એ ડૉક્ટરો, જેમણે 2020માં કોવિડ-19થી પોતાના જીવ ગુમાવ્યા

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

વિશ્વ 2020ના આગમનનાં ઓવારણાં લઈ રહ્યું હતું ત્યારે ભાગ્યે જ કોઈને જાણ હશે કે આ વર્ષ આટલું ઘાતક પુરવાર થશે.

કોરોના વાઇરસનો પ્રથમ કેસ ચીનમાં વર્ષ 2019ના અંત ભાગમાં જોવા મળ્યો પણ વર્ષ 2020ની શરૂઆતથી જ એણે વિશ્વને પોતાના ભરડામાં લેવાનું શરૂ કરી દીધું.

જોતજોતામાં કારોના વાઇરસનો ચેપ એવો ફેલાયો કે એણે મહામારીનું રૂપ લઈ લીધું. વિશ્વે આ પેહલાં ક્યારેય આવી આફતનો સામનો કર્યો નહોતો.

લોકો ટપોટપ વાઇરસના સંક્રમણનો ભોગ બની રહ્યા હતા અને એટલી જ ઝડપથી મૃત્યુ પામી રહ્યા હતા. ન તો કોઈ દવા કામ લાગી રહી હતી કે ન તો કોઈ દુઆ.

એ વખતે વિશ્વના ડૉક્ટરોએ, નર્સોએ અને સ્વાસ્થ્યકર્મીઓએ આ પડકારને પહોંચી વળવા માટે કમર કસી.

આ તબીબોનાં હિંમત અને જુસ્સાને પગલે લાખો લોકોનો જીવ બચાવી શકાયો. જોકે, દરદીઓનો જીવ બચાવવા માટે કેટલાય ડૉક્ટરોએ પોતાનો ભોગ આપ્યો.

ભારતમાં વર્ષ 2020માં કોરોના વાઇરસને પગલે 1,45,000થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. મૃત્યુ પામનારાઓમાં ઘણાં ડૉક્ટરો અને નર્સો પણ સામેલ છે, જેઓ કોરોના વાઇરસ સામે લડતાં હતાં.

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના એક અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2020 સુધીમાં 500થી વધુ ડૉક્ટરોએ કોવિડ-19 મહામારી દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.

મોટા ભાગે તેઓ સામાન્ય પ્રૅક્ટિશનરો હતા અને તેમની ઉંમર 41થી 60 વર્ષની વચ્ચેની હતી.

આ મૃતકોમાં ગુજરાતના તબીબો, નર્સો અને સ્વાસ્થ્યકર્મીઓ પણ સામેલ છે.

કોરોના વાઇરસ સામેની લડતમાં માર્યા ગયેલા ગુજરાતના ડૉક્ટરોમાં સૌથી નાની ઉંમરના ડૉક્ટરની વય 34 વર્ષ હતી. જ્યારે સૌથી મોટી ઉંમરના ડૉક્ટરની વય 82 વર્ષની હતી.

અહીં રજુ કરાયેલી ફેસવૉલ આ જ તબીબોને સમર્પિત છે

સૌથી વધુ 40થી વધુનાં મોત સાથે તામિલનાડુ રાજ્ય પહેલું છે, જેમાં ડૉક્ટરોને સૌથી વધુ જાનહાનિ થઈ હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર અને ગુજરાતનો નંબર આવે છે.

આ ફેસવૉલ એ તમામ ડૉક્ટરોને શ્રદ્ધાંજલિ આપે છે જેઓ કોરોના વાઇરસના દર્દીઓની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યાં હતાં.

આ સૂચિમાં 382 ડૉક્ટરોનાં નામ અને ફોટા સામેલ છે, જે શરૂઆતમાં ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા અને એક વાર ડૉક્ટરોની સંપૂર્ણ વિગતો નોંધ્યા પછી તેને અપડેટ કરવામાં આવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો