You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી-20 વર્લ્ડકપ : ઑસ્ટ્રેલિયા સામે કૅચ છૂટ્યા બાદ હસન અલી ભારતીય મૂળનાં પત્નીને કારણે ટ્રૉલ થયા
ગુરુવારે વર્લ્ડકપ ટી-20ની બીજી સેમિફાઇનલ મૅચ પાકિસ્તાન તથા ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી, જેમાં ઑસિઝે પાકિસ્તાનને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો.
ન્યૂઝીલૅન્ડ તથા ઇંગ્લૅન્ડની જેમ રમાયેલી પ્રથમ સેમિફાઇનલ મૅચની જેમ જ બીજી મૅચ પણ રસપ્રદ બની હતી.
ટૉસ જીતીને ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને બેટિંગ આપી હતી. પાકિસ્તાને ઑસ્ટ્રેલિયા સામે વિજય માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે એક ઓવર બાકી રાખીને જ ઑસ્ટ્રેલિયાએ હાંસલ કરી લીધો હતો.
એક તબક્કે ઑસ્ટ્રેલિયા 12.2 ઓવરે પાંચ વિકેટ ગુમાવીને માત્ર 96 રન બનાવી શક્યું હતું, એવું લાગતું હતું કે ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહેલું પાકિસ્તાન સહેલાઈથી ફાઇનલમાં પહોંચી જશે.
ડેવિડ વૉર્નર, એરૉન ફિંચ, સ્ટીવ સ્મિથ અને મૅક્સવેલ જેવા ખેલાડીઓને આઉટ કર્યા બાદ પાકિસ્તાને મૅચ પોતાના કબજામાં કરી લીધી હોય એવું લાગતું હતું. મેથ્યુ વેડ 21 રન પર હતા ત્યારે હસન અલી તેમનો કૅચ છોડી દીધો હતો.
વેડે આ જીવનદાનનો પૂરો લાભ લીધો અને ઑસ્ટ્રેલિયાને ફાઇનલ સુધી પહોંચાડી દીધું હતું. જેવી રીતે પાકિસ્તાન સામેની મૅચમાં વધુ રન આપવા બદલ ભારતીય ખેલાડી મોહમ્મદ શમીને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, તેવી જ રીતે હસન અલીથી કૅચ છૂટતાં તેમના ભારતીય મૂળનાં પત્ની તથા શિયા હોવા સાથે જોડીને ટિપ્પણી કરાઈ હતી. અમુક લોકો હસન અલીનું સમર્થન પણ કરી રહ્યા છે.
ભારત પાકિસ્તાનમાં ટ્રૅન્ડિંગ
કેટલાક લોકોનું માનવું છે કે 'હસન અલીએ કૅચ છોડ્યો, એટલે પાકિસ્તાને મૅચ ગુમાવી.' ભારતમાં હસન અલી 13મા નંબર પર ટ્વિટર ટ્રૅન્ડમાં હતા, પાકિસ્તાનમાં તેઓ બીજા નંબરે ટ્રૅન્ડમાં હતા.
સની નામા સોશિયલ મીડિયા યૂઝરે શાહીન આફ્રિદી તથા હસન અલી પર નિશાન સાધતાં લખ્યું કે આમ કરવા માટે ડ્રિંક્સના બ્રેક દરમિયાન તેમના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફ્રન્ટિયલ વૉરિયર નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે હસન અલી ભારતની ગુપ્તચર સંસ્થા રૉના એજન્ટ છે અને ઑસ્ટ્રેલિયાના વિજયની ઉજવણી કરી રહ્યા છે.
બમનડીબારીએ નામના ટ્વિટર હૅન્ડલે હસન અલીનો ક્લોઝ-અપ ફોટો મૂકીને લખ્યું, "ભારતીયોનું સમર્થન અને પ્રશંસા જોઈને."
ફરીદ આઘા નામના યૂઝરે લખ્યું કે હસન અલીએ માત્ર કૅચ જ નહીં, વર્લ્ડકપ પણ છોડી દીધો. ટ્રૉલર્સ તથા ટીકાકારોએ હસન અલીને ટાર્ગેટ કરાતાં કેટલાક લોકો તેમના સમર્થનમાં પણ આવ્યા હતા.
સાદ સાદીકે લખ્યું- એક સારો ખેલાડી અને મૅચવિનર. કોઈનો પણ દિવસ ખરાબ હોઈ શકે છે. હસન અલીને સમર્થન મળવું જોઈએ. ગાળાગાળી કે આંગળી ન ચીંધવી જોઈએ.
સબૂર અલી નામના ટ્વિટર યૂઝરે લખ્યું, "હસન અલીને ગાળો આપતાં પહેલાં આ પણ જોઈ લો."
અર્હુમ નામના યૂઝરે લખ્યું કે – હસન અલીએ ટીમને ઘણું બધું આપ્યું છે, તમારી નફરત તમારી પાસે રાખો.
હસન અલી શિયા હોવાને કારણે તથા તેમનાં પત્ની ભારતીય મૂળના હોવાને કારણે 'સૉફ્ટ ટાર્ગેટ હોઈ' કેટલાક લોકોએ તેમને ટ્રૉલ કર્યા હતા. કેટલાક લોકો હસન અલીની આ ટીકાની સરખામણી મોહમ્મદ શામી સાથે પણ કરી રહ્યા છે.
શમી સાથે સરખામણી
ઇફ્તિખાર ફિરદોસ નામના પત્રકારે લખ્યું - "હસન અલીને માફ કરી દો. ભારતીય ફેન્સે જેવું મોહમ્મદ શમી સાથે કર્યું, એવું તેમની સાથે ન કરો. દરેકના જીવનમાં ખરાબ દિવસો આવતા હોય છે."
ટી-20 વર્લ્ડકપ દરમિયાન પાકિસ્તાન સામેની મૅચમાં પરાજય બાદ ત્રણ ઓવર અને પાંચ બૉલમાં 43 રન આપનારા મોહમ્મદ શમીને લોકોએ ટ્રૉલ કર્યા હતા. ત્યારે અનેક રાજનેતા, ક્રિકેટર તથા પૂર્વ ક્રિકેટરોએ શમીનું સમર્થન કર્યું હતું. પરંપરાગત હરીફ સામેની મૅચ ભારત 10 વિકેટે હારી ગયું હતું.
હસન અલીનાં ભારતીય પત્ની
હસન અલી પાકિસ્તાનના ગુજરાનવાલા નજીક લઢેવાલા વડૈચ ગામના રહેવાસી છે. તેમનો જન્મ સામાન્ય પરિવારમાં થયો હતો, પરંતુ અસામાન્ય બૉલિંગ ઝડપને કારણે તેમને પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવામાં સફળતા મળી હતી.
આજની તારીખે તેઓ પાકિસ્તાની ક્રિકેટ ટીમના મહત્ત્વૂપર્ણ ભાગ છે તથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચર્ચિત ચહેરો છે. ગુજરાનવાલાની ગલીઓમાંથી બહાર નીકળીને હસન અલીએ અંડર-16 ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું.
એ પછી તેમણે લાહોરમાં સૈયદ પેપર્સ ટીમ માટે ગ્રૅડ-ટુ ક્રિકેટ રમ્યા. એ પછી પાકિસ્તાન સુપર લીગ દ્વારા તેઓ લોકોની નજરે ચડ્યા. હસન અલીની કારકિર્દીને આગળ ધપાવવામાં તેમના ભાઈ અતા-ઉર-રહેમાનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી.
બીબીસી ઉર્દૂના એક ઇન્ટરવ્યૂ દરમિયાન હસન અલીએ કહ્યું હતું કે તેમને કબડ્ડી પ્રત્યે આકર્ષણ થયું હતું, પરંતુ તેમના ભાઈએ ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને ટકાવી રાખ્યો. તેઓ જે કંઈ બની શક્યા, તેમાં તેમના ભાઈનો સિંહફાળો છે.
2017ની ચૅમ્પિયન્સ ટ્રૉફી દરમિયાન તેમને બેસ્ટ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, આ સિવાય તેઓ 'ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર' રહી ચૂક્યા છે.
હસનલ અલીનાં પત્ની શામિયા આરજૂ ભારતીય છે અને બંનેએ ઑગસ્ટ-2020માં દુબઈમાં લગ્ન કર્યાં હતાં.
'ધ હિંદુ'ના એક અહેવાલ મુજબ, શામિયા મૂળ હરિયાણાનાં છે. તેઓ અમિરાત ઍરલાઇન્સમાં ફ્લાઇટ એન્જિનિયર છે તથા તેમનો પરિવાર દિલ્હીમાં રહે છે.
હસન સિવાય ઝહીર અબ્બાસ, મોહસીન ખાન અને શોએબ મલિક જેવા પાકિસ્તાની ક્રિકેટ ખેલાડીઓ ભારતીય મહિલાઓ સાથે નિકાહ કરી ચૂક્યા છે.
હસન ઉપરાંત આફ્રિદી પર નિશાન
ટ્વિટર ટ્રૅન્ડમાં હસન અલી ઉપરાંત શાહીન આફ્રિદી પણ ટ્રૅન્ડમાં છે, કારણ કે આફ્રિદીની જ ઓવરમાં વેડે ત્રણ છક્કા ફટકાર્યા હતા અને એક ઓવર વહેલી જ મૅચ આટોપી દીધી હતી.
કેટલાક લોકોના મતે હસન અલી મૅચમાં પરાજય માટે જવાબદાર છે, તો કેટલાક લોકોના મતે આફ્રિદી પરાજય માટે જવાબદાર છે.
એક ટ્વિટર યૂઝરે લખ્યું, છેવટે શાહીન ધનવાન બની ગયા. મેથ્યૂ વેડની ધૂંઆધાર બેટિંગનો આભાર. જે તેમના ઓવર કૉન્ફિડન્સને નીચે લાવ્યા.
અન્ય એક યૂઝરે લખ્યું, શાહીન આફ્રિદી જાણે છે કે હસન અલીએ કૅચ છોડ્યો, તેની સામે તેમના ત્રણ બૉલ પર ત્રણ સિક્સરને જનતા ભૂલી જશે. જોકે કેટલાક લોકોએ શાહીન આફ્રિદીનું પણ સમર્થન કર્યું હતું.
ક્રિકેટ અને ઇસ્લામનો વિજય
ભારત પર પાકિસ્તાનના વિજય બાદ ત્યાંના પ્રધાન શેખ રશીદે તેને 'ઇસ્લામનો વિજય' ગણાવ્યો હતો. તેમણે લખ્યું હતું, "દુનિયાભરના મુસલમાન સહિત ભારતીય મુસલમાનોની ભાવના પાકિસ્તાન સાથે છે. ઇસ્લામના વિજયની વધાઈ. પાકિસ્તાન જિંદાબાદ."
બીઇંગ હ્યુમર નામના ટ્વિટર યૂઝરે શેખ રાશીદને ટૅગ કરતાં લખ્યું,"આજે કયો ધર્મ હાર્યો."
શેખ રાશિદે પરાજય બાદ પણ ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે પાકિસ્તાની ક્રિકેટ ટીમે ગત ચાર અઠવાડિયાં દરમિયાન 22 કરોડ પાકિસ્તાનીઓને વિજય માટે કારણ આપ્યું હતું.
પાકિસ્તાન ટીમ પડખે પૂર્વ ખેલાડીઓ
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. છતાં પૂર્વ ખેલાડીઓ તેના પ્રદર્શનની પ્રશંસા કરી રહ્યા છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને લખ્યું કે તેઓ ટીમની ભાવનાઓને સમજી શકે છે. ઇમરાન પોતે પાકિસ્તાની ક્રિકેટર રહી ચૂક્યા છે તથા તેમના નેતૃત્વમાં ટીમે વર્લ્ડકપ જીત્યો હતો.
ફવાદ ચૌધરીએ લખ્યું, "સારું રમ્યા, છતાં હારી ગયા, જેથી દિલ તૂટી ગયું. આપણે જીતવાની જરૂર હતી."
પૂર્વ ક્રિકેટર વકાર યુનૂસે લખ્યું, "તમે ભલે વર્લ્ડકપ નથી જીત્યા, પરંતુ તમે લોકોનાં દિલ જીત્યાં છે."
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે પણ ટીમનો સાથ નહીં છોડવા જનતાને આહ્વાન કર્યું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો