IND vs PAK : બાબર આઝમ કે વિરાટ કોહલી કોનું પલ્લું ભારે?

    • લેેખક, વિધાંશુ કુમાર
    • પદ, બીબીસી માટે
  • પ્રકાશિત

ક્રિકેટજગતમાં આનાથી મોટી ટક્કર બીજી કોઈ નથી, ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો જ્યારે મેદાન પર સામસામે હોય છે ક્યારે સ્ટેડિયમમાં એક પણ સીટ ખાલી રહી જાય એનો કોઈ સવાલ જ નથી.

મૅચની તમામ ટિકિટો ગણતરીની મિનિટોમાં બુક થઈ જાય છે. તેની સાથે જ ટીવી પર મૅચનું પ્રસારણ થતાં જાહેરાતો મારફતે ધૂમ કમાણી થાય છે.

એવી જ એક મૅચ શનિવારે શ્રીલંકમાં રમાવા જઈ રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વન ડે મૅચ ચાર વર્ષ પછી રમાવાની છે. બંને ટીમો છેલ્લે 2019માં વર્લ્ડકપમાં સામસામે આવી હતી જેમાં ભારતીય ટીમનો વિજય થયો હતો.

આ વખતે પણ દર વખતની જેમ ભારત પાકિસ્તાન વચ્ચેની મૅચને લઈને ભારે ઉત્સાહ છે પરંતુ તેની પર વરસાદ ન ફરી વળે તેની આશંકા છે.

શનિવારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ બંને ટીમના ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ આવે પણ મૅચ પછી.

રેકૉર્ડ્સ બનાવી શકશે બાબર અને વિરાટ

પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમ જબરદસ્ત ફૉર્મમાં છે. ત્યારે ભારતીય બૅટિંગના સ્ટાર વિરાટ કોહલી પણ જૂના ફૉર્મમાં આવવા માટે મહેનત કરી રહ્યા છે. આ બંને ચૅમ્પિયન નવા રેકૉર્ડ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે.

બાબાર આઝમે વર્તમાન એશિયા કપની મૅચમાં નેપાળ વિરુદ્ધ જબરદસ્ત સદી ફટકારી હતી.

એક વધુ સદી બનાવે તો તેઓ પોતાના દેશના મહાન ઓપનર સઈદ અનવરના વન ડેમાં 19 સદીના રેકૉર્ડથી આગળ નીકળી જશે.

ત્યારે જ વિરાટ કોહલી જે ખેલાડીનો રેકૉર્ડ તોડવા માગે છે તે બીજું કોઈ નહીં પણ સચીન તેંડુલકર છે.

વન ડેમાં 13 હજાર રનનો આંકડાથી કોહલી માત્ર 102 રન દૂર છે. તેંડુલકરે 321 ઇનિંગ્સમાં 13 હજાર રન પૂરા કર્યા હતા જ્યારે કોહલી હજુ માત્ર 265 ઇનિંગ્સ રમ્યા છે.

કોહલી અને આઝમ ક્રિકેટના મહાનતમ ખેલાડીઓના રેકૉર્ડ તોડી શકે છે પરંતુ એકબીજાના હૃદયમાં એકમેક પ્રત્યે આદરભાવ પણ છે.

હાલમાંજ કોહલીએ સ્ટા સ્પોર્ટ્સને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે બાબર આઝમ કદાચ હાલના સમયમાં બધા ફૉર્મેટના સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન છે.

ત્યારે બાબર આઝમે કહ્યું હતું કે જ્યારે તેઓ 2019માં પ્રથમ વખત કોહલીને મળ્યા હતા ત્યારે તેઓ પોતાની બૅટિંગમાં ટોચ પર હતા અને આજે પણ છે.

આઝમે કહ્યું કે, ત્યારે મેં તેમને તેમની બૅટિંગ વિશે પૂછ્યું હતું જેનો તેમણે વિસ્તારથી જવાબ આપ્યા હતા અને મેં તેમની પાસેથી ઘણું શીખ્યું હતું.

એમાં કોઈ શંકા નથી કે બંને બૅટ્સમૅન એક બીજાનું સન્માન કરે છે પરંતુ પાકિસ્તાનના પૂર્વ કૅપ્ટન વસીમ અકરમે એવું કહ્યું કે કોહલીના ફૅન્સ ખુશ થઈ ગયા.

અકરમે કહ્યું કે બાબર આઝમ હાલના સમયમાં મહાન ખેલાડી છે પરંતુ તેઓ હજુ કોહલી નથી. ત્યાં સુધી પહોંચવામાં સમય લાગશે.

એવું કહું છું એટલે મારે મારા દેશમાં સાંભળવું પડશે પરંતુ કદાચ એટલે જ હું સિલેક્ટર નથી બની શકતો. બંનેમાંથી એકને પસંદ કરવાના હોય તો હું કોહલીને કરું.

પાકિસ્તાનની બૉલિંગ- મૅચ જિતાડી શકે

પોતાના હાલના એક ઇન્ટરવ્યુમાં કોહલીએ કહ્યું ' પાકિસ્તાનની બૅટિંગ મજબૂત છે પરંતુ તેમની બૉલિંગ જ તેમને વિજેતા ટીમ બનાવે છે.'

એમાં કોઈ શંકા નથી કોહલી પાકિસ્તાનની ફાસ્ટ બૉલિંગને મોટો ખતરો માને છે. પાકિસ્તાન પાસે શાહીન આફ્રિદી, નઈમ શાહ અને હારિસ રઉફના રૂપમાં ફાસ્ટ બૉલર્સ છે.

તેમની પાસે બ્રેક આપી શકે તેવા સ્પિનર્સ પણ છે- શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ.

શાહીન આફ્રિદીનાં વખાણ કરતાં વેસ્ટ ઇન્ડીઝના મહાન બૉલર વિવિયન રિચર્ડ્સે કહ્યું કે આવનારી ટુર્નામેન્ટમાં તેઓ જે બૉલરને ટૉપ પર રહેવાની વકીલાત કરશે તે શાહીન આફ્રિદી હશે.'

એમ પણ ભારત અને પાકિસ્તાનની મૅચ ભારતની બૅટિંગ અને પાકિસ્તાનની બૉલિંગ વચ્ચેની સ્પર્ધા માનવામાં આવે છે. આ રીતે મજબૂત પાકિસ્તાની બૉલિંગ અને એટલી જ દમદાર ભારતીય બૅટિંગ માટે આ મૅચ એક મોટો પડકાર છે.

બુમરાહ પર નજર

એક તરફ જ્યાં તમામનું ધ્યાન ભારતીય બૅટિંગ પર હશે, ભારતીય મૅનેજમેન્ટે જે ખેલાડી પર સૌથી નજીકથી નજર રાખી છે એ છે ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ.

એક લાંબા સમય સુધી ઈજાને કારણે બહાર રહ્યા બાદ બુમરાહ હાલમાં જ આયર્લૅન્ડ સિરીઝમાં પાછા રમ્યા અને તેમણે એ મૅચમાં ચાર ઓવર્સની સારે બૉલિંગ કરી.

પરંતુ ભારતીય ટીમની સામે અત્યારે એશિયા કપ અને ત્યાર બાદ વન ડે વિશ્વકપનો પડકાર છે. અને મૅનેજમેન્ટે જોવાનું છે કે બુમરાહ વનડેમાં લાંબા સ્પેલ કેવી રીતે નાખે છે.

બુમરાહે આયર્લૅન્ડની સિરીઝ બાદ કહ્યું કે તેઓ મૅચમાં 10 ઓવર્સ નાખવા માટે તૈયાર છે અને આની પહેલી પરીક્ષા પાકિસ્તાન સામેની મૅચમાં થશે.

બુમરાહ સાથે મોહમ્મદ સિરાજ ભારતીય પેસ અટૈકને સંભાળશે. ભારતીય બૉલર્સની યાદી તૈયાર કરવામાં એક મુશ્કેલી એ પણ છે કે શું બૅટિંગ લાઇન અપને લાંબી કરવામાં આવે?

કારણ કે નંબર સાત પર જાડેજા પછી ચાર બૉલર્સ આવશે જેમની બૅટિંગ ટીમમાં બહુ ઉત્સાહ વધારે તેવી નથી રહી.

આઠમા નંબર પર શમીની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને લાવી શકાય છે.

સ્પિનની જવાબદારી રવીન્દ્ર જાડેજા સાથે કુલદીપ યાદવ પર હશે. હાર્દિક પંડ્યાના રૂપમાં ટીમમાં છઠ્ઠો બૉલિંગ ઑપ્શન પણ છે.

પાકિસ્તાનની બૅટિંગ

પાકિસ્તાનની બૅટિંગ લાઇન અપમાં જ્યાં બાબર આઝમે નેપાળ વિરુદ્ધ સદી ફટકારીને પોતે ફૉર્મમાં હોવાનું સાબિત કરી દીધું છે ત્યારે ગત સાત ઇનિંગ્સમાં માત્ર 139 રન બનાવવાવાળા ફખર ઝમાન ફીકા પડી ગયા છે.

આશા છે કે મોટી મૅચ માટે મોટા ખેલાડી ઝમાન ભારત વિરુદ્ધ સારું પ્રદર્શન કરશે. પાકિસ્તાનની બૅટિંગ માટે સારી વાત એ છે કે તેમની ઇનિંગ્સ લાંબી ચાલે છે.

ટીમમાં છઠ્ઠા નંબર પર ઇફ્તિખાર અહમદ અને સાતમા ક્રમે શાદાબ ખાન જેવા અનુભવી બૅટર્સ હાજર છે. તે બાદ આઠમા નંબર પર નવાજ સારા ઑલરાઉન્ડર છે.

નેપાળ વિરુદ્ધ મૅચમાં બાબર આઝમ અને ઇફ્તિખાર અહમદ બંનેએ સદી ફટકારી અને 214 રનની પાર્ટનરશિપ નિભાવી છે.

મૅચ પછી 71 બૉલ પર 109 રન બનાવનારા અહમદે કહ્યું કે તેમણને અને બાબરે એવી જ પાર્ટનરશિપ નિભાવી જેની કાકા-ભત્રીજા પાસે આશા કરી શકાય.

એ વાત પાકિસ્તાનની ટીમમાં એકતાનો પુરાવો આપે છે.

ભારતની બૅટિંગ

આમ તો ભારતીય ટીમ પોતાની બૅટિંગ માટે જાણીતી છે અને પૂર્વ કોચ રવિ શાસ્ત્રી પણ કહે ચે કે 2011 પછી આ બેસ્ટ ભારતીય ટીમ છે છતાં ભારતીય ટીમની બૅટિંગમાં કેટલાક પ્રશ્નો છે.

વેસ્ટ ઇન્ડીઝની સિરીઝમાં ઈશાન કિશને ત્રણ અર્ધસદી ફટકારી છે પરંતુ તેઓ ઓપનિંગ કરતા હતા અને જ્યારે જ્યારે રોહિત શર્મા એશિયા કપમાં પાછા ફરશે ત્યારે ઈશાન કશિનને નીચે આવવું પડશે.

ટીમના બે અનુભવી ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી પોતાના બૅસ્ટ ફૉર્મથી દૂર છે અને ટીમ તેમને જલદી જ તેમના બેસ્ટ ફૉર્મમાં જોવા માગે છે.

જોકે ઈજા પછી શ્રેયર ઐય્યરની વાપસી થઈ રહી છે અને તેઓ ભારતીય મિડલ ઑર્ડરને મજબૂત બનાવશે.

2019 પછી ચોથા ક્રમે ઐય્યરે 47ની સરેરાશતી 805 રન બનાવ્યા છે અને તેઓ આવાજ ફૉર્મમાં રહેશે એવી આશા છે.

ભારત પાકિસ્તાન વચ્ચે મૅચના બધા ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ આ મૅચમાં વરસાદ ખલેલ પાડી શકે છે.

વરસાદને કારણે મૅચ મોડી શરૂ થાય એવું બની શકે છે. બંને ટીમના ફૅન્સને આશા છે કે મૅચ પૂરી 50 ઓવર ચાલે. જો બધું ઠીક રહ્યું અને બંને ટીમો ફાઇનલ સુધી પહોંચે તો એશિયા કપમાં ત્રીજી વખત ભારત પાકિસ્તાન ટીમ ટકરાશે.

આ ટુર્નામેન્ટને વર્લ્ડકપની તૈયારીના રૂપમાં જોવામાં આવી રહી છે.