You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : ગુજરાત કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશી ગયું?

ગુજરાતમાં થયેલાં છ મૃત્યુમાંથી અડધોઅડધ દર્દીઓ વાઇરસના સંપર્કમાં કંઈ રીતે રીતે આવ્યા હતા એ રહસ્ય

લાઇવ કવરેજ

  1. ગુજરાતમાં વધુ એક કેસ નોંધાયો, ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 30 થઈ

    ગુજરાતમાં કોરોના વાઇરસનો ચેપ લાગવાનો વધુ એક કેસ નોંધાયો છે.

    ગુજરાતના આરોગ્યવિભાગે જાણકારી આપી છે કે વધુ એક વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે.

    આ સાથે જ રાજ્યમાં વાઇરસનો ચેપ લાગવાના કુલ કેસોની સંખ્યા 30 થઈ ગઈ છે.

  2. ભારતમાં અત્યાર સુધી 415 કેસ પૉઝિટિવ

    'ઇન્ડિયન મેડિકલ રિસર્ચ ઍસોસિયેશન' અનુસાર 23 માર્ચના દિવસે 10 વાગ્યા સુધી ભારતમાં 415 મામલાની પુષ્ટિ થઈ છે.

    ગત 24 કલાકમાં 19 નવા કેસો સામે આવ્યા છે.

    ઍસોસિયેશન અનુસાર અત્યાર સુધી 17,493 લોકોનું પરીક્ષણ કરાયું છે.

    કોરોનાના સંક્રમણને પગલે અત્યાર સુધી ભારતમાં સાત લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

    આના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્યવિભાગના અધિકારીઓના મતે રાજ્યમાં અત્યાર સુધી 89 લોકો સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે.

    કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી બી. શ્રીરામાલુએ જણાવ્યું છે કે તેમના રાજ્યમાં કોરોના વાઇરસથી સંક્રમિત 27 લોકોની પુષ્ટિ થઈ છે.

    તેમના મતે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં એક હૉસ્પિટલને કોરોના વાઇરસના દર્દીઓ માટે અલાયદી રાખવામાં આવી છે.

    આ ઉપરાંત તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર 1000 વૅન્ટિલેટરની ખરીદીના આદેશ આપી દેવાયા છે. કોરોના વાઇરસના સંક્રમણના અંકુશ માટે 22 રાજ્યોના 75 જિલ્લામાં લૉક-ડાઉન જાહેર કરાયા છે.

    જેને પગલે દેશનાં મહાનગરોમાં સૂનકાર વ્યાપી ગયો છે. જોકે, કેટલીક જગ્યાએ શાકભાજીનાં બજારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે પહોંચ્યા હતા.

    આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારસવારમાં ટ્વીટ કર્યું કે કેટલાય લોકો હજુ પણ લૉક-ડાઉનને ગંભીરતા નથી લઈ રહ્યા.

    આ બાદ ભારત સરકારે રાજ્ય સરકારોને લૉક-ડાઉનને કડકાઈથી પાલન કરવા માટેના નિર્દેશ આપ્યા છે. આનું ઉલ્લંઘન કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ પણ અપાયા છે.

    31 માર્ચ સુધી ભારતમાં તમામ યાત્રી ટ્રેનો બંધ કરી દેવાઈ છે.

  3. હિમાચલપ્રદેશમાં અનિશ્ચિતકાળ સુધી કર્ફ્યુ

    હિમાચલપ્રદેશના મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે આગામી આદેશ ન આવે ત્યાં સુધી કર્ફ્યુ લાદ્યો છે.સ્થાનિક પત્રકાર અશ્વિની શર્માના જણાવ્યા પ્રમાણે જયરામ ઠાકુરે રાજ્યની વિધાનસભામાં આ અંગે જાહેરાત કરી હતી. હજુ સુધી હિમાચલપ્રદેશમાં કોરોના વાઇરસના બે કેસ સામે આવ્યા છે. આ બંને કેસ કાંગડા જિલ્લાના છે. સિંગાપોરથી પરત આવેલાં 63 વર્ષીય મહિલા અને દુબઈથી પરત આવેલા 32 વર્ષીય યુવક કોરોના વાઇરસથી સંક્રમિત હોવાનું જાણવા મળે છે.

  4. ગુજરાતમાં લૉક-ડાઉન

    કોરોના વાઇરસને પગલે રાજ્યમાં જનતા કર્ફ્યુનો અમલ કરાયો હતો.

    ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ, ગાંધીનગરને લૉક-ડાઉન કરી દેવાનું નક્કી કરાયું છે.

    પાંચેય મહાનગરોને 25 માર્ચ સુધી લૉક-ડાઉન કરવાનો નિર્ણય મુખ્ય મંત્રી વિજય રૂપાણીની હાજરીમાં યોજાયેલી ઉચ્ચ કક્ષાની બેઠકમાં લેવાયો હતો.

    આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગે લૉક-ડાઉન દરમિયાન કઈકઈ સેવાઓ ચાલુ રહેશે એની યાદી જાહેર કરી છે.

    વિભાગ દ્વારા ટ્વીટ કરીને જાહેર કરાયેલી માહિતી પ્રમાણે સુરતમાં એક 69 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું છે.

    તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો અને તેઓ સારવાર લઈ રહ્યા હતા.

    વડોદરામાં પણ 65 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. તેમનો COVID રિપોર્ટ આવવાનું હજી બાકી હોવાનું વિભાગ જણાવે છે.

    સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં નીતિન પટેલે કહ્યું, "આગામી દિવસોમાં સંક્રમિત 18 વ્યક્તિઓનાં નામો જાહેર કરીશું, જેથી તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને જાણ થાય અને તેમની તપાસ કરી શકાય."

  5. પેરોલ આપો - સુપ્રીમ કોર્ટ

    કોરોના વાઇરસના ફેલાવાને જોતાં દેશની સર્વોચ્ચ અદાલતે સાત વર્ષથી ઓછી સજા પામેલાં (અથવા મહત્તમ સાત વર્ષની સજા થઈ શકે તેમ હોય તેવા ગુના માટે) કેદીઓને પેરોલ આપવા નિર્દેશ આપ્યા છે.

    અદાલતના કહેવા પ્રમાણે, જેલોમાં ભીડ તથા કોવિડ 19 મહામારીને જોતાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિ રાજ્યોના કાયદાકીય સત્તામંડળ સાથે મળીને કામ કરશે. સર્વોચ્ચ અદાલતે આગામી આદેશ ન થાય ત્યાર સુધી ઇન-પર્સનને બદલે વીડિયો કૉન્ફરન્સિંગથી જ સુનાવણી હાથ ધરવાની જાહેરાત કરી છે.

  6. હળવાશથી ન લો : વિજય રૂપાણી

    ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નાગરિકોને સ્થિતિને હળવેથી ન લેવા કહ્યું છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં એક જ દિવસમાં 11 નવા કેસ નોંધાયા છે અને વધુ કેસ દાખલ થાય તેવી શક્યતા છે. રૂપાણીએ જણાવ્યું હતું કે સામાજિક અંતર જાળવી રાખું જ એકમાત્ર ઉકેલ છે.

  7. ગુજરાતમાં 29 પૉઝિટિવ કેસ

    ગુજરાતના આરોગ્યમંત્રી તથા નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે સોમવારે પત્રકારપરિષદમાં કહ્યું હતું કે ગુજરાતમાં પૉઝિટિવ કેસની સંખ્યા 29 ઉપર પહોંચી છે.

    તેમણે વડીલો તથા કોઈ હયાત બીમારી ધરાવનારને બહાર ન નીકળવા તથા સામાજિક અંતર જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ નિયંત્રણો તથા નિષેધો જનતા માટે જ છે.

  8. કેન્દ્ર સરકારનો નિર્દેશ

    કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, જે-જે વિસ્તારોમાં લૉક-ડાઉનના આદેશ આપવામાં આવ્યા છે, ત્યાં તેનો કડકાઈથી અમલ કરાવવામાં આવે. નિર્દેશોનો ભંગ કરનારઓ સામે કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.

  9. ઇટાલીમાં મરણાંક

    ઇટાલીમાં કોરોના વાઇરસને કારણે 5,476 લોકોનાં મૃત્યુ થયાં છે. રવિવારે એક જ દિવસમાં 651 મૃત્યુ થયાં હતાં. એ પહેલાં શનિવારે ત્યાં 793 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

    કેટલાક અભ્યાસ મુજબ, ઇટાલીના જે વિસ્તારમાં વૃદ્ધો વધુ રહે છે, તે વિસ્તારમાં વધુ મૃત્યુ થયાં છે, જેમ કે લૉમ્બાર્ડી વિસ્તાર.

    ઇટાલીમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીએ વૃદ્ધોની જનસંખ્યા વધુ છે. જાપાન બાદ તે બીજા ક્રમે છે.

    કોરોના વાઇરસ વૃદ્ધો માટે વધુ ઘાતક નીવડે છે.

    અભ્યાસ મુજબ આવા વૃદ્ધો સાથે રહેતા 18-34 વર્ષની વયજૂથના લોકોનાં મૃત્યુની સંભાવના પણ વધી જાય છે.

  10. PM નરેન્દ્ર મોદીની ચેતવણી, કેટલાક લોકો હજુ પણ કોરોના વાઇરસને ગંભીરતાથી નથી લઈ રહ્યા. મહેરબાની કરીને ખુદને અને પોતાના પરિવારને બચાવો. રાજ્ય સરકારોને મારી વિનંતી છે કે નિયમો અને કાયદાઓનું કડકાઈથી પાલન કરાવે.