You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પૂર્વ સીએજી વિનોદ રાયે કૉંગ્રેસી નેતા સંજય નિરૂપમની માફી કેમ માગી?
ભૂતપૂર્વ કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (સીએજી) વિનોદ રાયે કૉંગ્રેસના નેતા સંજય નિરૂપમની બિનશરતી માફી માગી છે.
'ઇન્ડિયા ટુડે'ના રિપોર્ટ અનુસાર વિનોદ રાયે ટુજી કૌભાંડ મામલે સંજય નિરૂપમ વિશે ટિપ્પણી કરી હતી તેના બદલ માફી માગી છે.
શું છે મામલો?
જ્યારે ટુજી સ્પૅક્ટ્રમ કૌભાંડનો વિવાદ થયો હતો ત્યારે વિનોદ રાયે એક ટિપ્પણી કરી હતી.
તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું હતું, "ટુજી કૌભાંડમાં વડા પ્રધાન મનમોહનસિંહનું નામ ન આવે તે માટે કેટલાક સંસદસભ્યોએ મને દબાણ કર્યું હતું."
તેમણે સંજય નિરૂપમના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. બાદમાં કેટલાક મીડિયા ઇન્ટરવ્યૂમાં પણ તેમણે આવું કર્યું હતું.
આથી વર્ષ 2014માં સંજય નિરૂપમે માનહાનીનો દાવો કર્યો હતો.
જોકે હવે તેમણે માફી માગી લીધી છે અને કહ્યું, "'ટુજી સ્પૅક્ટ્રમ ફાળવણીના રિપોર્ટ મામલે મનમોહનસિંહનું નામ ન આવે તે માટે કેટલાક સંસદસભ્યોએ દબાણ કર્યું હોવાની વાતમાં મેં ભૂલથી સંજય નિરૂપમનું નામ લીધું હતું."
વિનોદ રાયે તેમના ઍફિડેવિટમાં આ વાત જણાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વળી તેમણે એમ પણ કહ્યું છે કે ટીવી અને અખબારોમાં તેમનાં જે નિવેદન હતાં તેને ખોટી રીતે રજૂ કરાયાં હતાં.
રાયે તેમના ઍફિડેવિટમાં લખ્યું, "મારા નિવેદનથી સંજય નિરૂપમને કેટલી વેદના થઈ છે તે હું સમજી શકું છું. આથી હું બિનશરતી માફી માગું છું. મને આશા છે કે સંજય નિરૂપમ મારી માફી સ્વીકારશે અને આ મુદ્દાનો અહીં જ અંત લાવશે."
સંજય નિરૂપમનું નિવેદન નોંધીને પટિયાલા હાઉસ કોર્ટે કેસનો નિકાલ કરી દીધો હતો.
વિનોદ રાયની માફી બાદ કેવી પ્રતિક્રિયા આવી?
સંજય નિરૂપમના વકીલે કહ્યું, "સંજય નિરૂપમે માફી સ્વીકારી લીધી છે. વિનોદ રાય હવે આમાંથી મુક્ત છે. કોર્ટે કેસનો નિકાલ કરી દીધો છે."
બાદમાં સંજય નિરુપમે એક નિવેદમાં કહ્યું હતું, "વિનોદ રાયે આખા દેશની માફી માગવી જોઈએ. તેમણે ટુજી મામલે જે ખોટા આક્ષેપો કર્યાં તેના બદલ તેમણે દેશની માફી માગવી જોઈએ."
કૉંગ્રેસના મહાસચિવ અને પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું, "કૉંગ્રેસ સરકાર અને કૉંગ્રેસ સામે કરવામાં આવેલા ખોટા આરોપનો ભાંડો ફૂટી ગયો છે. સંજય નિરૂપમે લડાઈ લડી તે ખૂબ જ સારી વાત છે."
આ મુદ્દે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વિટ કરી લખ્યું, "સત્યમેવ જયતે. આજે કૉંગ્રેસ અને મનમોહનસિંહની જીત થઈ છે. વિનોદ રાયે જે ખોટા આરોપો કર્યાં હતા તે બદલ દેશની માફી માગવી જોઈએ. કોઈ પણ પુરાવા વગર કૉંગ્રેસને બદનામ કરવું એક ગુનાહિત કૃત્ય હતું. આજે દેશ નોટબંધી, ખોટી રીતે લાગુ કરાયેલ જીએસટી સહિતની ભાજપની નીતિઓથી પીડાઈ રહ્યો છે. જે વિનોદ રાયને આભારી છે."
સોશિયલ મીડિયા પર પણ ઘણાએ આ મામલે પ્રતિક્રિયા આપી જેમાં રચિત શેઠે લખ્યું, "એ ભૂલશો નહીં કે અન્ના હઝારે અને વિનોદ રાયે દેશને કેટલું નુકસાન કર્યું છે."
વરિષ્ઠ લેખક અને પત્રકાર પરણજોય ગુહાઠકુર્તાએ ટ્વિટ કર્યું, "આ સાધારણ વાત નથી.ખૂબ જ રસપ્રદ વાત છે કે વિનોદ રાયે માફી માગી છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો