શુક્રવારે મધ્ય રાત્રિએ હવામાન વિભાગના
ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રે બિપરજોય વાવાઝોડાની સ્થિતિ અંગે માહિતી આપી
હતી.
તેમણે કહ્યું હતું કે, “બિપરજોય વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. તેમજ
સૌરાષ્ટ્ર-કચ્છ અને નિકટના પાકિસ્તાનના દરિયાકાંઠાના કરાચી અને માંડવી બંદર વચ્ચે
જખૌ બંદર પાસેથી પસાર થયું.”
“વાવાઝોડાની આંખ હવે જમીન પર પહોંચી
ચૂકી છે. તે સાડા દસથી સાડા અગિયાર વાગ્યાની વચ્ચેના સમયગાળામાં સમુદ્રમાંથી જમીન
પર પહોંચી ગઈ છે. સાડા અગિયાર વાગ્યા સુધીમાં તે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર આવી
પહોંચી છે.”
વાવાઝોડાની તીવ્રતા અંગે વાત કરતાં
તેમણે કહ્યું હતું કે, “વાવાઝોડાની આંખ જમીન પર પહોંચવાની સાથે
જ તેની તીવ્રતામાં પણ ઘટાડો થયો છે. તે હવે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મથી
સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બની ગયું છે. પવનની ગતિની વાત કરીએ તો હવે પવનની ગતિ
105થી 115 કિમી પ્રતિ કલાક સુધી નોંધાઈ છે. હવે આ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પરથી
ઉત્તરપૂર્વ તરફની તેની ગતિ ચાલુ રાખશે. તેમજ વહેલી સવાર સુધીમાં તે વધુ નબળું
પડીને સાયક્લોનિક સ્ટોર્મમાં રૂપાંતરિત થઈ જશે.”
“વહેલી સવારે વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ
પરથી ઉત્તરપૂર્વ તરફ પોતાની ગતિ ચાલુ રાખશે. અને 16 તારીખની સાંજ સુધીમાં
ડિપ્રેશનમાં તબદીલ થઈ જશે.”
મહાપાત્ર આગળ જણાવે છે કે, “વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પહોંચીને નબળું પડી
જશે.”
16 તારીખની સવારે પવનની ગતિની આગાહી
કરતાં તેમણે કહ્યું હતું કે, “સવારે વાવાઝોડાના કારણે ફૂંકાતા પવનોની
ગતિ 75થી 85 કિલોમીટર પ્રતિ કલાક હશે. જેમાં સાંજ સુધીમાં વધુ ઘટાડો થશે, સાંજ સુધીમાં પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક રહેશે, જે વધીને 60 કિમી પ્રતિ કલાકે પહોંચશે.”
ઉલ્લેખનીય છે કે વાવાઝોડું ગુજરાતમાં
ટકરાયા બાદ ઠેર ઠેર ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો અને ભારે પવન પણ ફૂંકાયો હતો.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં તેની અસર પણ
જોવા મળી હતી.