You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાડીઓ પર નંબર પ્લેટ લગાવવાની પરંપરા ક્યારે, ક્યાં અને કેમ શરૂ થઈ?
- લેેખક, શારદા મિયાપુરમ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સ્ટિયરિંગ વ્હીલ પરનું એક બટન દબાવતા જ કારની નંબર પ્લેટ બદલાઈ જતી દેખાય છે.
દેશના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ થનારા દંડ તથા અન્ય ગુનાઓથી બચવા માટે વાહનોની નંબર પ્લેટ બદલવાના આરોપોમાં પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની ઘટનાઓ વધી રહી છે.
હૈદરાબાદ પોલીસ કમિશનર વી.સી. સજ્જનારના જણાવ્યા અનુસાર, 4 જૂને પોલીસે સમગ્ર હૈદરાબાદ શહેરમાં વિશેષ દરોડા પાડ્યા હતા, જેમાં નકલી નંબર પ્લેટ ધરાવતા 2,100થી વધુ વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં./
પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે 'ઑપરેશન કવચ' નામથી રાત્રે 10 વાગ્યાથી મધરાત સુધી ચલાવવામાં આવેલા દરોડા દરમિયાન નંબર પ્લેટ ક્લોનિંગ, છેતરપિંડી, નકલી નંબર પ્લેટોના ઉપયોગ તથા બે અલગ-અલગ વાહનો માટે એક જ નંબરનો ઉપયોગ કરવાના કિસ્સાઓ સામે આવ્યા હતા.
પોલીસ કમિશનરે જણાવ્યું કે વાહનોના નોંધાયેલા નંબર સાથે કોઈપણ પ્રકારનાં ચેડાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ગણાશે.
તેમણે એવી ચેતવણી પણ આપી કે નંબર પ્લેટ સંબંધિત કાયદાનો ભંગ કરવાના કોઈપણ કેસમાં ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
સ્પષ્ટ છે કે આજના સમયમાં વાહનોની નંબર પ્લેટને અત્યંત મહત્ત્વ આપવામાં આવે છે. આપણે આગળ જાણીશું કે વાહનો માટે નંબર પ્લેટનો ક્યારે અને કયા હેતુથી ઉપયોગ શરૂ થયો હતો?
વાહનનો રજિસ્ટ્રેશન નંબર એ શું છે?
મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 41(6) અનુસાર આ નંબર પરિવહન વિભાગ (આરટીઓ) દ્વારા દેશમાં ચાલતા કોઈપણ મોટર વાહનની સત્તાવાર ઓળખ માટે ફાળવવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોટર વાહન અધિનિયમમાં જોગવાઈ કરવામાં આવી છે કે આ નંબર વાહનની આગળ અને પાછળ એ રીતે લગાડેલો હોવો જોઈએ કે જેથી તે સ્પષ્ટ અને સરળતાથી દેખાઈ શકે.
આ અધિનિયમની કલમ 39 અનુસાર, પરિવહન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રજિસ્ટ્રેશન નંબર વિના દેશમાં કોઈપણ મોટર વાહન ચલાવવું ફોજદારી ગુનો છે.
નંબર પ્લેટ પરથી શું માહિતી મળે છે?
વાહનોની નંબર પ્લેટો એક નિશ્ચિત ક્રમ મુજબ તૈયાર કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, નંબર પ્લેટ TN 06 AB 1234 (કાલ્પનિક નંબર) લઈએ. તો કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989ના નિયમ 50 અનુસાર, તેના પ્રથમ બે અક્ષરો (TN) તે રાજ્યનો કોડ દર્શાવે છે, જ્યાં સંબંધિત વાહન નોંધાયેલું હોય.
ત્યારબાદના બે અંક (06) રાજ્યના કોઈ ચોક્કસ જિલ્લા અથવા આરટીઓ કચેરીનો કોડ દર્શાવે છે, જ્યાં વાહનની નોંધણી થઈ હોય.
નંબરની વચ્ચે આવેલા અંગ્રેજી અક્ષરો (AB) જે સમયે વાહનની નોંધણી થઈ હોય તે સમયે અમલમાં રહેલી નોંધણી શ્રેણીના ક્રમને દર્શાવે છે.
ત્યારબાદના અંતિમ ચાર અંક (1234) તે વાહનને વિશેષરૂપે ફાળવવામાં આવેલી ઓળખ સંખ્યા દર્શાવે છે. આ સંખ્યા અન્ય કોઈ વાહનને આપવામાં આવતી નથી. હાલમાં આ પ્રક્રિયા કમ્પ્યુટરની મદદથી કરવામાં આવે છે.
નંબર પ્લેટનો ઇતિહાસ શું છે?
વાહનો માટે નંબર પ્લેટને કાયદાકીય રીતે ફરજિયાત બનાવનાર વિશ્વનો પ્રથમ દેશ ફ્રાન્સ હતો.
14 ઑગસ્ટ, 1893ના રોજ પેરિસ પોલીસના એક આદેશથી નવો કાયદો અમલમાં મૂકાયો હતો. પેરિસની સડકો પર અકસ્માત કર્યા પછી ભાગી જતાં વાહનમાલિકોને ઓળખીને પકડી શકાય તે માટે નંબર પ્લેટ ફરજિયાત બનાવવાના હેતુથી આ આદેશ બહાર પાડવામાં આવ્યો હતો.
આ આદેશમાં જણાવાયું હતું કે, "પેરિસ શહેરમાં ચાલતા દરેક વાહન પર ઓળખપત્ર માટે પ્લેટ હોવી જરૂરી છે. આ પ્લેટ પર વાહન નંબર ઉપરાંત માલિકનું નામ અને સરનામું પણ લખેલું હોવું જોઈએ."
આ નિયમ શરૂઆતમાં માત્ર પેરિસ શહેરની હદમાં અમલમાં મૂકાયો હતો, પરંતુ જર્મનીએ 1896માં સમગ્ર દેશમાં નંબર પ્લેટનો ઉપયોગ શરૂ કર્યો.
નેધરલૅન્ડ્સે આ દિશામાં એક પગલું આગળ વધાર્યું. સમગ્ર દેશમાં એકસરખો નંબર પ્લેટનો કાયદો અમલમાં મૂકવાનો શ્રેય નેધરલૅન્ડ્સને જાય છે.
ડચ સરકારે 1898માં રાષ્ટ્રીય ટ્રાફિક કાયદો અમલમાં મૂક્યો. તેના હેઠળ 'ડ્રાઇવિંગ લાઇસન્સ પ્લેટ' નામથી નંબર પ્લેટો જાહેર કરવામાં આવી.
'નૅશનલ મ્યુઝિયમ ઑફ અમેરિકન હિસ્ટ્રી'ની વેબસાઇટ અનુસાર, અમેરિકામાં સૌથી પહેલાં 1901માં ન્યૂયૉર્કમાં કારો માટે લાઇસન્સ પ્લેટ ફરજિયાત બનાવતો કાયદો પસાર કરવામાં આવ્યો હતો.
વેબસાઇટના જણાવ્યા મુજબ, "તે સમયે સરકાર લાઇસન્સ પ્લેટ બહાર પાડતી નહોતી. કારના માલિકો ચામડા અથવા લોખંડના ટુકડા પર પોતાના નામના શરૂઆતના અક્ષરો રંગીને તેને વાહનની પાછળ લગાવતા હતા."
"ત્યારબાદ 1903માં મેસાચ્યુસેટ્સ સરકારે સત્તાવાર રીતે લાઇસન્સ પ્લેટો બહાર પાડવાનું શરૂ કર્યું હતું."
ભારતમાં નંબર પ્લેટની શરૂઆત ક્યારે થઈ?
ભારત સરકારના સત્તાવાર અભિલેખો અનુસાર, ભારતમાં વાહનો માટે નંબર પ્લેટનો નિયમ સત્તાવાર રીતે 1914માં બ્રિટિશ સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા ઇન્ડિયન મોટર વીહિકલ ઍક્ટ 1914 હેઠળ લાગુ કરવામાં આવ્યો હતો.
1900ની આસપાસના સમયગાળામાં ભારતના અનેક પ્રાંતોમાં વાહનોની ઓળખ માટે સંખ્યાઓના ઉપયોગના પુરાવા ઉપલબ્ધ છે.
'ધ લો ઑફ મોટર વીહિકલ ઇન ઇન્ડિયા' નામના પુસ્તક અનુસાર, 1914ના રાષ્ટ્રીય કાયદા પહેલાં જ બ્રિટિશ ભારતમાં વાહનોના નિયંત્રણ અને નોંધણી માટે બૉમ્બે (1901), બંગાળ (1903), મદ્રાસ (1907), પંજાબ (1907) અને બર્મા (1906) જેવા અનેક પ્રાંતોમાં અલગ-અલગ પ્રાદેશિક કાયદાઓ અમલમાં હતા.
વાહનચાલકોની સુવિધા માટે આ બધા કાયદાઓને 1914માં એક જ રાષ્ટ્રીય કાયદા હેઠળ લાવવામાં આવ્યા હતા.
1914નો કાયદો ખૂબ જ સરળ હતો અને ત્યાર બાદ દેશભરમાં વાહનોની સંખ્યામાં ઝડપથી વધારો થયો.
તેથી પરિવહન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને નિયમબદ્ધ બનાવવા માટે બ્રિટિશ સરકારે 1939માં મોટર વીહિકલ ઍક્ટ 1939 અમલમાં મૂક્યો.
ભારતમાં વાહનોની નંબરપ્લેટ સંબંધિત કાયદો શું કહે છે?
1939ના મોટર વાહન અધિનિયમે સમગ્ર દેશમાં નંબર પ્લેટની ડિઝાઇન બદલી નાખી.
આ કાયદા અનુસાર બે અક્ષરનો પ્રાંત અથવા રાજ્યનો કોડ, ત્યારબાદ અક્ષરોની એક શ્રેણી અને પછી ચાર અંકો (ઉદાહરણ તરીકે: બૉમ્બે પ્રાંતની નંબર પ્લેટ – BMY 1234) લખવાની પદ્ધતિ શરૂ કરવામાં આવી.
તે સમયે એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે ખાનગી વાહનોની નંબર પ્લેટ પર સફેદ અક્ષરો હોવા જોઈએ, જ્યારે વ્યાવસાયિક વાહનોની નંબર પ્લેટ પર કાળા અક્ષરો હોવા જોઈએ.
એમવી ઍક્ટ, 1988માં સમયાનુરૂપ ફેરફારો
આજે આપણે જે નંબર પ્લેટનું સ્વરૂપ જોઈએ છીએ, તે મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 41 હેઠળ અમલમાં આવ્યું હતું. ભારત સરકારે જૂના કાયદાને બદલીને આ વ્યવસ્થા લાગુ કરી હતી.
રાજ્ય કોડ: કેન્દ્રીય મોટર વાહન નિયમ, 1989ના નિયમ 50 અનુસાર દરેક રાજ્યને બે અક્ષરોનો વિશિષ્ટ કોડ ફાળવવામાં આવ્યો છે. (જેમ કે તમિલનાડુ માટે TN, બિહાર માટે BR, ઉત્તર પ્રદેશ માટે UP.)
રંગનો નિયમ: આ નિયમ મુજબ ખાનગી વાહનોની નંબર પ્લેટ સફેદ રંગની હોવી જોઈએ, વ્યાવસાયિક વાહનોની નંબર પ્લેટ પીળા રંગની હોવી જોઈએ અને ઇલેક્ટ્રિક વાહનોની નંબર પ્લેટ લીલા રંગની હોવી જોઈએ. આ તમામ પ્લેટો પર કાળા રંગમાં નંબર લખેલા હોવા જોઈએ, જેથી તે સ્પષ્ટ રીતે દેખાય.
કેન્દ્ર સરકારે નકલી નંબર પ્લેટ દ્વારા થતી છેતરપિંડી અને વાહનચોરીને રોકવા માટે HSRP (હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ)ની વ્યવસ્થા શરૂ કરી છે.
આ એલ્યુમિનિયમની પ્લેટોમાં ક્રોમિયમ આધારિત હોલોગ્રામ અને લેઝર દ્વારા અંકિત કરાયેલા નંબર હોય છે, જેના કારણે પ્લેટમાં ફેરફાર કરવો અથવા તેને બદલવી મુશ્કેલ હોય છે.
આ ઉપરાંત, 2021માં કેન્દ્ર સરકારે એવા લોકો માટે 'BH' (ભારત સિરીઝ) નોંધણી નંબર શરૂ કર્યો હતો, જેઓ કામકાજના કારણે વારંવાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતાં હોય.
આ નંબર પ્લેટ સમગ્ર દેશમાં માન્ય છે. તેનો અર્થ એ છે કે જો તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરો, તો તમારે તમારા વાહનનું ફરીથી નોંધણી કરાવવાની જરૂર પડતી નથી.
એટલું જ નહીં, તેનો બીજો ફાયદો પણ છે.
કારણ કે BH સિરીઝની નોંધણી સમગ્ર દેશમાં માન્ય છે, તેથી આ વાહન બીજા રાજ્યમાં રહેતી કોઈ પણ વ્યક્તિને સરળતાથી વેચી શકાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન