You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અગ્નિપથ' વિવાદ : બિહાર, રાજસ્થાન, એમપી અને હરિયાણામાં વિરોધપ્રદર્શન
બિહાર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી માંડીને હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં સેનામાં ભરતી સાથે સંબંધિત 'અગ્નિપથ સ્કીમ'નો વિરોધ ચાલી રહ્યો છે.
કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે બે દિવસ પહેલાં જ આ સ્કીમ લૉન્ચ કરી હતી. જે અંતર્ગત સાડા સત્તર વર્ષથી માંડીને 21 વર્ષની ઉંમરના યુવાનોને ટૂંકા ગાળા માટે સેનામાં પોતાની સેવાઓ આપવાની તક અપાશે.
આ સ્કીમ અંતર્ગત સેનામાં ભરતી થનાર યુવાનોનો સેવાકાળ ચાર વર્ષ હશે. જોકે, ભરતી થનાર કુલ યુવાનો પૈકી 25 ટકાને કાયમી સેવામાં પણ લેવામાં આવશે.
આ યોજનાના એલાન બાદથી બિહારથી માંડીને હરિયાણા અને રાજસ્થાનથી માંડીને ઉત્તરાખંડમાં યુવાનો મારફતે વિરોધપ્રદર્શન કરાઈ રહ્યાં છે.
પટણામાં હાજર બીબીસી હિંદીના સહયોગી સીટૂ તિવારી પ્રમાણે, ગુરુવારે બિહારના તમામ જિલ્લામાં ઉગ્ર વિરોધપ્રદર્શન જોવા મળ્યાં.
જેમાં બક્સર, જહાનાબાદ, છપરા, કૈમૂર, નવાદા, સમસ્તીપુર અને આરા સમાવિષ્ટ છે.
અગ્નિપથ યોજના અંગે ખાસ વાતો
- ભરતીની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- શૈક્ષણિક લાયકાતઃ 10 કે 12 પાસ
- ભરતી ચાર વર્ષ માટે થશે
- ચાર વર્ષ પછી સેવામાં કામગીરીના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને 25 ટકા લોકોને કાયમી કરવામાં આવશે.
- ચાર વર્ષ પછી જે જવાનો નિયમિત થશે તેમને અગ્નિવીર કહેવામાં આવશે.
- પ્રથમ વર્ષનો પગાર મહિને 30 હજાર રહેશે
- ચોથા વર્ષે દર મહિને 40 હજાર રૂપિયા મળશે
રાજસ્થાનમાં વિરોધ
જયપુરથી બીબીસી હિંદીના સહયોગી મોહરસિંહ મીણા જણાવે છે કે રાજસ્થાનમાં સતત બીજા દિવસે પણ કેન્દ્ર સરકારની યોજના અગ્નિપથનો વિરોધ ચાલુ રહ્યો છે.
રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સંયોજક અને નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલે આ યોજનાના વિરોધમાં પ્રદેશનાં તમામ જિલ્લા મુખ્યાલય પર પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે બાદ જયપુર, બાઢમેર, સીકર, જોધપુર અને અજમેર સહિત ઘણા જિલ્લામાં વિરોધપ્રદર્શન કરાયાં.
બાઢમેરમાં યુવાનોએ રેલવે ટ્રેક પર ટાયર બાળીને ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો.
તેમજ, જયપુરના ગ્રામીણ વિસ્તાર કોટપુતલીમા અમુક યુવાનોએ ટાંકી પર ચઢીને વિરોધપ્રદર્શન કર્યું.
મધ્ય પ્રદેશમાં પણ થયો વિરોધ
બીબીસી હિંદીના સહયોગી શુરૈહ નિયાઝી પ્રમાણે, મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં પણ ઘણા યુવાનોએ ગુરુવારના રોજ વિરોધપ્રદર્શન કર્યું.
યુવાનોએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિરોધપ્રદર્શન કર્યા બાદ બિરલાનગર સ્ટેશન પહોંચીને તોડફોડ કરી.
ગ્વાલિયરથી પણ એવા કેટલાક વીડિયો સામે આવ્યા જેમાં યુવાનો રેલવે ટ્રેક પર દોડતા દેખાય છે.
મધ્ય પ્રદેશની પોલીસે યુવાનોને કાબૂમાં કરવા માટે ટિયરગૅસનો ઉપયોગ કર્યો.
હરિયાણામાં યુવકે કરી આત્મહત્યા
રોહતકમાં હાજર બીબીસી હિંદીના સહયોગી સતસિંહ પ્રમાણે, હરિયાણાના પલવલ, રેવાડી, રોહતક અને ચરખી દાદરી સહિત ઘણા જિલ્લામાં યુવાનોએ સરકારની આ યોજના વિરુદ્ધ વિરોધપ્રદર્શન કર્યું.
પલવલમાં આ સ્કીમ વિરુદ્ધનું આંદોલન હિંસક બની ગયું. પ્રદર્શનકારીઓએ ડેપ્યુટી કમિશનર ઑફિસ અને આવાસ પર પથ્થરમારો કરવાની સાથોસાથ વાહનોને આગ ચાંપી દીધી. જેને કારણે સ્થાનિક પ્રશાસને કલમ 144 લાગુ કરી દીધી છે.
આ બાદ હરિયાણા પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો.
આ દરમિયાન જ રોહતકમાં એક યુવાને અગ્નિપથ યોજનાના વિરોધમાં આત્મહત્યા કરી હોવાના પણ સમાચાર મળ્યા હતા.
રોહતકના ડીએસપી મહેશકુમારે મીડિયાને જણાવ્યું કે, "સચીન નામના યુવાનના પિતાએ પોલીસને સૂચના આપી હતી કે તેમનો દીકરો નોકરીની શોધમાં હતો અને તેણે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી લીધી."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો