You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિપરજોય વાવાઝોડું : ભુજ પાસે આખો પુલ ધોવાયો, વાવાઝોડું નબળું થયું પણ હજી ભારે વરસાદનું જોખમ
બિપરજોય વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું એ બાદ શું થયું, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલી નુકસાની થઈ?
લાઇવ કવરેજ
ગુજરાત પર ત્રાટકનારાં વાવાઝોડાંની સંખ્યા કેમ વધી રહી છે?
વાવાઝોડાંના સર્જન અને દરિયાની સપાટીના તાપમાન વચ્ચે સીધો સંબંધ છે. આ વધતાં જતાં તાપમાન માટે જળવાયુ પરિવર્તનને મહત્ત્વપૂર્ણ જવાબદાર પરિબળ માનવામાં આવે છે.
માત્ર ભારત જ નહીં પાકિસ્તાન યમન અને ઓમાન જેવા દેશોમાં પણ અગાઉ કરતાં વધુ સંખ્યામાં અને વધુ શક્તિશાળી વાવાઝોડાં જોવા મળી રહ્યાં છે.
પુણેસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મીટિયૉરૉજિકલ ખાતે દરિયાઈ તાપમાનના અભ્યાસુ વરિષ્ઠ વિજ્ઞાની ડૉ. રૉક્સી મૈથ્યૂ કોલના કહેવા પ્રમાણે, "ક્લાઇમેટ ચેન્જના કારણે તાજેતરના દાયકામાં અરબ સાગરની સપાટીના તાપમાનમાં 1.2 ડિગ્રીથી 1.4 ડિગ્રી જેટલી વૃદ્ધિ થઈ છે. જે સાયક્લોનના સર્જન માટે જરૂરી ઊર્જા પૂરી પાડે છે."
"અગાઉ અરબ સાગરની સપાટી ઠંડી હતી જેના કારણે દરિયામાં લો પ્રેશર એરિયા, ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન સર્જાતાં હતાં, પરંતુ પશ્ચિમ-મધ્ય તથા ઉત્તર અરબ સાગરની જળસપાટીનું તાપમાન નીચું રહેતું હોવાને કારણે તે વાવાઝોડાંનું સ્વરૂપ ધારણ કરી શકતાં ન હતાં, પરંતુ દરિયાઈ સપાટીના ઉચ્ચ તાપમાનને કારણે ન કેવળ ડિપ્રેશન વાવાઝોડાંનું સ્વરૂપ ધારણ કરે છે, પરંતુ તેની તીવ્રતા પણ વધુ હોય છે."
રાજ્યમાં સામાન્ય રીતે મે-જૂન મહિના દરમિયાન ચોમાસું બેસતું હોય ત્યારે અને ઑક્ટોબર-નવેમ્બરમાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસું પૂરું થાય ત્યારે વાવાઝોડાં જોવા મળતાં હોય છે. ત્યારે શું તાજેતરનાં વર્ષોમાં ગુજરાતમાં વાવાઝોડાં વધ્યાં છે, તેવા સવાલના જવાબમાં ડૉ. કૌલ જણાવે છે :
"વાવાઝોડાનું સર્જન દરિયામાં થતું હોય છે. તેની ઉપરના વાતાવરણમાં રહેલી હવા આ વાવાઝોડાની દિશા નક્કી કરે છે. વાવાઝોડાનો માર્ગ દરિયામાં તેના સર્જનસ્થળ અને તેની ઉપરના વાતાવરણમાં રહેલી હવાની દિશા ઉપરથી નક્કી થતો હોય છે. સામાન્ય રીતે આ સમયગાળામાં અરબ સાગરમાં જે વાવાઝોડાં ઉત્પન્ન થાય છે, તેની દિશા ગુજરાત તરફની હોય છે."
અગાઉ દેશના પૂર્વ ભાગમાં બંગાળની ખાડી ઉષ્ણકટીબંધીય વાવાઝોડાંની સંખ્યા અને તીવ્રતા માટે પંકાયેલી હતી, પરંતુ તાજેતરનાં વર્ષોમાં અરબ સાગરમાં પણ આ પ્રકારનું જ વલણ જોવા મળી રહ્યું છે.
સમગ્ર અહેવાલ વાંચવા લિંક પર ક્લિક કરો - બિપરજોય વાવાઝોડું: ગુજરાત પર ત્રાટકનારાં વાવાઝોડાંની સંખ્યા અને તીવ્રતા કેમ વધી રહી છે?
બિપરજોય વાવાઝોડું: ગુજરાત પર ત્રાટકનારાં વાવાઝોડાંની સંખ્યા અને તીવ્રતા કેમ વધી રહી છે?
બ્રેકિંગ, ક્યાંક વૃક્ષો તો ક્યાંક થાંભલા પડ્યા, છાપરાં ઊડ્યાં
બિપરજોય વાવાઝોડાના કારણે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં વૃક્ષો, થાંભલા અને ટાવર ધરાશાયી થઈ ગયા હતા. સાથે જ છાપરાં પણ ઊડી ગયાં હતાં.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 પર રાજકોટ-પોરબંદર વચ્ચે છેલ્લા 24 કલાકમાં 20 જેટલાં વૃક્ષો ધરાશાયી થયાં હતાં, જેને ત્યાંથી હઠાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર શહેરમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી, શહેરમાં તેજ ગતિએ પવન ફૂંકાયો હતો અને રતનપરમાં પણ વૃક્ષ ધરાશાયી થયાં હતાં.
યાત્રાધામ દ્વારકામાં પણ અનેક વિસ્તારોમાં નાનાં-મોટાં વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં. પવનની ગતિ અને વરસાદને કારણે દ્વારકાના મુખ્ય માર્ગો પર આવેલાં જૂનાં વૃક્ષો જડમૂળમાંથી ઊખડી ગયાં હતાં.
વાવાઝોડા અંગેની તાજી માહિતી
હવામાનવિભાગે આપેલી માહિતી પ્રમાણે બિપરજોય વાવાઝોડું જખૌ બંદરથી 50 કિલોમિટર દૂર હતું અને દેવભૂમિ દ્વારકાથી વાવાઝોડું 110 કિલોમિટર દૂર હતું.
હવામાનવિભાગે માહિતી આપી છે કે વાવાઝોડું ટકરાવાની શરૂઆત થઈ ગઈ છે અને લૅન્ડફોલની આ પ્રક્રિયા હજી પાંચ કલાક સુધી ચાલવાની શક્યતા છે. હવામાનવિભાગે આ અંગેના નકશા પણ ટ્વીટ કર્યા છે.
થોડા કલાકો સુધી કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે જ વરસાદ પણ પડી રહ્યો છે. રાજકોટ, મોરબી, જૂનાગઢ સહિતના આસપાસના જિલ્લામાં પણ વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે.
બિપરજોય વાવાઝોડું દરિયામાં આટલા લાંબા સમય સુધી કેવી રીતે ટકી રહ્યું?
બિપરજોય વાવાઝોડાની અસર શરૂ, તોફાન પહેલાં દૃશ્યો જુઓ તસવીરોમાં
વાવાઝોડું કચ્છ પર ટકરાયું, હવે કેવી છે સ્થિતિ?
હવામાનવિભાગે માહિતી આપી છે કે બિપરજોય વાવાઝોડાની ગુજરાત સાથે ટકરાવાની શરૂઆત થઈ ગઈ છે અને આ પ્રક્રિયા હજી પાંચથી છ કલાક સુધી ચાલશે.
વાવાઝોડું ટકરાયું એ વખતે શું થયું અને હવે શું થવાની શક્યતા છે, જુઓ લાઇવ.
બ્રેકિંગ, વાવાઝોડું ટકરાવાની શરૂઆત, હવામાનવિભાગે શું ચેતવણી આપી?
હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રે બિપરજોય વાવાઝોડા અંગે પત્રકારપરિષદમાં લેટેસ્ટ માહિતી જાહેર કરતાં કહ્યું હતું કે, “હાલ વાવાઝોડું જખૌ બંદરથી 70 કિલોમિટર દૂર છે. હાલ વાવાઝોડું 15 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની જમણી તરફનો ઘેરાવ હાલ દરિયા કાંઠાના વિસ્તારોમાં પ્રવેશી રહ્યો છે."
"તેથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં લૅન્ડફોલની પ્રવૃત્તિ શરૂ થઈ ચૂકી છે. હાલની સ્થિતિ પ્રમાણે અસરગ્રસ્ત વિસ્તારોમાં 60-80 કિલોમિટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે. તેમાં ધીરે ધીરે વધારો થશે. આ વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે, આગામી સમયમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે."
"કચ્છના અખાતની આસપાસના જિલ્લાઓમાં બેથી ત્રણ મીટર ઊંચા મોજાં જોવા મળશે. લૅન્ડફોલની પ્રક્રિયા મધ્ય રાત્રિ સુધી ચાલશે. આ વાવાઝોડાને લઈને સૌથી ભયંકર બાબત છે. આને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોએ બહાર ન નીકળવું અને સલામત સ્થળે રહેવું.”
તેમણે સ્થિતિને લઈને તકેદારીનાં પગલાં સૂચવતાં કહ્યું હતું કે, “વાવાઝોડાને લઈને તંત્ર, સરકાર અને હવામાન વિભાગ દ્વારા અપાઈ રહેલાં સૂચનોનું પાલન કરવું.”
વાવાઝોડાની ‘આઈ’ અને તેની તીવ્રતા અંગેના સવાલનો જવાબ આપતાં મહાપાત્રે જણાવ્યું હતું કે, “મધ્ય રાત્રિ સુધી વાવાઝોડાની ‘આઈ’ જમીન પર હશે. વાવાઝોડાના કારણે ફૂંકાઈ રહેલા પવનોની ઝડપ ખૂબ જલદી વધશે. વાવાઝોડાના કારણે ફૂંકાઈ રહેલા પવનોની 115થી 125 કિલોમિટર પ્રતિ કલાક હશે, જે 140 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે. હાલ પવનની ગતિમાં વધારો થવા લાગ્યો છે. વાવાઝોડાનો અગ્ર ભાગ, મધ્ય ભાગ અને પછી પાછલો ભાગ જમીન પરથી પસાર થતાં મધ્ય રાત્રિ સુધીનો સમય થશે.”
બ્રેકિંગ, વાવાઝોડું ગુજરાત સાથે ટકરાવાનું શરૂ
હવામાનવિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગુજરાત સાથે બિપરજોય વાવાઝોડું ટકરાવાની શરૂઆત થઈ ગઈ છે અને લૅનડફોલની પ્રક્રિયા હજી મોડી રાત સુધી ચાલુ રહેશે.
બ્રેકિંગ, દ્વારકાનું મંદિર શુક્રવારે પણ બંધ
બિપરજોય વાવાઝોડાના કારણે દ્વારકાનું પ્રસિદ્ધ મંદિર શુક્રવારે પણ બંધ રહેશે, ગુરુવારે પણ આ મંદિર બંધ રહ્યું હતું.
હવે થોડા જ સમયમાં આ વાવાઝોડું કચ્છના જખૌ બંદર પાસે ત્રાટકે એવી શક્યતા છે, આની અસર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જોવા મળશે.
દ્વારકામાં ગુરુવારે સવારથી જ જોરદાર પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો હતો અને સાથે જ વરસાદ પણ વરસી રહ્યો છે.
દ્વારકાના ગોમતીઘાટ પાસે દરિયામાં મોજાં ઊછળતાં જોવા મળ્યાં હતાં અને કેટલાક વિસ્તારોમાં દરિયાના પાણી ઘૂસી આવ્યાં હતાં.
બિપરજોય વાવાઝોડું : ગુજરાત નજીક પહોંચેલું ચક્રવાત જ્યારે કાંઠે ટકરાશે ત્યારે ખરેખર શું થશે?
બ્રેકિંગ, વાવાઝોડાને પગલે ગીરના સિંહોના રક્ષણ માટે શું તૈયારી કરાઈ?
ગુજરાતમાં થોડા જ સમયમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે, સરકાર વાવાઝોડાને લીધે તડામાર તૈયારીઓ કરી રહી છે. જ્યાં અસર થવાની સંભાવના છે તે વિસ્તારોમાં લોકોને સુરક્ષિત આશ્રયસ્થળોમાં ખસેડવામાં આવી રહ્યા છે.
જોકે એની સાથે સાથે જૂનાગઢના એશિયાઈ સિંહોને પણ ખસેડવામાં આવ્યા છે તથા કચ્છના નારાયણ સરોવર અભયારણ્ય, માતાના મઢ, બરડામાં પણ બચાવકામગીરી માટે ટુકડીઓને ગોઠવી દેવાય છે.
58 કંટ્રોલરૂમ દ્વારા સ્થિતિનું મૉનિટરિંગ કરાઈ રહ્યું છે અને એશિયાઈ સિંહોના ઝોનમાં 184 ટીમો ઍક્શનમાં આવી ગઈ છે. સરકારી માહિતી પ્રમાણે જૂનાગઢના વન્યજીવ અને પ્રાંતીય સર્કલના 9 વિભાગ અંતર્ગત કુલ 184 ટીમો બનેલી છે.
આ ટીમ વન્ય પ્રાણીઓના બચાવ, ત્વરિત ઍક્શન, વૃક્ષો હઠાવવા સહિતની કામગીરી કરશે. વન્યજીવો માટેના ઇમર્જન્સી સંદેશા મેળવવા માટે 58 કંટ્રોલરૂમ બનાવાયા છે. 9 વિભાગોમાં જૂનાગઢ વન સહિત ગીર પૂર્વ, ગીર પશ્ચિમ, સાસણ, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર અને મોરબીનો સમાવેશ થાય છે.
કુદરતી આફતો દરમિયાન સિંહોની હિલચાલ પર દેખરેખ રાખવા માટે સેટેલાઇટ ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વનવિભાગ દ્વારા સિંહોના ટ્રૅકિંગ માટે હાઇટૅક લાયન મૂવમૅન્ટ મૉનિટરીંગ સિસ્ટમ વિકસિત કરી છે, જેમાં જૂથમાં રહેતા અમુક સિંહોમાં રેડિયો કૉલર લગાવવામાં આવે છે.
તેના દ્વારા તેમની હિલચાલ સેટેલાઇટ લિંક દ્વારા મૉનિટરીંગ સેલમાં નોંધાય છે. અત્યારે મૉનિટરીંગ ટીમ દ્વારા રાજ્યના ગીર વનવિસ્તાર અને તટીય ક્ષેત્રમાં રહેતા 40 સિંહો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.
બ્રેકિંગ, રાહતકામગીરી માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને સેનાની ટુકડીઓ તહેનાત
બિપરજોય વાવાઝોડું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જોકે એ પહેલાં જ ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી.
- રાહતકામગીરી માટે NDRFની 19 અને SDRFની 12 ટીમ તહેનાત કરવામાં આવી છે.
- આ ઉપરાંત સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં 202 જેટલી 108 ઍમ્બ્યુલન્સ અને 264 સરકારી ઍમ્બ્યુલન્સને સ્ટૅન્ડબાય કરવામાં આવી છે.
- વાવાઝોડાની અસરના કારણે તૂટી ગયેલા વીજથાંભલા રિપેર કરવાની અને ઊખડી ગયેલાં વૃક્ષો રસ્તા પરથી હઠાવવા માટે ઊર્જા અને વનવિભાગની ટીમો કાર્યરત્ છે.
ગુજરાતના દરિયાકાંઠાના 9 જિલ્લાઓ એટલે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને વલસાડ તેમજ 1 કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મળીને કુલ 19 NDRF ટીમ તહેનાત કરવામાં આવી છે.
કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, પાટણ, બનાસકાંઠા, સુરતમાં 12 SDRF ટુકડી તહેનાત છે અને SDRFની એકટુકડીને રિઝર્વ રાખવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓનો પર્યાપ્ત જથ્થો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરતી તબીબી મદદ મળી રહે તે માટે કુલ 202 જેટલી 108 ઍમ્બ્યુલન્સ અને 264 સરકારી ઍમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.
11 જૂનથી જ ગુજરાતમાં રાજ્યસ્તરે અને જિલ્લાસ્તરે કંટ્રોલરૂમ ઊભા કરવામાં આવ્યાં છે.
બ્રેકિંગ, બિપરજોય વાવાઝોડાની અસર શરૂ, ભારે વરસાદ સાથે પવન ફૂંકાયો
બિપરજોય વાવાઝોડાના પગલે કેટલાક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ગુરુવાર બપોર સુધીમાં પોરબંદરમાં 19 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે નલીયામાં 20 મીમી અને ભુજમાં 34 મીમી તથા કંડલામાં 12 મીમી વરસાદ નોંધાયો હતો.
વાવાઝોડા પહેલાં જ દરિયાકાંઠાના જિલ્લાઓમાં જોરદાર પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે. દ્વારકામાં 45 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, તો ઓખામાં પવનની ગતિ 32 કિલોમિટર પ્રતિ કલાક છે.
વેરાવળમાં 47 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે ભુજમાં 23 કિલોમિટર પ્રતિ કલાક અને કંડલામાં 37 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડું કચ્છના જખૌ બંદર પાસે ગુરુવારે સાંજે છ વાગ્યે ત્રાટકે એવી શક્યતા છે. એ વખતે 115થી 125 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા છે. એક તબક્કે પવનની ગતિ વધીને 140 કિલોમિટર પ્રતિ કલાક થઈ શકે છે.
બ્રેકિંગ, વાવાઝોડું હવે ગુજરાતથી 80 કિલોમિટર દૂર
બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને હેવ થોડી જ વારમાં તે કચ્છના જખૌ બંદર પાસે ટકરાઈ શકે છે.
બિપરજોય વાવાઝોડું હવે જખૌ બંદરથી 80 કિલોમિટર દૂર છે અને દેવભૂમિ દ્વારકાથી 130 કિલોમિટર દૂર છે.
બ્રેકિંગ, વાવાઝોડું હવે ગુજરાતથી 100 કિલોમિટર દૂર, સાંજે કેટલા વાગ્યે ત્રાટકશે?
બિપરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગે 3.30વાગ્યા સુધીની સ્થિતિ આધારે નવું બુલેટિન આપ્યું છે.
આ બુલેટિન પ્રમાણે વાવાઝોડું અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 100 કિલોમિટર દૂર હતું, જ્યારે નલીયાથી130 કિલોમિટર અને દેવભૂમિ દ્વારકાથી 150 કિલોમિટર દૂર હતું, અને કરાચીથી 240 કિલોમિટર દૂર હતું.
આ વાવાઝોડાના પગલે કેટલાક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ગુરુવાર બપોર સુધીમાં પોરબંદરમાં 19 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે નલીયામાં 20 મીમી અને ભુજમાં 34 મીમી તથા કંડલામાં 12 મીમી વરસાદ નોંધાયો હતો.
વાવાઝોડા પહેલાં જ દરિયાકાંઠાના જિલ્લાઓમાં જોરદાર પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે. દ્વારકામાં 45 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, તો ઓખામાં પવનની ગતિ 32 કિલોમિટર પ્રતિ કલાક છે.
વેરાવળમાં 47 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે ભુજમાં 23 કિલોમિટર પ્રતિ કલાક અને કંડલામાં 37 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડું કચ્છના જખૌ બંદર પાસે ગુરુવારે સાંજે છ વાગ્યે ત્રાટકે એવી શક્યતા છે. એ વખતે 115થી 125 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા છે. એક તબક્કે પવનની ગતિ વધીને 140 કિલોમિટર પ્રતિ કલાક થઈ શકે છે.
બ્રેકિંગ, સાંજે આ સમયે વાવાઝોડું કચ્છમાં ટકરાશે, હવામાનવિભાગની જાહેરાત
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રે ગુજરાતના કાંઠા વિસ્તારો તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડા અંગેની માહિતી મીડિયા સાથે શૅર કરી હતી.
તેમણે પત્રકારપરિષદમાં કહ્યું હતું કે, “વાવાઝોડું લૅન્ડફોલ થવાની શરૂઆત ગુરુવારે સાંજે છ વાગ્યા પછીથી શરૂ થશે, જે મધ્ય રાત્રિ સુધી ચાલુ રહેશે. વાવાઝોડું ટકરાશે એ વખતે પવનની ગતિ 120-130 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. એક તબક્કે તે વધીને 145 કિલોમિટર પ્રતિ કલાક થઈ શકે છે.”
“હાલ મળી રહેલ વિગતો અનુસાર વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી બંદર વચ્ચે કચ્છના જખૌ બંદર પાસે ત્રાટકશે.”
વાવાઝોડું ત્રાટક્યા બાદ ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધશે. વાવાઝોડું ત્રાટક્યા બાદ શુક્રવારે સવારે પવનની ગતિ 70-80 કિલોમિટર પ્રતિ કલાક રહેશે.
વાવાઝોડાની સૌથી વધુ અસર કયા વિસ્તારમાં થશે એ અંગેની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે, “વાવાઝોડાના કારણે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેમજ દરિયામાં બેથી ત્રણ મીટર ઊંચાં મોજાં ઊઠી શકે છે.”
વાવાઝોડાની સંભવિત અસરો વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાકીય નુકસાન થવાની સંભાવના છે. કાચાં મકાનો અને બાંધકામને નુકસાન થઈ શકે છે. આ સિવાય વૃક્ષો, વીજળી અને ટેલિફોનના થાંભલાને પણ નુકસાન થાય તેવી સંભાવના છે.”
આ અસરોને લીધે કચ્છ અને કચ્છના અખાતની આસપાસ આવેલા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર,મોરબી અને રાજકોટ જિલ્લામાં લોકોને બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે.
મહાપાત્રે સલામતીના ભાગરૂપે કેટલીક સલાહ આપતાં જણાવ્યું હતું કે, “અસરગ્રસ્ત વિસ્તારોમાં ઍર ટ્રાન્સપૉર્ટ, રોડ ટ્રાન્સપૉર્ટ અને રેલવે ટ્રાન્સપૉર્ટ રેગ્યુલેટેડ હોવું જોઈએ. આ સિવાય સમુદ્રની અંદર 16 તારીખની સવાર સુધી કોઈએ ન જવું અને સલામત સ્થળે રહેવું જોઈએ.”
કચ્છમાં ટકરાયા બાદ કઈ તરફ જશે વાવાઝોડું?
ગુરુવારે સાંજ સુધીમાં ગુજરાતના કચ્છ પાસે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે, વાવાઝોડું જખૌ બંદરથી 110 કિલોમિટર દૂર છે.
હવામાનવિભાગ દ્વારા બિપરજોય વાવાઝોડાનો અંદાજિત રૂટ નકશા દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આ નકશામાં જોઈ શકાય છે કે વાવાઝોડું કચ્છમાં ત્રાટકશે એ બાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના જિલ્લામાં તેની અસર જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે તેની અસર પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં પણ જોવા મળશે.
કચ્છના માંડવીમાં પવન ફૂંકાયો, વૃક્ષ ધરાશાયી
કચ્છના જખૌ બંદર પાસે થોડા કલાકો બાદ બિપરડો વાવાઝોડું ટકરાય એવી શક્યતા છે, તે આઠ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને હવે જખૌથી 110 કિલોમિટર દૂર છે.
આ વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે તેમ-તેમ તેની અસર વધતી જઈ રહી છે. અત્યારે દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ સહિતના જિલ્લામાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.
કચ્છના માંડવીમાં એવો જોરદાર પવન ફૂંકાયો હતો કે વિશાળ વૃક્ષ રસ્તા પર ધરાશાયી થઈ ગયું હતું, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
વાવાઝોડા પહેલાં જ દરિયાકાંઠાના જિલ્લાઓમાં જોરદાર પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે. દ્વારકામાં 48 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, તો ઓખામાં પવનની ગતિ 32 કિલોમિટર પ્રતિ કલાક છે.
વેરાવળમાં 39 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે ભુજમાં 24 કિલોમિટર પ્રતિ કલાક અને કંડલામાં 33 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.