તમારા જીવનને સ્પર્શતા એ છ પદાર્થો જે હવે ખૂટવા આવ્યા છે

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

અછતનો ધીમેધીમે અકળાવનારો અનુભવ હવે આપણને થવા લાગ્યો છે.

જળ, ખનીજ તેલ અને મધમાખીની અછત થવા લાગી છે, તેવું તમે સાંભળ્યું હશે, પરંતુ બીજા એવા ઘણા સ્ત્રોતો છે જે ખૂટવા આવ્યા છે.

અથવા તો આપણે આ સ્રોતોનો એવી રીતે દુરુપયોગ કરી રહ્યા છીએ કે તેનું અસ્તિત્વ ખતરામાં આવી જાય.

આ સ્રોત એવા છે, જે આપણા જીવનના દરેક પાસાને સ્પર્શે છે.

આવા છ પદાર્થો કે સ્રોતો છે જેના વિશે કદાચ તમને જાણ નહીં હોય.

1. અવકાશની ખૂટતી ભ્રમણકક્ષા

2019ની સ્થિતિએ પૃથ્વીની ફરતે લગભગ 5,00,000 પદાર્થો ભ્રમણ કરી રહ્યા છે.

તેમાંથી માત્ર 2,000 જેટલા જ કાર્યરત છે. આ એવા ઉપગ્રહો છે જે રોજબરોજના સંદેશવ્યવહાર માટે, જીપીએસ માટે અને ટીવીના મનપસંદ શૉ જોવા માટે કામમાં આવે છે.

બાકીના નકામા પદાર્થો છોડવામાં આવેલા રોકેટ્સના વધેલા ભાગો અને પૂર્જા, કે ભૂતકાળમાં અથડાઈને નાશ પામેલા ઉપગ્રહોના ટુકડા છે.

તો સમસ્યા શું છે? સમસ્યા એ છે કે આ 5,00,000 પદાર્થો તો એવા છે જેની ગણતરી કરાઈ છે અને તેના પર નજર રાખવામાં આવી રહી છે.

તે સિવાય નવો નવો કચરો અવકાશમાં ફેલાતો જ જાય છે.

ટૅક્નૉલૉજી આગળ વધતી જાય છે, તેના કારણે અવકાશના પરિભ્રમણમાં વસ્તુઓ મોકલવાનું વધારે ને વધારે સહેલું બનતું જાય છે.

આમ તો આપણા માટે આ સારા સમાચાર કહેવાય, પરંતુ પૃથ્વીની ફરતે ઘૂમી રહેલા આ પદાર્થોનું નિયંત્રણ કરવા માટે કોઈ ટ્રાફિક નિયમો આકાશમાં કામ આવતા નથી.

બીજું હજી સુધી આ અવકાશી કચરાને સાફ કરવાની કોઈ પદ્ધતિ માણસે શોધી નથી.

અવકાશમાં કચરો વધતો જાય છે, તેમ જોખમ પણ વધતું જાય કે આ ટુકડાઓ એકબીજા સાથે અથડાય અને ઉપગ્રહોના નેટવર્કને પણ નુકસાન પહોંચાડે.

આવું કોઈ નુકસાન થશે તો ઑનલાઇન, મૅપ, આપણા મોબાઇલ ફોન, હવામાનની માહિતી મેળવવી મુશ્કેલ બની જશે.

આ સમસ્યાના ઉકેલ માટે હોડ ચાલી છે ખરી, પણ અત્યારે તો કોઈ ઉપાય નથી.

2. રેતી

તમને લાગશે કે શું આવી વાતો કરી રહ્યા છે - રેતીની કદી અછત ઊભી થાય ખરી.

આટલા બધા બીચ છે અને કેટલા વિશાળ રણ છે, ત્યારે રેતી ક્યાંથી ખૂટી પડે?

વાસ્તવિકતા એ છે કે આજે દુનિયામાં સૌથી વધુ કોઈ પદાર્થનું ઉત્ખનન થઈ રહ્યું હોય તો તે રેતી છે.

આપણે એટલા વિશાળ પ્રમાણમાં રેતીનો ઉપયોગ કરી રહ્યા છીએ કે એટલા સમયમાં કુદરતી રીતે બીજી રેતી તૈયાર થઈ શકતી નથી, એમ સંયુક્ત રાષ્ટ્રસંઘે જણાવ્યું છે.

હજારો વર્ષો સુધી ખડકોના ધોવાણથી રેતી તૈયાર થઈ હતી. આજે તેનો ઉપયોગ બાંધકામ માટે, ભરતી કરીને જમીન રિક્લેમ કરવા માટે, પાણીને ફિલ્ટર કરવા માટે અને મોબાઇલ તથા બારીમાં વપરાતા કાચ બનાવવા માટે ભરપૂર પ્રમાણમાં થઈ રહ્યો છે.

નદી વગેરેમાંથી નદીનું ઉત્ખન્ન કરવાથી તળ અને તેની જૈવિક વ્યવસ્થા નાશ પામે છે. તેના કારણે રેતીના જથ્થા પર નિયંત્રણ માટે માગણીઓ થવા લાગી છે.

3. હિલિયમ

તમે પેલા પાર્ટી બલૂન હવામાં છોડીને ઉપર જતા જોઈને ખુશ થાવ છો, ત્યાં અટકીને અફસોસ કરવાનો વારો આવે તે સમય પાકી ગયો છે.

હિલિયમ ગૅસનો જથ્થો પણ મર્યાદિત છે. તેને ઊંડા ભૂતળમાંથી કાઢવામાં આવે છે. હવે થોડા દાયકા ચાલે એટલો જ જથ્થો વધ્યો હોવાનું માનવામાં આવી છે.

કેટલાક અંદાજો અનુસાર 30થી 50 વર્ષમાં હિલિયમની અછત વર્તાવા લાગશે.

એવું ના માનશો કે તેનાથી માત્ર બાળકોની પાર્ટીમાંથી મજા જતી રહેશે. હિલિયમનો તબીબી સારવારમા પણ મહત્ત્વનો ઉપયોગ છે.

એમઆરઆઇના સ્કેનર્સને કામ કરતાં રાખવા માટે તેને ઠંડા રાકવા હિલિયમ ગૅસનો જ ઉપયોગ થાય છે.

આ મશીનોના કારણે કૅન્સરના તથા બ્રેઇન અને કરોડરજ્જુના રોગોના નિદાન તથા સારવારમાં ક્રાંતિ આવી છે.

4. કેળાં

નજીકના ભવિષ્યમાં કદાચ એવું પણ બને કે આપણને સ્મૂથીઝમાં અસલી સ્વાદ ના મળે!

હાલમાં કૉર્મશિયલ ધોરણે વેચવા માટે ઉગાડવામાં આવતા મોટા ભાગનાં કેળાં સામે પનામા ડિસીઝ તરીકે ઓળખાતી ફંગસના કારણે જોખમ ઊભું થયું છે.

આપણે જે કેળાંનો ઉપયોગ કરીએ છીએ તે કેવેન્ડીશ જાતનાં કેળાં છે. તે બધા એક જ પ્રકારના છોડમાંથી તૈયાર થાય છે.

આ કેળાં ક્લાન કરીને તૈયાર કરાય છે. તેના કારણે પનામા ડિસીઝ કેળાની વાડીમાં બહુ ઝડપથી ફેલાઈ જાય તેવું જોખમ રહેલું છે.

ભૂતકાળમાં આવું થયું પણ છે. 1950ના દાયકામાં આ જ રોગના કારણે આખા વિશ્વનાં કેળાંનો પાક નાશ પામ્યા હતો.

તે વખતે ગ્રોસ મિશેલ જાતના કેળાને બદલે કેવેન્ડિશ કેળાં તરફ ખેડૂતોએ વળવું પડ્યું હતું.

સંશોધકો અત્યારે કેળાંની એવી જાત વિકસાવવા માટે કામ કરી રહ્યા છે, જે સ્વાદમાં એવીને એવી હોય, પણ ફંગસ સામે ટકી જાય.

5. માટી

આપણાં ખેતરો વગેરેમાં રહેલી માટી કંઈ ધરતી પરથી સરકી જવાની નથી, પણ આપણે તે માટીનો એવી ખરાબ રીતે ઉપયોગ કર્યો છે કે ચિંતા થાય તેવું છે.

જમીનની સૌથી ઉપરની માટી કે ઢેફાં એટલે કે ટોપસોઇલ ઉપયોગી હોય છે, કેમ કે તેમાંથી જ વનસ્પતિને સૌથી પોષકપદાર્થો મળતા હોય છે.

જંગલોના રક્ષણ માટે કામ કરતી એનજીઓ WWFના જણાવ્યા અનુસાર છેલ્લાં 150 વર્ષમાં દુનિયાની અડધા જેટલી ટોપસોઇલનો નાશ પામ્યો છે.

એક ઈંચ જેટલી માટીનો થર કુદરતી રીતે તૈયાર થાય તે માટે 500 વર્ષ સુધી રાહ જોવી પડશે.

માટીનું ધોવાણ, વધારે પડતી ખેતી, જંગલોનો નાશ અને ગ્લૉબલ વોર્મિંગ વગેરે કારણસર ટોપસોઇલનો નાશ થઈ રહ્યો છે. દુનિયાભરના અનાજનો આધાર આ ટોપસોઇલ પર જ છે.

6. ફોસ્ફરસ

ફોસ્ફરસ એવું સાંભળીને થશે કે ચિંતા કરવા જેવું નથી, કેમ કે તેનો બહુ ઉપયોગ રોજિંદા જીવનમાં નહીં હોય.

હકીકતમાં ફોસ્ફરસ મનુષ્યના ડીએનએના માળખાનું જૈવિક રીતે સૌથી અગત્યનું અંગ છે. બીજું ખેતરમાં ખાતર તરીકે તે સૌથી ઉપયોગી છે. તેનો ભાગ્યે જ કોઈ વિકલ્પ છે.

ફોસ્ફરસ જમીનમાંથી પ્રાપ્ત થાય, વનસ્પતિમાં આવે અને બાદમાં છાણ તથા ઉત્સર્જન તરીકે ફરી જમીનમાં જાય.

પરંતુ આધુનિક જીવનશૈલીમાં ખેતરમાં તૈયાર થતા પાક વધારે શહેરમાં પહોંચે છે અને ગટર વ્યવસ્થા દ્વારા તેનો નિકાલ દરિયામાં થઈ જાય છે.

વર્તમાન ગતિને ધ્યાનમાં રાખીને જુદા જુદા એવા અંદાજો મૂકવામાં આવી રહ્યા છે કે 35થી 400 વર્ષ સુધીમાં ફોસ્ફરસનો જથ્થો ખૂટી પડશે.

તે પછી કદાચ આપણે ભૂખ્યા રહેવાનો વારો આવશે.

આ લેખ બીબીસી રેડિયો 4ના કાર્યક્રમ પરથી તૈયાર થયેલો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો