You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેકેનું નિધન : બોલીવૂડ ગાયક કેકેનું કોલકતામાં હાર્ટઍટેકથી નિધન
- લેેખક, પ્રભાકરમણિ તિવારી
- પદ, કોલકાતાથી, બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 2 મિનિટ
બોલીવૂડના જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નથનું મંગળવારે મોડી રાત્રે કોલકાતા ખાતે નિધન થઈ ગયું. તેઓ કેકે તરીકે જાણીતા હતા.
તેઓ 53 વર્ષના હતા.
તેઓ મહાનગરની એક કૉલેજના સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે તબિયત ખરાબ હોવાની વાત કરી હતી.
કાર્યક્રમથી હોટલ પહોંચતાં જ તેમને એક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયા. ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. તેમના મૃતદેહને પોસ્ટમૉર્ટેમ માટે મોકલી દેવાયો છે.
હૉસ્પિટલ પહોંચેલા રાજ્યના મંત્રી અરૂપ વિશ્વાસે પત્રકારો સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે પત્રકારોને જાણકારી આપતાં કહ્યું કે, "ડૉક્ટરોનું પ્રાથમિક અનુમાન છે કે કેકેનું નિધન હૃદયરોગના હુમલાથી થયું છે. પરંતુ મૂળ કારણ અંગે જાણવા માટે મૃતદેહને પોસ્ટમૉર્ટેમ માટે મોકલી દેવાયો છે. ઑફિસથી ઘરે પરત ફરતી વખતે મને આ વાતની ખબર પડી. મને જણાવાયું હતું કે તેમને મૃત હાલતમાં જ હૉસ્પિટલ લવાયા હતા."
તામિલ, તેલુગ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી અને ગુજરાતી ફિલ્મોમાં ગાનારા કેકે કોલકતાના ગુરુદાસ કૉલેજના એક સમારોહમાં સામેલ થવા અહીં આવ્યા હતા.
નઝરુલ મંચ પર આ લાઇવ શો યોજાઈ રહ્યો હતો. જોકે, કાર્યક્રમ દરમિયાન જ તેમની તબિયત ખરાબ થઈ ગઈ અને તેઓ હોટલ જતા રહ્યા.
હોટલમાં પ્રશંસકોએ તેમની સાથે તસવીર ખેંચવા માટે આગ્રહ કર્યો હતો. જોકે, તબિયત બગડવાને લીધે તેમણે આનો ઇન્કાર કરી દીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તબિયત વધારે ખરાબ થતાં તેમને ત્યાંની એક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
કેકેએ બોલીવૂડની કેટલીય ફિલ્મોમાં ગીતો ગાયાં છે. 'હમ દિલ દે ચુકે સનમ' ફિલ્મમાં તેમેણે ગાયેલું 'તડપ તડપ કે ઇસ દિલ સે...' અને 'ઓમ શાંતિ ઓમ' માટે ગાયેલું 'આંખો મેં તેરી...' લોકોએ બહુ પસંદ કર્યું હતું.
'હમ દિલ દે ચુકે સનમ' ફિલ્મથી તેમણે બોલીવૂડમાં પ્લેબૅક સિંગર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
કેકે જાણીતા ગાયક અને સંગીતકાર કિશોર કુમારના પુત્ર અમિત કુમારની નજીક હતા.
અમિતનાં પત્ની રીમા ગાંગુલીએ ફેસબુક પર કેકેના નિધનના સમાચાર આપ્યા હતા.
કેકેના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.
તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, "ગાયક કૃષ્ણકુમાર કુન્નથ જેમને લોકો કેકેના નામથી ઓળખતા હતા, તેમના અચાનક થયેલા નિધન પર દુ:ખી છું. તેમનાં ગીતોમાં જુદી-જુદી ભાવનાઓ જોવા મળતી હતી અને તેમનાં ગીત તમામ ઉંમરના લોકોનાં મનમાં વસી જતાં. તેમને તેમનાં ગીતો માટે હંમેશાં યાદ રખાશે. મારી સંવેદના તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે."
કેકેના નિધનના સમાચાર પર જાણીતા કલાકાર અક્ષયકુમારે સોશિયલ મીડિયા પર લખ્યું, "કેકેના નિધનના સમાચાર સાંભળીને અત્યંત દુ:ખ થયું."
બીજી તરફ અરમાન મલિકે લખ્યું, "આ વર્ષ ભારતીય સંગીત માટે કાળું વર્ષ રહ્યું. પહેલાં લતા દીદી, પછી બપ્પી દા, સિદ્ધુ મૂસેવાલા અને હવે કેકે. એવું લાગે છે કે આ બધું અંગત નુકસાન છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો