પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ કહ્યું, 'અમિત શાહ 27 ફેબ્રુઆરી યાદ છે ને?'

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

વિશ્વ કપમાં ભારત સામે પાકિસ્તાન હારી ગયું ત્યાર બાદ ભારતના ગૃહ પ્રધાન અમિત શાહે ભારતના વિજયની સર્જિકલ સ્ટ્રાઇક સાથે સરખામણી કરી હતી.

પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરેવ્યક્તિગત ટ્વિટર હૅન્ડલ ઉપરથી લખ્યું કે ક્રિકેટ મૅચ અને ઍરસ્ટ્રાઇક બંને અલગ-અલગ બાબતો છે એટલે બંનેની સરખામણી ન થઈ શકે.

ગફૂરે કહ્યું કે ભારતે મૅચ એટલે જીતી કારણ કે તેઓ સારું રમ્યા.

ગફૂરે પોતાના પર્સનલ ટ્વિટર હૅન્ડલ ઉપર ટ્વીટમાં લખ્યું, "ડિયર અમિત શાહ, તમારી ટીમ સારું રમી એટલે જીતી. બંને વસ્તુઓ અલગ-અલગ છે એટલે તેની તુલના ન થઈ શકે."

"સ્ટ્રાઇક અને મૅચ બંને અલગ વાતો છે. જો તમને શંકા હોય તો 27 ફેબ્રુઆરીને યાદ કરી લેજો. અમે બે ભારતીય વિમાન તોડી પાડ્યા હતા."

ગફૂરે પોતાના આગલા ટ્વીટમાં કહ્યું, "ઇન્ડિયન ઍરફોર્સની સ્ટ્રાઈક અસફળ થયા હતા. બે વિમાન તોડી પાડ્યા હતા, એક પાઇલટની ધરપકડ કરી હતી. નિયંત્રણ રેખા પાસે ભારતીય ચોકીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું."

અમિત શાહે 16 જૂનના દિવસે વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ભારતના વિજય પર એક ટ્વીટ કર્યું હતું.

તેમણે લખ્યું હતું, "ટીમ ઇન્ડિયા તરફથી પાકિસ્તાન પર વધુ એક સ્ટ્રાઇકનું પરિણામ છે. આ સુંદર પ્રદર્શન બદલ સમગ્ર ટીમને અભિનંદન. બધા ભારતીયોને આ વિજય પર ગૌરવ છે."

ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફની ટુકડી ઉપર ઉગ્રવાદીઓના હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલાનો દાવો કર્યો હતો, પણ પાકિસ્તાને તેને નિષ્ફળ ઠેરવી હતી.

આ દરમિયાન પાકિસ્તાને ભારતના એક પાઇલટ અભિનંદન વર્થમાનની ધરપકડ કરી હતી, જેમને પછી છોડી દેવામાં આવ્યા હતા અને તેઓ ભારત પરત આવ્યા હતા.

બાલાકોટમાં કરાયેલી સ્ટ્રાઇકમાં મૃતકોની સંખ્યાને લઈને પાકિસ્તાન અને ભારતમાં વિવાદ સર્જાયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો