કોરોના વાઇરસ : વૅન્ટિલેટરમાં થયો ધડાકો, નવ કોરોના દરદીઓનાં મૃત્યુ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી અનુસાર દક્ષિણ તુર્કીમાં એક હૉસ્પિટલમાં ઑક્સિજન વૅન્ટિલેટરમાં થયેલ બ્લાસ્ટને પગલે કોરોના વાઇરસગ્રસ્ત નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

સ્થાનિક ગવર્નરના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર ગાઝીઅનટેપમાં સાંકો યુનિવર્સિટી હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં બ્લાસ્ટને કારણે આગ લાગી ગઈ હતી.

આ ઘટના બાદ દર્દીઓને બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરતી વખતે પણ એક દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું.

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે તુર્કીમાં અત્યાર સુધી લગભગ 20 લાખ કોરોનાના દર્દી નોંધાઈ ચૂક્યા છે. તેમજ અત્યાર સુધી કોરોના વાઇરસના 17,610 દર્દીઓનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

શનિવારે વહેલી સવારે ફાટી નીકળેલ આગના કારણે કોઈને ય ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી. તેમજ આગ પર જલદી કાબૂ પણ મેળવી લેવાયો હતો.

હૉસ્પિટલે પોતાના નિવેદનમાં કહ્યું કે ઘટનાના તમામ પીડિતો 56થી 85 વર્ષની વય વચ્ચેની વ્યક્તિઓ હતી.

ધડાકાના કારણની જાણકારી મેળવવા માટે તપાસ કરાઈ રહી છે.

ગાઝીઅનટેપના ગવર્નરના કાર્યાલયના નિવેદનમાં કહેવાયું હતું કે, “જ્યાં આગ ફાટી નીકળી તે જ વૉર્ડમાં સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.”

નિવેદનમાં કહેવાયું હતું કે આ ઘટના અંગે અધિકારીઓ દ્વારા જરૂરી પગલાં લેવાયાં છે.

તુર્કીના રાષ્ટ્રપતિના પ્રવક્તા ઇબ્રાહિમ કાલીને ટ્વીટ કરીને કહ્યું કે, “ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી શુભેચ્છા.”

તેમણે આ ટ્વીટમાં વધુમાં લખ્યું હતું કે, “ગેટ વેલ સૂન ગાઝીઅનટેપ.”

ગયા મહિને રોમાનિયાની એક હૉસ્પિટલમાં લાગેલી આગને કારણે કોરોનાની સારવાર લઈ રહેલા 10 લોકોના જીવ ગયા હતા. રિપોર્ટ અનુસાર અમુક મેડિકલ સાધનમાં આગ લાગવાને કારણે પાસે પડેલા ઑક્સિજન સીલિન્ડરમાં પણ આગ લાગી જવાને કારણે આ ઘટના બની હતી.

રશિયાની ઇમર્જન્સી મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર ઑક્ટોબર માસમાં રશિયાના ચેલિયાબિન્સ્ક વિસ્તારમાં કોરોના વાઇરસની કામચલાઉ હૉસ્પિટલ, જ્યાં 150 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, તેમાં આગ લાગવાને કારણે હૉસ્પિટલ ખાલી કરવાની ફરજ પડી હતી. આ આગ હૉસ્પિટલના ‘ઑક્સિજન બૂથ’માં ધડાકો થવાને કારણે લાગી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો