ખેડૂત આંદોલનને હવે હોલીવૂડનું પણ સમર્થન મળ્યું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

રિહાના, લિલી સિંહ અને જે સીન જેવી સેલિબ્રિટીઝ પછી હવે હોલીવૂડ સ્ટાર સુઝેને પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કર્યું છે.

સુઝેને ટ્વીટ કર્યું છે, "ભારતમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનની સાથે ઉભેલી છું. વાંચો તે કોણ છે અને કેમ વિરોધ કરી રહ્યા છે."

આ ટ્વીટની સાથે તેમણે ન્યૂયોર્ક ટાઇમ્સની રિપોર્ટની લિંક શેર કરી છે જેનું શીષર્ક, "ભારતમાં ખેડૂત વિરોધ પ્રદર્શન કેમ કરી રહ્યા છે?"

અભિનેત્રી જમીલા જમીલે પણ ખેડૂત આંદોલનને પોતાના એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સમર્થન આપ્યું છે. તેમણે લખ્યું છે કે તેમને વિરોધ કરી રહેલાં ખેડૂતોનું સમર્થન કરવાના કારણે સતત મહિલા વિરોધી અપશબ્દોનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અગાઉ જમીલા જમીલે બોલિવૂડના સિંગર રિહાનાના ખેડૂત આંદોલનના ટ્વીટને રીટ્વીટ કર્યું હતું. જેના કારણે તેમના ટ્વીટ પર લોકો કૉમેન્ટ કરી રહ્યા છે.

અભિનેત્રી સુઝેનના ટ્વીટના પક્ષમાં અને તેના વિરોધમાં પણ અનેક લોકો ટ્વીટ કરી રહ્યા છે.

નંદુ નામના ટ્વીટર યુઝરે લખ્યું છે કે મેડમ આ ખેડૂતો નથી પણ ભારતના પંજાબ રાજ્યના વચેટિયાઓ છે આ નવા કાયદાઓના કારણે જેમની પકડમાંથી સાચા ખેડૂતો બહાર આવવાના છે.

સોના નામના યુઝરે લખ્યું છે કે થોડુંક વાંચ્યા પછી ખેડૂતોના આંદોલનનું સમર્થન કરવું એ કોમન સેન્સ છે. તમે જાણો છો કે 70 મિલિયન ખેડૂતોમાંથી કેમ થોડાક જ ખેડૂત આંદોલન કરી રહ્યા છે? અને કેમ? તેમને પૈસો કોણ આપી રહ્યું છે? અને દિલ્હીમાં તેના કારણે હિંસા થઈ હતી કારણ કે ઉગ્રવાદી સંગઠનો આને ભાગલાવાદી ચળવળ બનાવવા માગે છે?

જો કે કેટલાંક લોકો સુઝેનના સમર્થનમાં પણ આવ્યા છે. મોન્ટિસિંઘ ફિટનેસ નામના યુઝર્સે લખ્યું છે કે ખેડૂતોના સમર્થનમાં તમારો અવાજ ઉઠાવવા માટે સુઝેન તમારો આભાર છે. તમારા જેવા સાચા મનના માણસોના કારણે આંતરરાષ્ટ્રીય પટલ પર ખેડૂતોનો અવાજ સંભળાય છે. જ્યાં સુધી આ આંદોલનનો અંત ના આવે ત્યાં સુધી આ વિરોધનો ભાગ બનો.

વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?

ઇન્ટરનૅશનલ પોપ સ્ટાર રિહાનાએ મંગળવારે દિલ્હીની આસપાસ ખેડૂત આંદોલનને પગલે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હોવાના સમાચાર અહેવાલની લિંક સાથે લખ્યું કે, "આપણે વિશે વાત કેમ નથી કરી રહ્યા? #FarmersProtest"

પોપ સ્ટાર રિહાના બાદ સ્વીડનનાં 18 વર્ષીય પર્યાવરણ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે ખેડૂતોને સમર્થન આપતું ટ્વીટ કર્યું હતું.

તેમણે પણ રિહાનાની જેમ જ દિલ્હીની આસપાસ ખેડૂત આંદોલનને પગલે ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ હોવાના એક સમાચાર અહેવાલની લિંક શૅર કરવાની સાથે પોતાના ટ્વિટમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને સમર્થન જાહેર કર્યું હતું.

તેમણે લખ્યું હતું કે, "અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં છીએ."

ગ્રેટા થનબર્ગ, પૉપ-સ્ટાર રિહાના, અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનાં ભત્રીજી મીના હેરિસ, પૂર્વ પૉર્નસ્ટાર મિયાં ખલિફા સહિતનાં આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઝનાં ટ્વીટ્સ બાદ ક્રિકેટર વિરાટ કોહલી, ગાયક લતા મંગેશકર, ફિલ્મનિર્માતા કરણ જોહર, અભિનેતા સુનીલ શેટ્ટી, અજય દેવગણ, અક્ષય કુમાર, કંગના રનૌત સહિત અનેકે ટ્વીટ કર્યાં હતાં. જે બાદ વિવાદ વકર્યો હતો.

અભિનેતા સુનિલ શેટ્ટી કહ્યું, "કોઈ પણ વાત કહેતા પહેલાં આખી વાત જાણી લેવી જોઈએ. અડધા સત્ય જેવું ખતરનાક કંઈ નથી."

અભિનેતા અજય દેવગણે કહ્યું, "ભારત અને ભારતની નીતિઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારના ખોટા પ્રચારમાં ન પડો, આ સમયે આપણે પરસ્પર ઝઘડો ન કરીને એક સાથે ઊભા રહેવાનું છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો