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
ભારતીય જનતા પક્ષના સંસદ સભ્યો, કેન્દ્રીય નેતાઓ અને પક્ષ પ્રવક્તાઓ સ્વાભાવિક રીતે જ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરી રહ્યા છે અને રાહુલ ગાંધી માટે કટાક્ષયુક્ત નિવેદનો આપી રહ્યા છે. જ્યારે કૉંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીના ટેકામાં ઊભા રહ્યા છે.
ભાજપના આઈટી સેલના ઇન્ચાર્જ અમિત માલવિયાએ ટ્વીટ કરીને લખ્યું, ‘સમાજના એક વર્ગને નિશાન બનાવી જાતિગત અને અપમાનજનક ટિપ્પણી કરવાના કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. તે ગંભીર નથી અને જોખમી છે અને ભારત તથા ભારતીયો માટે તેમને સન્માન નથી. તેમણે તાજેતરમાં યુરોપ અને અમેરિકાની ભારતની આંતરિક બાબતમાં દખલગીરી માગી હતી.’
ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કહ્યું,‘એ ફરી પુરવાર થયું કે રાહુલ ગાંધી ખોટા છે. એક વ્યક્તિ તરફની નફરતે તેમને આખા સમાજ સામે હુમલો કરવા પ્રેરી દીધા. તેમણે રફાલ વિશે સુપ્રીમની પણ માફી માગી હતી.’
દરમિયાન, કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજૂએ પ્રતિક્રિયામાં એએનઆઈને કહ્યું,‘કંઈ કહેતા પહેલા હું ચુકાદાના વિગતો જોઈશ. રાહુલ ગાંધી હંમેશાં કંઈ પણ બોલે એનાથી કૉંગ્રેસ પાર્ટી અને આખા દેશને નકારાત્મક રીતે નુકસાન કરે છે. મને કેટલાક કૉંગ્રેસી નેતાઓએ કહ્યું હતું કે રાહુલ ગાંધીના અભિગમને લીધે પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે.’
30 દિવસ માટે સજા સસ્પેન્ડ
વધુમાં સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં પણ કેટલાંક નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી.
જેમાં પૂર્ણેશ મોદીના વકીલ કેતન રેશમવાલાએ સજા વિશે કહ્યું કે,'30 દિવસ માટે સજા સસ્પેન્ડ કરેલ છે અને અપીલ માટે 30 દિવસનો સમય આપવામાં આવેલ છે.'
ઉપરાંત ગુજરાતના ભાજપ પ્રમુખ અને નવસારીના સાસંદ સી. આર. પાટીલે આ વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું, 'જે રીતે રાહુલ ગાંધી કોઈ વ્યક્તિ સમાજ વિશે કંઈક બોલી દે છે એમનું નિયંત્રણ નથી રહેતું. એટલે ગુજરાતના કેબિનેટ મંત્રીએ કેસ કર્યો હતો. આશા છે તેઓ હવે સુધાર લાવશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વળી જેમણે કેસ કર્યો હતો એવા ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આ ચુકાદા વિશે કહ્યું, 'કોર્ટનો નિર્ણય આવકાર્ય છે.'
સુરત શહેર કૉંગ્રેસના નેતા નૈષધ દેસાઈએ આ ચુકાદા વિશે કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. અને કહ્યું કે લેખિત ચુકાદો બાદમાં આવશે. ત્યાર પછી કંઈ કહી શકાશે.
સુરતના સાસંદ અને કેન્દ્રીય કાપડ મંત્રી દર્શના જરદોશે આ વિશે એનએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું, ‘આ બાબત સુરતના સમાજ અને વડા પ્રધાન સાથે જોડાયેલી છે. આખો સમાજ જ્યારે આગળ આવ્યો ત્યારે આજે તેમને ખબર પડી ગઈ. અને તેઓ ગમે તે જગ્યાએ કંઈ પણ બોલી દે છે. તેમણે સુરતની સાથે સાથે આખા ય ઓબીસી સમાજનું અપમાન કર્યું છે.’
બીજી તરફ રાહુલ ગાંધીએ ચુકાદા બાદ ટ્વીટ કર્યું હતું. તેમાં તેમણે મહાત્મા ગાંધીનો સુવિચાર લખ્યો હતો.
તેમણે લખ્યું, ‘મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે, અહિંસા એને મેળવવાનું સાધન’
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ ચુકાદા વિશે ટ્વીટ કર્યું. તેમણે લખ્યું, ‘બિન-ભાજપી નેતાઓ અને પાર્ટીઓ પર કેસ કરીને તેમને ખતમ કરવાનું ષડ્યંત્ર થઈ રહ્યું છે. અમારે કૉંગ્રેસ સાથે મતભેદ છે પણ રાહુલ ગાંધીને આ રીતે માનહાની કેસમાં ફસાવવા યોગ્ય નથી. જનતા અને વિપક્ષનું કામ છે સવાલ પૂછવો. અમે અદાલતનું સન્માન કરીએ છીએ પણ આ નિર્ણયથી સંમત નથી.’
રાહુલ ગાંધી શું બોલ્યા હતા?
વિવિધ અહેવાલો અનુસાર તેમણે ભાષણમાં કહ્યું હતું, ‘નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી. બધા જ ચોર મોદી કેમ છે. બધાની સરનેમ કેમ મોદી છે.’