You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જિજ્ઞેશ મેવાણી અને કનૈયાકુમાર શું કૉંગ્રેસમાં સામેલ થશે?
એવી શક્યતા છે કે 28 સપ્ટેમ્બરે સીપીઆઈ નેતા કનૈયાકુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કૉંગ્રેસમાં જોડાઈ શકે છે.
અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’ રિપોર્ટમાં લખે છે કે એ વાતને લઈને પણ ચર્ચા છે કે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર 2024ની લોકસભા ચૂંટણી પહેલાં આ રીતે સૌથી જૂની પાર્ટીને નવું રૂપ આપવાની કોશિશ કરી રહ્યા છે.
અખબાર લખે છે કે ભગતસિંહની જયંતી પર જિજ્ઞેશ મેવાણી અને કનૈયાકુમારને કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી પાર્ટીમાં સામેલ કરશે.
જોકે ઇન્ડિયન એક્સપ્રેસ તેમના રિપોર્ટમાં લખે છે કે, "અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ શનિવારે જાહેરાત કરી છે કે તેઓ 28 સપ્ટેમ્બરે કૉંગ્રેસમાં જોડાશે."
અહેવાલમાં એવું પણ નોંધ્યું છે કે આ અંગે પાર્ટીના દિલ્હીના નેતાઓએ આ અંગે ખરાઈ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ તેમનાં સોશિયલ મીડિયા ઍકાઉન્ટ્સ પર આ અંગે કોઈ માહિતી આપી નથી.
તો હિન્દુ લખે છે કે જોકે હજુ એ સ્પષ્ટ નથી કે આ નવા નેતાઓને કોઈ રાષ્ટ્રીય સ્તરે જવાબદારી અપાશે કે નહીં અથવા તો તેમને માત્ર પોતાનાં રાજ્યોમાં ધ્યાન આપવાનું કહેવાશે.
2017ની ચૂંટણી અને હાર્દિક, જિજ્ઞેશ, અલ્પેશની ત્રિપુટી
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે જિજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભાજપ સામે પડ્યા હતા અને વિશ્લેષકોના મતે તેમણે ભાજપને નુકસાન પણ પહોંચાડ્યું હતું.
એ વચ્ચે ફરી એક વખત 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જિજ્ઞેશ મેવાણીના કૉંગ્રેસમાં જોડાવા અંગેના સમાચાર આવી રહ્યા છે.
જો મેવાણી કૉંગ્રેસમાં જોડાય તો ફરી એક વખત હાર્દિક અને જિજ્ઞેશ રાજકીય પક્ષમાં સાથે આવી જશે.
તો કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં બિહારના સૌથી યુવા સભ્ય કનૈયાએ આ મહિનાની શરૂઆતમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
પ્રશાંત કિશોરનો કૉંગ્રેસપ્રવેશ?
તો પ્રશાંત કિશોરની કૉંગ્રેસમાં એન્ટ્રીને લઈને હજુ કોઈ ચોક્કસ જાણકારી નથી. એ પણ ખબર નથી કે તેને લઈને કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો વચ્ચે કોઈ ચર્ચા થઈ છે કે નહીં.
આ અનુમાનો પર કૉંગ્રેસે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી, પરંતુ રાહુલ ગાંધીએ 16 જુલાઈએ જે કહ્યું હતું એનાથી સ્પષ્ટ છે કે પાર્ટીનું શીર્ષ નેતૃત્વ શું વિચારે છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા વૉલિન્ટિયર્સની બેઠકમાં કહ્યું હતું, "ઘણા લોકો છે જે (ભાજપ-કૉંગ્રેસ) ડરતા નથી, પરંતુ કૉંગ્રેસથી બહાર છે. એ બધા લોકો અમારા છે. તેમને લાવશું અને જે અમારી પાર્ટીમાં રહીને ડરે છે, તેમને બહાર કરવા જોઈએ."
"તેઓ આરએસએસના લોકો પાસે જઈ શકે છે. તેમને આનંદ લેવા દો. અમારે એ નથી જોઈતા, તેમની જરૂર નથી. અમારે 'બેખોફ' લોકો જોઈએ."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો