You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે પાસે બહુમતી નથી, તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરાવો', ભાજપની રાજ્યપાલને વિનંતી - પ્રેસ રિવ્યૂ
મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમમાં મંગળવારે ભાજપના નેતાઓ રાત્રે રાજ્યપાલને મળવા ગયા અને તાત્કાલિક ધોરણે ફ્લોર ટેસ્ટની માગ કરી હતી.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને હાલ વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણનવીસે રાજ્યપાલ સાથે બેઠક કર્યા બાદ કહ્યું કે, "અમે રાજ્યપાલને તાત્કાલિક ફ્લોર ટેસ્ટ માટે પત્ર સોંપ્યો છે."
તેમણે કહ્યું કે, "અમે રાજ્યપાલને પત્ર સોંપીને કહ્યું છે કે 39 શિવસેના ધારાસભ્યોનું કહેવું છે કે એ લોકો એનસીપી, કૉંગ્રેસ સાથે સરકારમાં નથી રહેવા માગતા, એ દર્શાવે છે કે મહાવિકાસ અઘાડી સરકારે બહુમતી ગુમાવી છે. અમે રાજ્યપાલને વિનંતી કરી છે કે તેઓ મુખ્ય મંત્રીને તાત્કાલિક ધોરણે ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરવા કહે."
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યો પહેલાં ગુજરાતના સુરત આવ્યા હતા અને હાલ આસામમાં છે. છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ નાટકીય વળાંક લઈ રહ્યો છે.
બળવાખોર નેતાઓએ એનસીપી અને કૉંગ્રેસ સાથે ગઠબંધનમાં રહેવાનો વિરોધ કર્યો છે અને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે તથા શિવસેના નેતા સંજય રાઉત આ બધા વિખવાદ વચ્ચે કહેતા આવ્યા છે કે બળવાખોર નેતાઓએ મુંબઈ આવીને વાત કરવી પડશે.
આ દરમિયાન મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનની સરકાર પર સંકટનાં વાદળો છવાયેલા છે.
મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોમાંથી રાજીનામું આપ્યું, આકાશ અંબાણી હશે નવા ચૅરમૅન
મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોમાંથી રાજીનામું આપ્યું છે, હવે તેમના પુત્ર આકાશ અંબાણી નવા ચૅરમૅન હશે.
રિલાયંસ ઇંડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણીએ મંગળવારના રિલાયંસ સમૂહની ટેલિકૉમ કંપની રિલાયંસ જિયોમાંથી રાજીનામું આપ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર, "મુકેશ અંબાણીએ રિલાયંસ જિયોના બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું અને તેમના પુત્ર આકાશ અંબાણી ચૅરમૅન બનશે."
આકાશ અંબાણી વર્ષ 2009માં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી આઈબી ડિપ્લોમા પ્રોગ્રામ પૂરો કર્યો હતો. ત્યાર બાદ તેમણે 2013માં બ્રાઉન યુનિવર્સિટીમાંથી બિઝનેસ-કૉમર્સમાં ગ્રેજુએશન કર્યું.
અભ્યાસ પૂરો કર્યા બાદ આકાશે રિલાયંસ જિયોઇન્ફોકૉમ લિમિટેડ સાથે કામ કર્યું હતું જે રિલાયંસની 4જી યુનિટ અને રિલાયંસના ફોકસનું નવું કેન્દ્ર છે.
આકાશને બાળપણથી જ ટેકનૉલૉજીમાં રસ રહ્યો છે અને તેઓ જિયોની મૅસેજિંગ- ચૅટ પ્રોડક્ટ ડેવેલપમેન્ટ અને અન્ય ડિજિટલ સર્વિસ એપ્લિકેશમાં સામેલ છે.
આકાશનાં લગ્ન હીરાવેપારી રસેલ મહેતાનાં સૌથી નાનાં દીકરી શ્લોકા મહેતા સાથે થયાં છે.
મુંબઈના કુર્લામાં ઇમારત ધરાશાયી, 14 લોકોનું મૃત્યુ
મધ્ય મુંબઈના કુર્લામાં ગઈકાલે મધ્યરાત્રિએ 3 માળની જર્જરિત ઈમારત ધરાશાયી થઈ હતી. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 3ની સારવાર ચાલી રહી છે.
મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
કુર્લાના નાઈક નગર સોસાયટીની ડી વિંગ ગઈકાલે રાત્રે તૂટી પડી હતી. ધરાશાયી થયેલી ઈમારત જર્જરિત હતી અને વર્ષ 2013 પહેલા સમારકામ માટે અને પછી તેને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી.
ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ બચાવ કામગીરી કરી રહ્યા છે અને કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.
મંત્રી આદિત્ય ઠાકરેએ ગઈકાલે મોડી રાત્રે અને આજે બપોરે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે બીએમસી મુંબઈમાં જર્જરિત ઈમારતોને આપવામાં આવેલી નોટિસોની સમીક્ષા કરશે અને તેઓ આવા બાંધકામોને ખાલી કરાવવા અને તોડવાની કામગીરી હાથ ધરશે.
દરમિયાન, હાલમાં બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદે સાથે ગુવાહાટીમાં રહેલા સ્થાનિક ધારાસભ્ય મંગેશ કુડાલકરે મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
ગુજરાત : વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપનું પ્રતિનિધિમંડળ દિલ્હી કેમ જઈ રહ્યું છે?
ગુજરાત ભાજપનું એક પ્રતિનિધિમંડળ મંગળવારે દિલ્હીની મુલાકાતે પહોંચી રહ્યું છે ત્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ પ્રતિનિધિમંડળની દિલ્હી મુલાકાતે ચર્ચા ઊભી કરી છે.
સમાચારપત્ર 'ધ હિંદુ'એ ગુજરાતના આ પ્રતિનિધિમંડળની દિલ્હી મુલાકાત અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.
અહેવાલમાં દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે 17 સભ્યોના આ પ્રતિનિધિમંડળમાં પૂર્વ મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ અને હાલના ધારાસભ્યો છે.
તેમણે કહ્યું, "બે દિવસીય મુલાકાતમાં ગુજરાત ભાજપનું પ્રતિનિધિમંડળ જોશે કે ગુજરાતમાં ચૂંટણી પહેલાં કેજરીવાલ દ્વારા જૂઠ્ઠાણાં અને વિજ્ઞાપનો મારફતે દિલ્હી મૉડલનાં વખાણ કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત ભાજપના નેતાઓ તમામ સૅક્ટરમાં પાણી અને વીજળી સમેત કેજરીવાલના આ કથિત દિલ્હી મૉડલનું સત્ય જોશે."
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારે સક્રિય જોવા મળી રહી છે. તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓ ગુજરાત આવી ચૂક્યાં છે અને રોડ શો તેમજ જનસભાઓ યોજી છે.
24 વર્ષમાં પહેલી વખત રશિયા લેણદારોને પૈસા ન ચૂકવી શક્યું
વર્ષ 1998 બાદ પહેલી વખત રશિયા વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ દેવું ચૂકતે કરવામાં નિષ્ફળ ગયું છે.
પશ્ચિમી દેશોએ લાદેલા પ્રતિબંધોના કારણે રશિયા આંતરરાષ્ટ્રીય લેણદારોને આપવાના પૈસા સમયસર ચૂકવી શક્યું નથી.
મૉસ્કોની કન્સલ્ટન્સી કંપની મૅક્રો ઍડવાઇઝરીના ચીફ ઍક્ઝિક્યુટિવ ક્રિસ વીફરનું કહેવું છે કે રશિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે પૈસા એકઠા કરવાની જરૂર નહોતી. તેને ઑઇલ અને ગૅસ જેવી મોંઘી વસ્તુઓની નિકાસથી ઘણી કમાણી થતી હતી.
રશિયાએ 27 મેના રોજ 100 મિલિયન ડૉલર વ્યાજરૂપે ભરવાના હતા.
રશિયાનું કહેવું છે કે આ રકમ યૂરોક્લિયર નામની બૅન્કને મોકલી દેવામાં આવી હતી. જ્યાંથી રોકાણકારોને પૈસાની ચૂકવણી થવાની હતી.
'બ્લૂમબર્ગ ન્યૂઝ' અનુસાર, યૂરોક્લિયર પાસે આ પૈસા ફસાઇ ગયા અને લેણદારોને પૈસાની ચૂકવણી ન થઈ શકી.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર રશિયાના બૉન્ડ રાખનાર તાઇવાનના કેટલાક રોકાણકારોને વ્યાજની રકમ મળી નથી. તેમણે રશિયાના બૉન્ડની યુરોમાં ખરીદી કરી હતી.
નિર્ધારિત તારીખથી 30 દિવસમાં પૈસા રોકાણકારો પાસે ન પહોંચતા રશિયાને ડિફૉલ્ટર તરીકે જોવામાં આવી રહ્યું છે.
યૂરોક્લિયર મુજબ, તેઓ પ્રતિબંધોનું પાલન કરવા માટે મજબૂર છે. આ પ્રતિબંધ યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવ્યા હતા.
બીજી બાજું, રશિયાનું કહેવું છે કે તેમની તરફથી કોઇ ડિફૉલ્ટ થયું નથી. કૅમિલનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે સ્પષ્ટતા કરી છે કે તેમના તરફથી મે મહિનામાં જ પૈસા ચૂકવી દેવાયા હતા અને યૂરોક્લિયરે પ્રતિબંધોના કારણે પેમેન્ટ રોકી દીધું છે અને પ્રતિબંધ રશિયાની સમસ્યા નથી.
યશવંત સિન્હાએ કહ્યું, 'એવી વ્યક્તિ રાષ્ટ્રપતિભવન જાય, જે સરકારના કબજામાં ન હોય'
રાષ્ટ્રપતિપદ માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ કહ્યું કે રાષ્ટ્રપતિભવનમાં એવી જ વ્યક્તિ જાય, જે પદની જવાબદારી સંપૂર્ણપણે નિભાવી શકે.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "જો કોઈ એવી વ્યક્તિ જાય છે, જે સરકારના કબજામાં હોય તો તેની હિંમત જ નહીં થાય કે તે સલાહ આપી શકે. પછી આ પદનો કોઈ ફાયદો નહીં રહે."
તેમણે આગળ કહ્યું, "એમ કહેવાઇ રહ્યું છે કે હું ચોથી પસંદ છું પણ હું એમ કહેવા માગું છું કે જો હું દસમી પસંદ હોત તો પણ મને વાંધો નથી. કારણ કે આ મોટી લડાઈ છે."
યશવંત સિન્હાએ એમ પણ કહ્યું હતું કે તેઓ ભાજપમાં પોતાના જૂના સહયોગીઓ પાસે પણ સમર્થન માટે જશે.
મહત્ત્વપૂર્ણ છે કે યશવંત સિન્હા ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે.
2018માં તેમણે પાર્ટી છોડી દીધી હતી. અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ નાણામંત્રી અને વિદેશમંત્રી રહી ચૂક્યા છે.
ભાજપ છોડ્યા બાદ 2021માં તેઓ તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા હતા. બાદમાં મમતા બેનરજીએ તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો