અમેરિકામાં બે લાખ લોકોનાં મૃત્યુની વાત કેમ કહેવાઈ રહી છે?
અમેરિકાના જાણીતા સંક્રામક બીમારી વિશેષજ્ઞ ડૉક્ટર ઍૅન્થોની ફાઉચીએ કહ્યું કે અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણને લીધે એકથી બે લાખ લોકોનાં મૃત્યુ થઈ શકે છે.
ઍન્થોની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસને લઈને જે ટાસ્ક ફોર્સ બનાવી છે એના સભ્ય છે.
ડૉક્ટર ઍન્થોનીએ અમેરિકામાં જે ગતિથી કોરાનાનું સંક્રમણ વધી રહ્યું છે એને આધારે આ વાત કરી છે.
ફાઉચીએ આ વાત સીએનએનને કહી છે. અમેરિકામાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વિશ્વભરમાં સૌથી વધુ છે.
અહીં એક લાખ પચીસ હજારથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે અને 2200 લોકોનાં મૃત્યુ થયાં છે.
અમેરિકાના પબ્લિક હેલ્થ ઍક્સપર્ટનું પણ કહેવું છે કે દેશના ભાગોમાં કોરોના વાઇરસના સંક્રમણના એવા કેસ પણ છે જેની નોંધણી કરાઈ શકી નથી.
સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અનુસાર અમેરિકામાં 2010થી દર વર્ષે સિઝનલ ફ્લૂથી 12થી 61 હજારની વચ્ચે લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. કોરોના વાઇરસથી થનારા મૃત્યુનો દર ફ્લૂથી બહુ વધારે છે.
વૃદ્ધોની વસતીમાં ફ્લૂની તુલનામાં કોરોના વાઇરસથી મૃત્યુનો દર છ ઘણો વધારે છે. આ ખતરાને જોતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ ડિસ્ટન્સિંગની સમયમર્યાદા 30 એપ્રિલ સુધી વધારી દીધી છે.