ગુજરાતમાં મનરેગા હેઠળ 220 કરોડના વેતનની ચુકવણી બાકી - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં મનરેગા હેઠળ 220 કરોડના વેતનની ચુકવણી બાકી હોવાના સમાચાર છે.

મુખ્યત્વે દાહોદ અને પંચમહાલના આદિવાસી જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે, જેમાં અનુક્રમે 46.79 કરોડ અને 16.66 કરોડ રૂપિયાના ફંડ ટ્રાન્સફર ઑર્ડર બાકી છે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર અધિકારીઓના મુજબ કેન્દ્ર તરફથી ગ્રાન્ટ ન મળવાના કારણે ગુજરાતમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરંટી યોજના હેઠળ લગભગ 220 કરોડ રૂપિયાના વેતનની ચુકવણી બાકી છે.

વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શનિવારે જણાવ્યું હતું કે રાજ્યમાં મનરેગા હેઠળ કામ કરતા એક લાખથી વધુ લોકોના વેતન પેટે રૂપિયા 212 કરોડથી વધુની ચુકવણીની પ્રક્રિયા બૅન્ક દ્વારા બાકી છે.

મેવાણીએ દાવો કર્યો છે કે કેન્દ્ર તરફથી ગ્રાન્ટના અભાવે આ બાકી છે.

ગુજરાતમાં પાસ અને SPG પાટીદાર પ્રશ્નો માટે સાથે આવશે

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને તેની મુખ્ય સંસ્થા સરદાર પટેલ ગ્રૂપ સંયુક્ત રીતે પાટીદાર સમાજના પડતર પ્રશ્નો માટે લડત આપશે અને એક મહાસભાનું આયોજન કરશે.

જેમાં સમાજના ઉદ્યોગપતિઓ અને વિવિધ પાટીદાર સંગઠનોના સભ્યો ભાગ લેશે.

પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, "જો પાટીદારો સામેના કેસ પાછા ખેંચવામાં નહીં આવે અને આંદોલન દરમિયાન જીવ ગુમાવનારાઓના પરિવારજનોને નોકરી આપવામાં નહીં આવે, તો અમે થોડા વર્ષો પહેલાં અમદાવાદના જીએમડીસી મેદાનમાં યોજાયેલી સભા જેવી મોટી સભાનું આયોજન કરીશું."

સુરત જેલમાંથી છૂટ્યા બાદ હવે અલ્પેશ કથીરિયાએ ગુજરાતમાં પ્રવાસ શરૂ કર્યો છે, જેમાં તેઓ વિવિધ મંદિરો અને આગેવાનો સાથે મુલાકાત કરી રહ્યા છે.

શનિવારે તેમને પ્રવાસના ભાગરૂપે મહેસાણામાં ઉમિયા માતા મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે એસપીજીના પ્રમુખ લાલજી પટેલને મળ્યા હતા અને પાટીદાર સમાજના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ એકબીજાની મદદ કરવાનું અને સંયુક્ત રીતે લડવાનું નક્કી કર્યું છે.

UNSC બેઠકમાં સામેલ ન કરતા પાકિસ્તાને જારી કર્યું નિવેદન

'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના રિપોર્ટ મુજબ પાકિસ્તાન વિદેશ કાર્યાલયે એક નિવેદન જાહેર કર્યું છે અને નિરાશા વ્યક્ત કરી કે, સંઘર્ષગ્રસ્ત દેશના સૌથી નજીકના પડોશી હોવા છતાં તેને અફઘાનિસ્તાનની સ્થિતિ પરની સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યું નથી.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જણાવ્યું કે અફઘાન શાંતિમંત્રણા પ્રક્રિયા પર દેશના દૃષ્ટિકોણને રજૂ કરવાની વિનંતી સ્વીકારવામાં આવી નથી. પરંતુ પાકિસ્તાન વિરુદ્ધ ખોટી કથાને આગળ વધારવા માટે મંચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

ભારતની અધ્યક્ષતામાં 15 સભ્યોની પરિષદે રવિવારે અફઘાનિસ્તાનની સ્થિતિ પર બેઠક યોજી હતી. જેમાં ભારતે આતંકવાદીઓને સલામત આશ્રયસ્થાનો આપવા માટે પાકિસ્તાન પર પરોક્ષ રીતે પ્રહાર કર્યો હતો.

UNSC ચર્ચામાં સંયુક્ત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ ગુલામ ઇસાકજઈએ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે પાકિસ્તાન તાલિબાનને સુરક્ષિત આશ્રય અને લૉજિસ્ટિક સહાય પૂરી પાડે છે.

રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોરેશનની પ્રક્રિયા માટે થોડો સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ અંગે કૉંગ્રેસ પાર્ટીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શનિવારે ટ્વીટ પણ કર્યું હતું.

'ધ ટાઇમ્સ ઑઇ ઇન્ડિયા'ના એક અહેવાલ મુજબ ટ્વિટરે રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધું છે.

કૉંગ્રેસે જણાવ્યું કે રાહુલ તેમના સમર્થકો સાથે અન્ય સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા જોડાયેલા રહેશે.

અહેવાલમાં જણાવાયું છે કે પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીના એકાઉન્ટની કેટલીક સુવિધાઓ અસ્થાયી રૂપે મર્યાદિત કરવામાં આવી છે. એકાઉન્ટમાંથી લાઇક, ફૉલો, ટ્વીટ કે રીટ્વીટ થઈ શકતું નથી.

સૂત્રો મુજબ ટ્વીટરે માહિતી આપી છે કે નિયમના ઉલ્લંઘન કરતું ટ્વીટ ડિલિટ કર્યા બાદ તેમના એકાઉન્ટમાં તમામ ફીચર 12 કલાકમાં ફરીથી શરૂ થઈ જશે.

શુક્રવારે રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. જેમાં તેમને કથિત જાતિય શોષણ બાદ મૃત્યુ પામેલ 9 વર્ષીય દલિત બાળકીનાં માતા-પિતા સાથેની મુલાકાતની તસવીર શૅર કરી હતી.

નિયમોના ઉલ્લંઘન બદલ આ ટ્વીટને બાદમાં માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ દ્વારા હઠાવી દેવામાં આવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો