ભારતમાં દર વર્ષે 'પ્રવાસી ભારતીય દિવસ'ની ઉજવણી કેમ કરવામાં આવે છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ભારતમાં દર વર્ષે નવમી જાન્યુઆરીના દિવસે ‘પ્રવાસી ભારતીય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિનની ઉજવણી માટે નવમી જાન્યુઆરીની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે આ જ દિવસે વર્ષ 1915માં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફર્યા હતા. આ જ દિવસને ભારતના સ્વાતંત્ર્ય જંગમાં મહાત્મા ગાંધીના આગમનના દિવસ તરીકે ગણવામાં આવે છે.

પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કેમ?

વર્ષ 2003થી દર વર્ષે રાષ્ટ્રના વિકાસમાં પ્રવાસી ભારતીયોના ફાળાને બિરદાવવાના હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પહેલાં દર વર્ષે 9 જાન્યુઆરી નિમિત્તે પ્રવાસી ભારતીય કન્વેનશન યોજવામાં આવતું હતું. પરંતુ વર્ષ 2015થી દર બે વર્ષે આ કન્વેન્શનનું આયોજન કરવામાં આવે છે.

આ દિવસે કેન્દ્ર સરકાર ભારતના વિકાસાર્થે વિદેશની ધરતી પરથી ભૂમિકા ભજવનાર લોકોને પ્રવાસી ભારતીય સન્માન ઍવૉર્ડ આપે છે. આ દિવસે પ્રવાસી ભારતીયો અને ભારતીય મૂળના લોકોના યોગદાનને બિરદાવવા માટે ખાસ આયોજન કરવામાં આવે છે.

અત્યાર સુધી 15 પ્રવાસી ભારતીય કન્વેન્શનનું આયોજન થઈ ચૂક્યું છે. આ વર્ષે સોળમા પ્રવાસી ભારતીય દિવસ કન્વેન્શનનું વર્ય્યુઅલ આયોજન કરવામાં આવેશે. વર્ષ 2021માં યોજાનાર આ કન્વેશનની થીમ “આત્મનિર્ભર ભારતમાં ફાળો” હશે.

આ કન્વેન્શન ત્રણ ભાગમાં યોજવામાં આવશે. જેનું ઉદ્ઘાટન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. તેમજ આ આયોજનના મુખ્ય અતિથિ તરીકે રિપબ્લિક ઑફ સુરિનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી વર્ય્યુઅલી હાજર રહેશે.

તેમજ ‘ભારત કો જાનીએ’ ક્વિઝ કૉન્ટેસ્ટના વિજેતાઓનાં નામ પણ જાહેર કરવામાં આવશે. તેમજ ભારત અને વિદેશમાં પ્રવાસી ભારતીયોએ કરેલા યોગદાનને બિરદાવવા માટે પ્રવાસી ભારતીય સન્માન ઍવૉર્ડ પણ આપવામાં આવશે.

નોંધનીય છે કે અત્યાર સુધી 15 પ્રવાસી ભારતીય દિવસ કન્વેન્શની ઉજવણી થઈ ચૂકી છે. જે પૈકી વર્ષ 2015નું કન્વેન્શન ગાંધીનગરમાં આયોજિત કરાયું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો