You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભગવંત માને પોતાના જ મંત્રીને હઠાવ્યા, કેજરીવાલે કહ્યું, "આંખો ભરાઈ ગઈ"
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના સ્વાસ્થ્યમંત્રી વિજય સિંગલાને બરખાસ્ત કરવા બદલ પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માનનાં વખાણ કર્યાં છે.
મંગળવારે ભગવંત માને વિજય સિંગલાને પદ પરથી હઠાવતાં કહ્યું હતું કે તેઓ અધિકારીઓ પાસેથી કૉન્ટ્રેક્ટ બદલ એક ટકાનું કમિશન માગી રહ્યા હતા.
ભગવંત માને સિંગલાને હઠાવ્યા બાદ કહ્યું હતું, "આમ આદમી પાર્ટીનો જન્મ પ્રમાણિક સિસ્ટમ સ્થાપવા માટે થયો છે. અરવિંદ કેજરીવાલજીએ હંમેશાં કહ્યું છે કે ભ્રષ્ટાચારને સહન કરવામાં નહીં આવે પછી કોઈ પોતાનું હોય કે પારકું. "
"સ્વાસ્થ્યમંત્રી વિરુદ્ધ ભ્રષ્ટાચારના પુરાવા મળતાં જ બરખાસ્ત કરી દીધા. સાથે જ એફઆઈઆના આદેશ પણ આપ્યા છે. "
અરવિંદ કેજરીવાલે ભગવંત માનના વખાણ કરતાં ટ્વીટ કર્યું છે, "તમારા પર ગર્વ છે ભગવંત. તમારા આ નિર્ણયથી મારી આંખો ભીની થઈ ગઈ. સમગ્ર દેશ આજે આમ આદમી પાર્ટી પર ગર્વ કરી રહ્યો છે. "
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર પંજાબમાં ઍન્ટી કરપ્શન બ્રાન્ચે રાજ્યના સ્વાસ્થ્યમંત્રી વિજય સિંગલાની ધરપકડ કરી છે.
આ પહેલાં પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને મંગલવારે સિંગલાને ભ્રષ્ટાચારના મામલે મંત્રીમંડળમાંથી પણ બરખાસ્ત કરી દીધા હતા.
ભાજપ ગુજરાતની ચૂંટણી પહેલાં રૂપિયા 200 કરોડ ઉઘરાવશે
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકર્તાઓ અને શુભચિંતકો પાસેથી 'ચૂંટણી સહયોગનિધિ' ઉઘરાવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત ભાજપને આશા છે પહેલ થકી તે 200 કરોડ રૂપિયાનું ભંડોળ મેળવવામાં સફળ થશે.
સોમવારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની આગેવાનીમાં ગાંધીનગર કમલમ્ ખાતે મળેલી ભાજપની કારોબારીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
આ બેઠકમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા.
ભાજપના વરિષ્ઠ નેતાના કહેવા પ્રમાણે ભંડોળ ઉઘરાવવાને લઈને કોઈ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો નથી પરંતુ આશા છે કે 200 કરોડ રૂપિયા આ અભિયાન દ્વારા મળશે. આ વખતે તમામ દાન ચેક દ્વારા લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ભાજપે પોતાના સિનિયર નેતાઓને કહ્યું હતું કે તેઓ ઓબીસી, દલિત અને આદિવાસી સમાજ પર વધારે ધ્યાન આપે.
સીબીઆઈ દ્વારા કે રાજેશ સામે એફઆઈઆર દાખલ કરાઈ
અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'ના અહેવાલ અનુસાર સીબીઆઈ દ્વારા 2011ની બેચના ગુજરાત કૅડરના આઈએએસ અધિકારી કે. રાજેશ અને બીજા લોકો સામે લાંચ લેવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગરના ક્લેક્ટર તરીકે તેમના કહેવાથી અનેક લોકો અને કંપનીઓએ 'સુજલામ સુફલામ જલ અભિયાન' યોજનાના ક્લેક્ટરના અધિકૃત ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હતા.
તેની સામે કે.રાજેશે વચન આપ્યું હતું તેમને હથિયારનો પરવાનો આપવામાં આવશે.
કે. રાજેશ દ્વારા 271 લોકોને હથિયારનો પરવાનો આપવામાં આવ્યો છે, જેમાંથી 39 લોકો અંગે સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ દ્વારા નકારાત્મક નોંધ કરવામાં આવી હોવા છતાં તેમને હથિયારોનો પરવાનો આપવામાં આવ્યો હતો.
કે. રાજેશ અને અન્ય લોકો સામે અનેક ફરિયાદો મળ્યા પછી ડિસેમ્બર, 2021થી એજન્સી દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરાઈ હતી.
કે. રાજેશ પર આરોપ છે કે તેમણે હથિયારોના પરવાના આપવા, તેને રિન્યૂ કરવા માટે લાંચ લીધી હતી.
આ ઉપરાંત સરકારી જમીનોને અયોગ્ય વ્યક્તિઓને આપવામાં આવી હતી અને સરકારી જમીનો પર કબજો કરેલા લોકોને પણ જમીનો કાયમી વપરાશ માટે આપી હતી.
એફઆઇઆરમાં નોંધવામાં આવ્યું છે કે સોલર પાવર પ્લાન્ટ માટે વનવિભાગની પરવાનગી વિના જંગલની જમીન આપી દીધી હતી.
તો 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર કે. રાજેશની તપાસ દરમિયાન જીપીએસસી પરીક્ષાની તૈયારી કરતો એક યુવાન પણ સીબીઆઈના રડારમાં છે.
આ યુવાન ક્લેક્ટરની હાજરીમાં જ તેમની ખુરશી પર બેસીને અથવા તો તેમના પ્રતિનિધિ તરીકે જમીનના વિવાદોના ઉકેલ માટે બેઠક કરતો હતો.
ભાજપના વગદાર નેતાના આ ભત્રીજાએ પાંચ લાખ રૂપિયા પાંચ વખત કે. રાજેશના ખાતામાં જમા કરાવ્યાનો પણ આરોપ છે.
આગામી 20-30 વર્ષમાં ભારતનું રાજકારણ ભાજપની આગળ-પાછળ ફરશે : પ્રશાંત કિશોર
ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કહ્યું છે કે આવનારા દાયકાઓમાં ભાજપ એવી તાકાત બની જશે કે જેને હરાવવી અઘરી હશે.
અંગ્રેજી અખબાર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની સાથે વાતચીતમાં પ્રશાંત કિશોરે કહ્યું છે કે કૉંગ્રેસે બિહારમાંથી શીખવું જોઈએ કે રાજકીય ઘમસાણની વચ્ચે વિપક્ષમાં કેવી રીતે રહેવું જોઈએ.
તેમણે કહ્યું કે 'જે પણ લોકો એમ માને છે કે જે ઉપર જઈ રહ્યા છે તે નીચે આવી જશે, એમણે જાણવું જોઈએ કે આવું થઈ શકે છે પરંતુ તેમાં ઘણો સમય લાગશે.'
"આવનારા દાયકાઓમાં ભાજપ ભારતમાં એક એવી ચૂંટણી લડતી પાર્ટી બનશે જેને હરાવવી આકરું કામ હશે. "
"ભારતમાં તમે જ્યારે એક વખત 30 ટકા મત મેળવી લો તો પછી કોઈના ઇચ્છવાથી તમે ગાયબ નહીં થાવ. "
"શરૂઆતનાં 40-50 વર્ષમાં ભારતનું રાજકારણ કૉંગ્રેસની આસપાસ ફરતું રહ્યું. એ સમયે તમે કૉંગ્રેસની સાથે હતા અથવા તમે તેમની વિરુદ્ધ હતા. આગામી 20-30 વર્ષમાં હું જોઉં છું કે ભારતીય રાજકારણ ભાજપની આસપાસ ફરતું રહેશે. "
"તમે ભાજપની સાથે છો અથવા તમે ભાજપની સામે છો."
કૉંગ્રેસ વિશે વાત કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે 'ભાજપ હાલના સમયમાં ઇંદિરા કૉંગ્રેસના રૂપમાં છે જે 1967માં અસ્તિત્વમાં આવી હતી.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો