You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : ગુજરાત કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશી ગયું?

ગુજરાતમાં થયેલાં છ મૃત્યુમાંથી અડધોઅડધ દર્દીઓ વાઇરસના સંપર્કમાં કંઈ રીતે રીતે આવ્યા હતા એ રહસ્ય

લાઇવ કવરેજ

  1. આખી દુનિયામાં 30 હજાર કરતાં વધારે લોકોનાં મૃત્યુ

    જૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે દુનિયાભરમાં કોરોના વાઇરસના સંક્રમણથી મૃતકાંક 30 હજારને પાર પહોંચ્યો છે.

    તેમાં સૌથી વધારે લોકોનાં મૃત્યુ ઇટાલી (10,023)માં થયાં છે. ઇટાલી બાદ મોતનો સૌથી મોટો આંકડો સ્પેનમાં (5,690) છે.

    સંક્રમિત લોકોની વાત કરવામાં આવે, તો જૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે આખી દુનિયામાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 6 લાખને પાર થઈ છે.

    સૌથી વધારે સંક્રમિત આ પાંચ દેશ છે :

    અમેરિકા – 1,04,865

    ઇટાલી – 86,498

    ચીન – 81,996

    સ્પેન – 72,248

    જર્મની – 53,340

  2. ઇટાલીમાં 10,000 લોકોનાં મૃત્યુ, દિલ્હીમાં સેંકડો મજૂરો વતનની વાટે

    આખી દુનિયામાં સંક્રમિત લોકોની સંખ્યા 6 લાખે પહોંચી ગઈ છે. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના કહેવા પ્રમાણે, માત્ર યુરોપમાં મૃત્યુની સંખ્યા 20,000થી ઉપર પહોંચી ગઈ છે.

    બ્રિટનમાં 260 લોકોના મૃત્યુ પછી મૃત્યુનો આંકડો 1019એ પહોંચી ગયો છે. યુકેની રાષ્ટ્રીય આરોગ્ય સેવાના ડિરેકટર પ્રોફેસર સ્ટિફન પોવીસે કહ્યું છે કે જો યુકે મૃત્યુઆંક 20,000થી નીચે રાખી શકે તો આપણે ઠીક કર્યું એમ કહી શકાશે.

    ઇટાલીમાં કોરના વાઇરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 10,000ને પાર કરી ગઈ છે. વધુ એક દુખદ દિવસમાં ઇટાલીમાં 24 કલાકમાં 889 લોકોનાં મૃત્યુ થયાં છે.

    સ્પેનમાં 24 કલાકમાં 832 લોકોના મૃત્યુ થયા છે જે પછી ત્યાં મૃત્યુઆંક 5690એ પહોંચ્યો છે. જોકે ત્યાં સ્વસ્થ થવાનો સિલસિલો પણ ચાલું છે. 72,000 લોકોમાંથી 12,285 લોકો સ્વસ્થ થયા છે.

    કોરોના વાઇરસનું કેન્દ્ર રહેલુ ચીનનું વુહાન શહેર દુનિયાથી બે મહિના સુધી અલગ રહ્યા પછી આજે ફરીથી આંશિક રીતે ચાલું કરવામાં આવ્યું હતું.

    દક્ષિણ કોરિયાએ કહ્યું છે કે તેમના ત્યાં વાઇરસથી સંક્રમિત થવા કરતાં સાજા થનાર લોકોની સંખ્યા વધારે છે.

    અમેરિકાએ એક રૅપિડ ટેસ્ટિંગ કિટ બનાવવાની પરવાનગી આપી દીધી છે જેનાથી માત્ર પાંચ મિનિટમાં કોરોના વાઇરસના સંક્રમણની ખબર પડી જશે.

    ભારતમાં 21 દિવસોના લૉકડાઉનની જાહેરાત પછી પ્રવાસી મજૂરો રસ્તા પર ચાલીને ઘરે પરત ફરવાનું ચાલું છે. દિલ્હીના આનંદ વિહાર બસ સ્ટેન્ડ પર સાંજે મજૂરોની ભારે ભીડ જમા થઈ ગઈ છે.

  3. મજૂરોની મદદ માટે નાગરિકસમાજની અપીલ

    કોરોના વાઇરસને પગલે લૉકડાઉન થવાથી દેશભરમાંથી મજૂરો મજબૂર થઈને વતનની વાટ પકડી રહ્યા છે ત્યારે દેશના 200થી વધારે બોદ્ધિકોએ મજૂરોની મદદ કરવા માટે અપીલ કરી છે.

    આ અપીલ કરનારાઓમાં અર્થશાસ્ત્રી જ્યોં દ્રેજ, સામાજિક કાર્યકર્તા નિખિલ ડે તથા રક્ષિતા સ્વામી જેવા અનેક નામાંકિત પ્રોફેસરો, વકીલો, રાજનીતિજ્ઞો સામેલ છે.

    અપીલમાં કહેવામાં આવ્યું છે કે પ્રવાસી મજૂરોને તાત્કાલિક સહાય આપવામાં આવે. એમને મફત સારવાર, ભોજન, આરોગ્ય સંભાલ અને સ્વચ્છતા ઉપલબ્ધ કરાવવામાં આવે.

    અપીલમાં કહેવામાં આવ્યું છે કે 24 માર્ચે ફક્ત 4 કલાકનો સમય આપીને લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું તેનાથી મોટી અસર મજૂરો પર પડી છે. પૂરતી તૈયાર વિના લેવામાં આવેલા આ નિર્ણય પર અગાઉથી દિશાનિર્દેશ ન હોવાને કારણે શ્રમશક્તિના 90 ટકા હિસ્સા પર ખરાબ અસર પડી છે.

    અપીલમાં માગ કરવામાં આવી છે કે સરકાર આ સમસ્યા પર ત્વરિત ધ્યાન આપી મજૂરો માટે ભોજન કેન્દ્રોની અને એમને સુરક્ષિત ઘર સુધી પહોંચાડવા સ્વચ્છ બસ અને ટ્રેનોની જોગવાઈ કરે.

  4. ગુજરાતમાં દરેક જિલ્લામાં 100 પથારીની હૉસ્પિટલ બનશે- વિજય રૂપાણી

    કોરોના વાઇરસ સામેના જંગમાં જે સરકારી કર્મચારીઓ કાર્યરત છે તેમાંથી કોઈનું અવસાન થાય તો તેમના પરિવારને 25 લાખનું વળતર અપાશે એવી જાહેરાત ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કરી છે.

    એમણે કહ્યું કે, કોરોના વાઇરસનો વ્યાપ વધે તો દરેક જિલ્લામાં 100 બેડની હૉસ્પિટલ બનાવાશે. જેમાં વૅન્ટિલેટર, આઈસીયુની સગવડ હશે. દરેક જિલ્લામાં આરોગ્યની સગવડ ત્વરિત કરાશે.દરેક ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ગુજરાત હેલ્થ સોસાયટીમાં જમા કરાવાશે.

    આ દરમિયાન આરોગ્યવિભાગના અગ્રસચિવ જંયતિ રવિએ પત્રકારોને કહ્યું કે આજે ગુજરાતમાં કુલ 75 ટેસ્ટના રિઝલ્ટ આવ્યા છે જેમાં 72 નેગેટિવ 1 પૉઝિટિવ છે અને 1 રિઝલ્ટ બાકી છે.

    ગુજરાતમાં અમદાવાદના આસ્ટોડિયામાં એક મહિલાનું મૃત્યુ થયું છે.

    જયંતિ રવિએ કહ્યું કે, કુલ 1067 ટેસ્ટ કર્યા 55 પૉઝિટિવ આવ્યા 1 ટેસ્ટ બાકી છે અને બાકીના નેગેટિવ છે.

    કુલ કેસો પૈકી લોકલ 24 છે અને વિદેશના 28 કેસ છે. શનિવારે સાંજે જે 2 પૉઝિટિવ કેસ છે એમાં એક એ ગાંધીનગરના 25 વર્ષીય સ્થાનિક પુરુષ છે અને અન્ય એક વેરાવળના 65 વર્ષીય પુરૂષ છે જેઓ દુબઇ જઈને આવ્યા છે

    રાજ્યમાં 4 કરોડ 91 લાખ 42 હજાર લોકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે એવી માહિતી પણ તેમણે આપી.

  5. પ્રસૂતિના આગલા દિવસ સુધી કામ કરી બનાવી કોરોના વાઇરસની ટેસ્ટ કિટ

    ભારતમાં કોરોના વાઇરસ સામેની લડાઈમાં પરીક્ષણોની ઓછી સંખ્યા ચિંતાનો વિષય ગણાવાઈ રહી હતી.

    જોકે, હવે પરીક્ષણોની સંખ્યાની ટકાવારી વધશે એવી આશા જાગી છે અને આ આશા જગવનાર છે એક મહિલા વાઇરોલૉજિસ્ટ.

    આ મહિલાએ પ્રસૂતિના આગલા દિવસ સુધી સતત કામ કરીને પહેલી મેડ ઇન ઇન્ડિયા ટેસ્ટ કિટ તૈયાર કરી લીધી છે જેને મંજૂરી મળી છે.

    વાંચો ખરા ટાણે કોરોના વાઇરસ સામેનું પ્રાથમિક સ્વદેશી હથિયાર બનાવનાર મહિલાની કહાણી વાંચો અહી

  6. ગુજરાતમાં ચોથી વ્યક્તિનું મૃત્યુ, કુલ પોઝિટિવ કેસ 53

    સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ ગુજરાતમાં કોરોના વાઇરસને પગલે મૃત્યુની ચોથી ઘટના બની છે.

    પીટીઆઈ મુજબ સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલમાં દાખલ 46 વર્ષીય મહિલાનું શનિવારે બપોરે મૃત્યુ થયું છે.

    મહિલાનો ટેસ્ટ પૉઝિટિવ આવતા તેમને 26 માર્ચે દાખલ કરવામાં આવ્યાં હતાં.

    આ મહિલાને હાઇપરટેન્શન અને ડાયાબિટિઝની બીમારી પણ હતી.

    ગુજરાત રાજ્યના આરોગ્યસચિવ ડૉ. જયંતી રવિએ રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં નવા છ કેસ નોંધાયા છે.

    આ કેસ સાથે હવે ગુજરાતમાં કુલ પૉઝિટિવ કેસનો આંકડો 53એ પહોંચ્યો છે.

    વડોદરામાં એક, ગાંધીનગરમાં એક, મહેસાણામાં એક અને અમદાવાદમાં ત્રણ નવા કેસ નોંધાયા છે.

    નવા કેસો નોંધાયા બાદ કુલ કેસો પૈકી અમદાવાદમાં 18, સુરતમાં સાત, રાજકોટમાં આઠ, વડોદરામાં નવ, ગાંધીનગરમાં આઠ, ભાવનગરમાં એક અને મહેસાણામાં એક કેસ નોંધાયો છે.

    તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 993 નમૂના લેવામાં આવ્યા છે, જેમાંથી 938 નૅગેટિવ હોવાનું જાણવા મળે છે.

    તેમને એવું પણ કહ્યું છે કે રાજ્યમાં દવા અને જરૂરી સાધનોનો જથ્થો ઉપલબ્ધ છે અને રાજ્યભરમાં ચાર કરોડથી વધારે નાગરિકોનું સર્વેલન્સ-ટ્રેકિંગ કરવામાં આવ્યું છે.

  7. લૉકડાઉનમાં ઘરે જઈ રહેલા 7 મજૂરોનું અકસ્માતમાં મૃત્યુ

    કર્ણાટકના પેડ્ડા ગોલકુંડામાં એક ટ્રક અને વાનની ટક્કરમાં સાત મજૂરોના મોત થયા છે.

    સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ આ અકસ્માત શુક્રવારે મોડી રાતે શહેરની બહાર થયો.

    ટ્રાફિક પોલીસના આસિટન્ટ કમિશનર વિશ્વ પ્રસાદે કહ્યું કે, આ મજૂરો સૂર્યાપેટમા એક સડક પરિયોજનામાં કામ કરતા હતા અને લૉકડાઉન પછી કર્ણાટકમાં રાયચુર સ્થિત પોતાના ઘરે જઈ રહ્યા હતા.

    અકસ્માત થયો ત્યારે વાનમાં 31 મજૂરો હતા.

    મૃત્યુ પામનારા લોકોમાં 5 મજૂરો અને તેમના 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. ચાર મજૂરોનો ઇલાજ ચાલી રહ્યો છે અને તેમાં એકની હાલત ગંભીર છે.

  8. કેરળમાં કોરોના વાઇરસથી પહેલું મૃત્યુ, 165 સંક્રમિત કેસો

    ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે કેરળમાં કોરોના વાઇરસ સંક્રમણના કારણે મૃત્યુનો પહેલો કેસ નોંધાયો છે.

    કોચ્ચીના એર્નાકુલમ જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડૉ. એન. કે. કુટ્ટપનના હવાલાથી એએનઆઈ લખે છે કે મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર 69 વર્ષ હતી.

    ભારતમાં કોરોના વાઇરસ સંક્રમણનો પહેલો કિસ્સો કેરળમાં જ નોંધાયો હતો.

    મહારાષ્ટ્રમાં 165 કેસો કોરોના વાઇરસ સંક્રમિત નોંધાયા છે.

  9. કોરોના વાઇરસથી ભારતમાં મૃતકાંક 19 પર પહોંચ્યો

    સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોનો મૃતકાંક 19 પર પહોંચ્યો છે અને કુલ સંક્રમિત લોકોની સંખ્યા 834 પર પહોંચી છે.

  10. અમેરિકામાં સંક્રમણનો આંકડો એક લાખને પાર

    જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે અમેરિકામાં કોરોના વાઇરસના એક લાખ કરતાં વધારે કેસની પુષ્ટિ થઈ છે.

    અમેરિકામાં કોવિડ-19ના કેસ દુનિયામાં સૌથી વધારે છે.

    આ જ આંકડા પ્રમાણે લેટિન અમેરિકામાં કોવિડ-19 સંક્રમણના 10 હજાર કેસની પુષ્ટિ થઈ છે. તેમાં બ્રાઝીલ સૌથી વધારે પ્રભાવિત છે, ત્યાં 2,915 કેસ નોંધાયા છે અને 77 લોકોનાં મૃત્યુ થયાં છે.

    આ તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આશંકા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં અમેરિકા કોરોના વાઇરસના સંક્રમણનું નવું એપિસેન્ટર (કેન્દ્રબિંદુ) બની શકે છે.

    છેલ્લા થોડા દિવસો દરમિયાન અમેરિકામાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં નાટકીય રૂપે વૃદ્ધિ નોંધાઈ છે.

  11. કોરોના વાઇરસ : માત્ર ઇટાલી અને સ્પેનમાં અત્યાર સુધી આશરે 14 હજાર લોકોનાં મૃત્યુ

    કોરોના વાઇરસથી દરરોજ ઇટાલીમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે. ઇટાલીમાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાયા બાદથી શુક્રવારના રોજ એક દિવસમાં મૃતકાંક સૌથી વધારે રહ્યો.

    શુક્રવારના રોજ 24 કલાકમાં 919 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ સાથે કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઇટાલીમાં 9,134 થઈ ગઈ છે. યુરોપમાં ઇટાલી કોરોના વાઇરસથી ઝપેટમાં ખૂબ ખરાબ રીતે આવી ગયું છે.

    આખા ઇટાલીમાં બધું જ બંધ છે અને લોકો પોત-પોતાનાં ઘરોમાં કેદ છે. શુક્રવારના રોજ સરકાર તરફથી કહેવામાં આવ્યું કે દેશમાં લાગેલા પ્રતિબંધો 3 એપ્રિલ સુધી આગળ વધી શકે છે.

    ઇટાલીનો ઉત્તરી વિસ્તાર લોમ્બાર્ડી કોરોના વાઇરસથી સૌથી વધારે પ્રભાવિત છે. ઇટાલીમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 86,500 થઈ ગઈ છે. હવે ઇટાલીનો દક્ષિણ વિસ્તાર પણ લોમ્બાર્ડીની જેનમ કોરોનાની ઝપેટમાં ન આવી જાય એનો ડર છે.

    બીબીસીના રોમ ખાતેના સંવાદદાતા માર્ક લોવેનના જણાવ્યા પ્રમાણે ઇટાલીમાં કોરોના વાઇરસનો કહેર સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દેશના ગ્રામીણ વિસ્તારની વસતી દિવસે ને દિવસે ઓછી થઈ રહી છે. માત્ર લોમ્બાર્ડીમાં જ છેલ્લા 24 કલાકમાં 541 લોકોનાં મૃત્યુ થયાં છે.

    યુરોપમાં ઇટાલી બાદ સ્પેન કોરોના વાઇરસના સંક્રમણથી ખૂબ ખરાબ રીતે પ્રભાવિત છે. દરરોજ મૃતકાંક વધી રહ્યો છે. જોકે, સંક્રમણ ફેલાવાના કેસમાં હવે ઘટાડો નોંધાયો છે.

    સ્પેનમાં કોરોનાના સંક્રમણના કુલ 64,059 કેસ સામે આવ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 769 લોકોનાં મૃત્યુ થયાં છે અને કોરોના વાઇરસથી મૃતકોની સંખ્યા 5,000ને પાર પહોંચી ગઈ છે.

    સ્પેનની સરકારે દેશમાં ઇમર્જન્સીને 12 એપ્રિલ સુધી આગળ વધારી દીધી છે. શુક્રવારના રોજ ફ્રાન્સમાં પણ કોરોના વાઇરસના કારણે 299 લોકોનો જીવ ગયો.

    ફ્રાન્સમાં કોરોના વાઇરસના સંક્રમણથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 1995 થઈ ગઈ છે. અહીં કોરોના વાઇરસના કુલ 33,000 કેસ સામે આવ્યા છે.

    ફ્રાન્સના વડા પ્રધાને લોકોને 15 એપ્રિલ સુધી ઘરમાં જ રહેવા કહ્યું છે.

  12. ઇટાલીમાં 24 કલાકમાં 969 લોકોનાં મૃત્યુ, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન પૉઝિટિવ

    ગત 24 કલાકમાં ઇટાલીમાં કોરોના વાઇરસને પગલે 969 લોકોનાં મૃત્યુ થયાં છે. આ સાથે ઇટાલીમાં મૃતકાંક 9,314 પર પહોંચી ગયો છે. ઇટાલીમાં 4,401 નવા કેસો સામે આવ્યા છે.

    ભારતમાં અત્યાર સુધી કોરના સંક્રમણના 724 કેસો નોંધાયા છે અને 17 લોકોનાં મૃત્યુ થયાં છે.

    કોરોના વાઇરસને પગલે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે નેશનલ એલિજિબિલિટી કમ ઍન્ટ્રન્સ ટેસ્ટ સ્થગિત કરી દીધી છે.

    મહારાષ્ટ્રમાં શુક્રવારે 28 નવા કેસો સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 153 પૉઝિટિવ કેસો થઈ ગયા છે.

    જોકે, કેરળ સંક્રમણમાં ભારતમાં નંબર વન રાજ્ય બની રહ્યું છે. કેરળમાં કોરના વાઇરસના સંક્રમણના 39 નવા કેસો સામે આવ્યા છે અને રાજ્યમાં દર્દીઓની સંખ્યા 176 થઈ ગઈ છે.

    રાજધાની દિલ્હીમાં 40 પૉઝિટિવ કેસો છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે.

    બિહારમાં 9 પૈકી 6 દર્દીઓ એવા સામે આવ્યા છે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટરી નથી. આ જાણકારી સમાચાર સંસ્થા એએનઆઈએ બિહાર સ્વાસ્થ્ય વિભાગના હવાલાથી આપી છે.

  13. ગુજરાતમાં રાજકોટમાં 3 નવા કેસ, પોલીસને કડક કાર્યવાહીની સૂચના

    આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ શુક્રવારે સવાર સુધી ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણનો એક પણ નવો કેસ આવ્યો ન હતો.

    જોકે, શુક્રાવારે સાંજે રાજકોટમાં 3 નવા કેસ સામે આવ્યા છે અને એ સાથે ગુજરાતમાં કેસની સંખ્યા 47 થઈ ગઈ છે અને રાજકોટમાં કેસોની સંખ્યા 8 થઈ ગઈ છે.

    રાજકોટ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીએ 3 નવા કેસની પૃષ્ટિ કરી છે.

    રાજ્યપોલીસવડા - શિવાનંદઝાએ લોકોને ઘરે જ રહેવાની સૂચના આપી છે. શિવાનંદ ઝાએ કહ્યું કે કોઈ અકારણ બહાર નીકળે તો કડક થવાની સૂચના પોલીસે આપવામાં આવી છે.

    ડો. શ્રીમતી જયંતી રવિએ શુક્રવારે સવારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે કોરોનાના 44 પોઝિટિવ દર્દીઓ છે. જે પૈકી અમદાવાદમાં 15, સુરતમાં 7, રાજકોટમાં 5, વડોદરામાં 8, ગાંધીનગરમાં 7 અને ભાવનગર તથા કચ્છમાં એક-એક પોઝિટિવ દર્દીઓ છે.

    ગુજરાત પોલીસવડા શિવાનંદ ઝાએ કહ્યું છે કે, પોલીસ શાકમાર્કેટ સહિતની જાહેર જગ્યાઓ પર ચાંપતી નજર રાખી રહી છે. લૉકડાઉનના અમલ માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યાછીએ.

    એમણે કહ્યું કે, 1077 જિલ્લા હૅલ્પલાઈન પર 1070 સ્ટેટ હૅલ્પલાઇન પર લોકો મદદ માટે સંપર્ક કરી શકે છે.

    ગુજરાતમાં પોલીસે લૉકડાઉનને લઈને અત્યાર સુધી 227 વાહનો જપ્ત કર્યા છે. 18,000થી વધુ લોકોને 54 જેટલા કેમ્પોમાં રોકવામાં આવ્યા છે.

    ક્વોરૅન્ટિનના કાયદાના ભંગના 272 ગુનાઓ બન્યા છે અને ગુરૂવારના રોજ 615ગુનાઓ નોંધવામાં આવ્યા છે. લૉકડાઉનની શરૂઆતથી આજ સુધી 2205 લોકોની અટકાયત કરવામાં આવી છે.

  14. યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સનને કોરોના વાઇરસનો ચેપ

    યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન બોરિસ જોન્સનને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.

    સરકારનું કહેવું છે કે લક્ષણો ઓછાં છે અને તેઓ સેલ્ફ આઇસોલેશનમાં રહેશે અને કોરોના વાઇરસ સામેની યુકેની લડતમાં સરકારની આગેવાની કરતા રહેશે.

  15. કોરોના વાઇરસ : 15 લાખ વિદેશીઓએ ભારતની મુલાકાત લીઘી, પગેરું મેળવી શકશે સરકાર?

    પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાએ કૅબિનેટ સેક્રેટરીને ટાંકીને કહ્યું છે કે જાન્યુઆરી 18થી માર્ચ 23 દરમિયાન 15 લાખ વિદેશી પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી છે.

    કૅબિનેટ સેક્રેટરીએ કહ્યું કે, રાજ્યો આ 15 લાખપ્રવાસીઓનું મોનિટરિંગ કરી રહ્યા છે પરંતુ વાસ્તવિક મોનિટરિંગમાં તફાવત હોઈ શકે છે.

    ઉલ્લેખનીય છે કે આજે દિલ્હીમાં 14 જાપાનીઝ પ્રવાસીઓ ભરેલી બસને પોલીસે અટકાવી હતી.

    બસચાલક દેવેન્દ્ર નેગીએ પોલીસને કહ્યું કે, આ પ્રવાસીઓને તેમણે ઋષિકેશથી પિક અપ કર્યા હતા અને તેમને પહાડગંજ મૂકવાના હતા. તેઓ કોરોના પૉઝિટિવ છે કે નહીં તે અંગે મને કશી જાણ નથી.

  16. રશિયા અને દ. કોરિયાની કોરોના સામે જંગ

    સમગ્ર વિશ્વમાં કોરોનાની ચર્ચા થઈ રહી છે, પરંતુ રશિયા તથા દક્ષિણ કોરિયામાં તેના વિશેની વાતો ખાસ બહાર નથી આવી રહી. રશિયા પર આ મામલે પારદર્શક નહીં હોવાનો આરોપ છે, જ્યારે દક્ષિણ કોરિયા આ જંગ જીતવા તરફ અગ્રેસર દેશોમાં સામેલ છે. ત્યારે ગુરુવારે રાત્રે પ્રસારિત બીબીસી ગુજરાતીના બુલેટિનમાં જુઓ, બંને દેશમાંથી વિશેષ અહેવાલ તથા અન્ય સમાચાર.

  17. ગુજરાતમાં 12 કલાકમાં એક પણ કેસ નહીં

    ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતી રવિના કહેવા પ્રમાણે, ગુરૂવાર રાત્રિથી શુક્રવાર સવારના 12 કલાક દરમિયાન ગુજરાતમાં એક પણ નવો કેસ નથી નોંધાયો.

    ગુજરાતમાં 44 પૉઝિટિવ કેસ નોંધાયા છે અને ત્રણનાં મૃત્યુ થયાં છે.

  18. ભારતની સ્થિતિ

    ભારત કોરોના વાઇરસના કુલ 723 કેસ નોંધાયા છે. જેમાં 640 કેસ ઍક્ટિવ છે. 66ને સાજાં થયાં બાદ રજા આપી દેવાઈ છે, એક હિજરત કરી ગયા છે, જ્યારે 17નાં મૃત્યુ થયાં છે. આ ડેટા કેન્દ્ર સરકારના સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

  19. ટર્મ લોનના હપ્તા ઘટશે

    રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાન્તા દાસે કોવિડ-19 અને સોશિયલ ડિસ્ટન્સિંગની વચ્ચે વીડિયો સંબોધનથી નાણાંકીય પગલાંઓની જાહેરાત કરી હતી. તેમની મુખ્ય જાહેરાતો ઉપર નજર કરીએ તો:

    • વિકાસના દરનો આધાર કોવિડ-19 તેની અસર, કેટલા સમય સુધી લંબાશે, તેના ઉપર વિકાસનો દર આધાર હોવાથી વિકાસદરની આગાહી કરવાનું ટળાયું
    • ખાનગી બૅન્કોમાં રહેલી બચત માટે ચિંતા કરવાની જરૂર નથી, ભયથી પૈસા ઉપાડવાની જરૂર નથી
    • વૈશ્વિક અનિશ્ચિતતાથી દેશના અર્થતંત્રને બચાવવું અને તેને રક્ષણ આપવું એ સમયની માગ છે
    • 2008ની મંદી કરતાં ભારતના અર્થતંત્રની સ્થિતિ વધુસારી અને મજબૂત
    • મર્યાદિત સમય માટે હપ્તો ભરવામાં નિષ્ફળ રહેનારની ક્રૅડિટ હિસ્ટ્રી ઉપર નકારાત્મક અસર નહીં કરે
    • તમામ નાણાંકીય સંસ્થાઓને ત્રણ મહિના માટે તમામ પ્રકારની લોનના હપ્તા મોકૂફ રાખવાની છૂટ અપાઈ
    • આરબીઆઈની શુક્રવારની જાહેરાતોથી બજારમાં કુલ રૂ. ત્રણ લાખ 74 લાખ કરોડની નાણાંકીય તરલતા વધશે
    • એક વર્ષ માટે કૅશ રિઝર્વ રેશિયોમાં એક ટકાનો ઘટાડો, બજારમાં રૂ. એક લાખ 37 હજાર કરોડ ઠલવાશે
    • બજારમાં તરલતા જાળવી રાખવાની, બૅન્કધિરાણનો પ્રવાહ જાળવી રાખવો, અસ્થિરતાની વચ્ચે બજારોમાં સ્થિરતા જાળવી રાખવાનો પ્રયાસ
    • વિશ્વમાં સપ્લાયચેન ખોરવાશે તો ભારતને માઠી અસર થશે, વિશ્વના અનેક દેશો ઉપર મંદીનું જોખમ તોળાઈ રહ્યું છે
    • બજારમાં નાણાંકીય તરલતા જળવાય રહે તે માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવશે, 150 કર્મચારીઓને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યાં
  20. ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ

    કોરોના વાઇરસના ઓછાયાની વચ્ચે ગુજરાતના અનેક ભાગોમાં શુક્રવારે સવારે વરસાદ નોંધાયો હતો.

    સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, છોટા ઉદેપુર અને દાહોદ વિસ્તારમાં શુક્રવારે સવારે ભારે પવનની સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે.

    આ વરસાદને કારણે જીરું, લસણ તથા ઘઉંના પાકનું વાવેતર કરનારા ખેડૂતો માટે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ શકે છે. જેના કારણે ખેડૂતો ચિંતા વધી ગઈ છે.