You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વેદાંતા ગ્રૂપે સેમિકંડક્ટર પ્લાન્ટ માટે ગુજરાત સરકાર સાથે કર્યો એમઓયુ, 1.54 લાખનું કરોડનું રોકાણ - પ્રેસ રિવ્યૂ
ગુજરાત સરકારે તાજેતરમાં સેમિકંડક્ટર પૉલીસી જાહેર કરી હતી. ત્યાર બાદ મંગળવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાતમાં સેમિકંડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે વેદાંતા ગ્રૂપ અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ કરવામાં આવ્યો હતો.
વેદાંતા ગ્રૂપ અને તાઇવાનની ટૅક કંપની ફૉક્સકૉન સાથે મળીને ગુજરાતમાં સેમિકંડક્ટર ચીપ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યા છે. આ ચીપ મોબાઇલ, લૅપટૉપ સહિતના મોટા ભાગના ઇલેક્ટ્રિકલ ઉપકરણો બનાવવામાં વપરાય છે.
એમઓયુ બાદ વેદાંતા ગ્રૂપના ચૅરમેન અનિલ અગ્રવાલે ટ્વીટ કર્યું, "આજે ઇતિહાસ રચાયો છે. હું જાહેરાત કરતા ખુશી અનુભવુ છું કે વેદાંતા-ફૉક્સકૉન સેમિકંડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં બનવા જઈ રહ્યો છે. વેદાંતાનું 1.54 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતના 'આત્મનિર્ભર સિલિકૉન વૅલી'નાં સ્વપ્નને સાકાર કરવા તરફ આગળ ધપાવશે."
તેમણે આગળ લખ્યું, "આ પ્લાન્ટથી માત્ર ભારતમાં ચીપની જરૂરિયાત જ નહીં પરંતુ વિશ્વની જરૂરિયાતને પહોંચી વળવામાં મદદરૂપ થવાશે. 'ચીપ ખરીદનાર'થી 'ચીપ પૂરી પાડનાર' સુધીની યાત્રાનો પ્રારંભ થયો છે. જય હિંદ."
આ ઉપરાંત તેમણે વેદાંતા ગ્રૂપને મદદ કરવા બદલ ભારત સરકાર તેમજ કેન્દ્રીય આઈટી મંત્રીનો આભાર માન્યો હતો અને કહ્યું, "આ પ્લાન્ટથી વડા પ્રધાન મોદીનું આત્મનિર્ભર ભારતને મદદરૂપ કરશે અને ભારતની ઇલેક્ટ્રોનિક્સની આયાત ઘટાડશે. આ ઉપરાંત એક લાખ લોકોને નોકરી આપવામાં આવશે."
તેલંગણામાં ઇલેક્ટ્રિક સ્કૂટર શોરૂમમાં આગ લાગતાં આઠ લોકોનાં મૃત્યુ, વડા પ્રધાને જાહેર કરી સહાય
તેલંગણાના સિકંદરાબાદમાં એક ઇલેક્ટ્રિક સ્કૂટરના શોરૂમમાં આગ લાગતાં આઠ લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે. વડા પ્રધાન મોદીએ ઘટના અંગે શોક વ્યક્ત કરીને સહાયની જાહેરાત કરી છે.
જુદીજુદી સમાચાર એજન્સીઓ પ્રમાણે, આગ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઇલેક્ટ્રિક સ્કૂટરના શોરૂમમાં લાગી હતી.
હૈદરાબાદના પોલીસ કમિશનર સીવી આનંદે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે આગના ધુમાડાથી હોટલના પહેલા અને બીજા માળે હાજર લોકોને તકલીફ પડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આગળ કહ્યું, "કેટલાક લોકો બિલ્ડિંગમાંથી કૂદી પડ્યા. તેમને સ્થાનિકોએ બચાવ્યા અને હૉસ્પિટલ લઈ ગયા."
તેમણે જણાવ્યું, "આગ લાગી તે સમયે હોટલમાં 23 લોકો હતા. મોટા ભાગના લોકો વેપારી હતા. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે."
હૈદરાબાદ નૉર્થ ઝોનના ડીસીપી ચંદના દિપ્તીએ એએનઆઈને જણાવ્યું કે આ ઘટના રાત્રે 9:30 વાગ્યે બેઝમનેન્ટમાં ઘટી હતી. અહીં ઘણાં ઇલેક્ટ્રિક સ્કૂટર પાર્ક કરવામાં આવ્યાં હતાં. અત્યાર સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
આ ઘટનાને લઈને વડા પ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે.
તેમણે એક ટ્વીટ મારફતે કહ્યું, "સિકંદરાબાદમાં આગના કારણે થયેલાં મૃત્યુથી દુ:ખી છું. હું પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી પ્રાર્થના. મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહતકોષમાંથી બે લાખ રૂપિયા આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને પણ 50 હજાર રૂપિયા આપવામાં આવશે."
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પર ચાલુ સભામાં હુમલો?
ગુજરાત કૉંગ્રેસનાં નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પર અમદાવાદમાં એક જાહેરસભમાં દરમિયાન હુમલો થયો હોવાનો તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
જિજ્ઞેશ મેવાણીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી 12 સપ્ટૅમ્બરે મોડી રાત્રે કરાયેલા ટ્વીટમાં આ હુમલો પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની નજીકની વ્યક્તિ લાભુ દેસાઈ દ્વારા કરવામાં આવ્યો હોવાનો આરોપ મુકાયો છે.
આ સભા દરમિયાન ગુજરાત કૉંગ્રેસના અનુસૂચિત જાતિ સૅલના ચૅરમૅન હિતેન્દ્ર પિઠડિયા પણ તેમની સાથે હાજર હતા.
તેમણે ટ્વીટ કર્યું, "વસ્ત્રાલમાં અમારી સભા ચાલી રહી હતી અને ત્યારે જ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના માણસ લાભુ દેસાઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને સભા બંધ કરવા માટે જબરદસ્તી કરવામાં આવી. "
"પોલીસની ઉપસ્થિતિમાં થયેલો આ હુમલો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દર્શાવે છે."
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીનો દાવો, 'રશિયન સૈનિકોને પાછા ધકેલ્યા'
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ દાવો કર્યો છે કે યુક્રેનની સેનાએ રશિયન સૈન્યના કબજામાંથી ઘણા વિસ્તારો પાછો મેળવી લીધો છે.
વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું કે યુક્રેનિયન સેનાઓએ પૂર્વ અને દક્ષિણમાં રશિયાના કબજામાંથી છ હજાર વર્ગ કિલોમિટરથી વધુ જગ્યા પોતાના નિયંત્રણમાં પાછી લીધી છે.
જોકે, બીબીસી આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી.
રશિયાએ ઉત્તર-પૂર્વ ખારકિએવ વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ શહેરો પરથી કબજો ગુમાવ્યો હોવાની વાત સ્વીકારી છે. ઘણા સૈન્યવિશેષજ્ઞો તેને મહત્ત્વપૂર્ણ વળાંક ગણે છે.
રશિયાનું કહેવું છે કે તે યુક્રેનના પૂર્વ લુહાન્સ્ક અને દોનેત્સ્ક પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને પોતાની સેનાઓને પાછી એકજૂથ કરી રહ્યું છે.
આ દરમિયાન યુદ્ધમાં રશિયા પાછળ રહી ગયું હોવાના અહેવાલોને લઈને પોતાના દેશમાં જ પુતિનની ટીકા થઈ રહી છે.
બીબીસી સંવાદદાતા જેમ્સ વૉટરહાઉસના કહેવા પ્રમાણે માર્ચમાં રાજધાની કિએવ પાસેથી રશિયન સેના હઠ્યા બાદ આ રશિયા માટે વધુ એક મોટો ઝટકો હોઈ શકે છે.
સોમવારે જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું, "સપ્ટેમ્બરની શરૂઆતથી અત્યાર સુધી અમારા યોદ્ધાઓએ પૂર્વ અને દક્ષિણમાં રશિયાના નિયંત્રણમાંથી છ હજાર વર્ગ કિલોમિટરથી વધુ જમીન પાછી મેળવી લીધી છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો