પરમબીર સિંહ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસની માગ કરી

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે હોમ ગાર્ડ વિભાગમાં ટ્રાન્સફર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે માગ કરી છે કે એ આરોપોની તપાસ કરવામાં આવે જેનો ઉલ્લેખ તેમણે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં કર્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં આ અરજી સોમવારે દાખલ કરવામાં આવી છે.

માનવામાં આવી રહ્યું છે કે સિનિયર ઍડ્વોકેટ મુકુલ રોહતગી સુપ્રીમ કોર્ટમાં પરમબીર સિંહનો પક્ષ રજૂ કરશે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાની અરજીમાં પરમબીર સિંહે સીબીઆઈને આદેશ આપવાની માગ કરી છે, "જેથી સીબીઆઈ મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખના ભ્રષ્ટ આચરણની તત્કાલ નિષ્પક્ષ, કોઈની અસર વગરની, તટસ્થ અને સાફ તપાસ કરી શકે."

આ ઉપરાંત પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટમાં માગ કરી કે કોર્ટ મહારાષ્ટ્ર સરકારના એ આદેશને પણ રદ કરી નાખે કે જે અંતર્ગત મુંબઈ પોલીસના કમિશનરપદેથી તેમની બદલી કરી દેવાઈ હતી.

તેમણે કોર્ટને આ માટે આદેશ જાહેર કરવાની માગ કરી છે.

પરમબીર સિંહે આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકારનો સંબંધિત આદેશ ગેરકાયદે અને મનમાન્યો છે.

પરમબીર સિંહ કોણ છે?

પોલીસ કમિશનર પરમબીર સિંહ 1988ની બેચના આઈપીએસ અધિકારી છે.

મૂળ હરિયાણાના રહેવાસી પરમબીર સિંહે દિલ્હીમાં શિક્ષણ મેળવ્યું છે.

યુપીએસસીની પરીક્ષા પાસ કરીને તેમની પહેલી વાર આઈઆરએસ કૅડરમાં પસંદગી થઈ હતી, પણ તેઓએ ફરીથી પરીક્ષા આપી અને આઈપીએસ બન્યા હતા.

મુંબઈના નવા પોલીસ કમિશનર હેમંત નાગરાલ હશે. તેઓએ પહેલો કાર્યભાર વર્ષ 1989-92માં નક્સલ પ્રભાવિત ચંદ્રપુર જિલ્લામાં એએસપી રાજુરાના તરીકે સંભાળ્યો હતો.

વર્ષ 1992માં સોલાપુર શહેરમાં બાબરી મસ્જિદ મામલા બાદ થયેલી સાંપ્રદાયિક હિંસાને સફળતાપૂર્વક નિયંત્રિત કરવા માટે તેમને ઓખળવામાં આવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો