ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પ્રકાશ ન. શાહ ચૂંટાયા - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ચૂંટણીમાં લેખક અને કર્મશીલ પ્રકાશ ન. શાહને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

ચૂંટણી અધિકારી પ્રવીણ ત્રિવેદી દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે કુલ 1292 મતમાંથી પ્રકાશ ન. શાહને 562 મત મળ્યા છે.

જ્યારે અન્ય ઉમેદવારોમાં હર્ષદ ત્રિવેદીને 533 અને હરિકૃષ્ણ પાઠકને 197 મત મળ્યા છે.

વર્ષ 2021થી 2023 એમ ત્રણ વર્ષ માટે પ્રમુખપદની ચૂંટણી યોજાઈ હતી.

કપિલ દેવ છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ ICUમાં દાખલ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન કપિલ દેવ હૃદયરોગના કારણે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે કપિલ દેવ નવી દિલ્હીના ઓખલા સ્થિત ફોર્ટિંસમાં સારવાર લઈ રહ્યા છે.

એએનઆઈએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે કપિલ દેવને ફોર્ટિસ ઍસ્કોર્ટ્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રાત્રે એક વાગ્યે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ લાવવામાં આવ્યા હતા.

ડૉ. અતુલ માથુર અને તેમની ટીમ કપિલ દેવની સારવાર કરી રહ્યા છે. હૉસ્પિટલના જણાવ્યા પ્રમાણે કપિલ દેવની સ્થિતિ હવે સ્થિર છે અને થોડા દિવસોની સારવાર બાદ તેમને રજા આપી શકાશે.

જાણીતા ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી.

મુંબઈના મોલમાં આગ : 2 ફાયરમૅન ઘાયલ, આસપાસની ઇમારત ખાલી કરાવાઈ

મુંબઈના સિટી સેન્ટર મોલમાં આગ લાગતા આસપાસની ઇમારતમાંથી 3500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી ઇમારતો ખાલી કરાવામાં આવી છે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના રિપોર્ટ મુજબ દક્ષિણ મુંબઈના નાગપાડા વિસ્તારમાં સિટી સેન્ટર મોલમાં આગ લાગી હતી જેને અગ્નિશામક દળો કાબૂમાં લઈ રહ્યા છે. જોકે તેમાં બે ફાયરમૅન ઘાયલ થયા હોવાના સમાચાર છે.

ઘટનાસ્થળે 16 ટૅન્કર અને 250 ફાયરબ્રિગેડ કર્મી આગ કાબૂમાં લેવા પ્રયાસમાં જોતરાયા છે.

ઘટનાને પગલે વિસ્તારની 55 માળની ઇમારતમાંથી લોકોને સુરક્ષાસ્થળે ખસેડવાની ફરજ પડી છે.

શરૂઆતમાં આગ લેવલ-1ના સ્તરની હતી પરંતુ બાદમાં તે લેવલ-5ની થઈ ગઈ હતી જેથી વહેલી સવારે જ બચાવકામગારી હાથ ધરવી પડી હતી.

ભારતની કોરોના વાઇરસની રસી 'કોવાક્સિન'ની ત્રીજા ટ્રાયલની મંજૂરી

સ્વદેશી બનાવટની કોરોના વાઇરસની રસી 'કોવાક્સિન'ના ત્રીજા તબક્કાની ટ્રાયલને મંજૂરી મળી ગઈ છે.

'એનડીટીવી'ના રિપોર્ટ પ્રમાણે ભારત બાયોટૅક અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ આ રસી વિકસાવીમાં આવી રહી છે. જેને ડ્રગ રેગ્યુલેટર તરફથી ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે.

ડ્રગ રેગ્યુલેટર સમિતિની બેઠક યોજાયા બાદ રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણને મંજૂરી આપી દેવાઈ હતી.

ત્રીજા તબક્કાના પરીક્ષણની અરજીમાં કંપનીએ કહ્યું છે કે તેમાં દેશભરમાંથી 18 વર્ષ અને તેની વધુ ઉંમર ધરાવતી 28500 વ્યક્તિઓને સામેલ કરાશે. 19થી વધુ શહેરમાં પરીક્ષણ હાથ ધરાશે, જેમાં દિલ્હી, મુંબઈ, પટણા અને લખનઉ પણ સામેલ છે.

સરકારે ટુરિસ્ટ સિવાયના વિઝા પરની રોક હઠાવી

ભારત સરકારે વિદેશ યાત્રા કરનારા લોકો માટેના ટુરિસ્ટ સિવાયના વિઝા પરથી રોક હઠાવી લીધી છે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર સરકારે જાહેરાત કરી છે કે વિદેશોમાં રહેલા એવી ભારતીય નાગરિકો જેમની પાસે ઑવરસીઝ સિટિઝન્સ ઑફ ઇન્ડિયા (ઑસીઆઈ) અને પર્સન ઑફ ઇન્ડિયન ઑરિજિન (પીઆઈઓ) કાર્ડ છે તે તથા વિદેશી નાગરિક પણ કોઈ કામ માટે ભારત આવી શકે છે.

સરકારે માત્ર ટુરિસ્ટ સિવાયના વિઝા પરની રોક હઠાવી છે. કોરોના વાઇરસને પગલે વિઝા અને પ્રવાસ પર જે રોક લગાવાઈ હતી તેમાં હવે રાહત આપવામાં આવી છે.

હવે ઉપરોક્ત શ્રેણીમાં સામેલ વ્યક્તિ જે ભારત આવવા ઇચ્છતી અથવા અહીંથી બહાર જવા ઇચ્છતી હોય તે સરકારના ઉપરોક્ત નિર્ણયને પગલે વિદેશ યાત્રા કરી શકશે.

એચ-1 બી સ્પેશિયલ વિઝા પર રોક માટે અમેરિકામાં પ્રસ્તાવ

અમેરિકાના વિદેશ વિભાગે બુધવારે એચ-1 બી વિઝા માટે નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં અમેરિકી વિદેશ વિભાગે એચ-1 બી સ્પેશિયલ અસ્થાયી બિઝનેસ વિઝા ઇસ્યૂ ન કરવા માટે સરકારને રજૂઆત કરી છે.

'ઇકૉનૉમિક ટાઇમ્સ'ના રિપોર્ટ મુજબ જો ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રસ્તાવને મંજૂરી આપે દેશે તો ભારતીયો પર આની ખાસ અસર થશે. તેનાથી લગભગ દર વર્ષે ઓછામાં ઓછા 8000 વિઝાઇચ્છુક વ્યક્તિઓને અસર થવાની શક્યતા છે. જેમાં મોટાભાગની સંખ્યા ભારતના લોકોની હશે.

વળી ભારતની જે કંપનીઓ ટૅકનિકલ પ્રોફેશનલ્સને એચ-1 બી વિઝા પર અમેરિકા મોકલે છે તેમને પણ અસર થઈ શકે છે.

યુપીમાં 230 દલિતના બૌદ્ધ ધર્મ અંગીકારની ઘટના બાદ એફઆઈઆર

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ ગાઝિયાબાદના 230 રહીશો જેઓ વાલ્મિકી છે તેમણે તાજેતરમાં જ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. જોકે તેના કેટલાક દિવસ બાદ ઉત્તર પ્રદેશ પોલીસે અજાણી વ્યક્તિઓ સામે ધર્માંતરણ વિશે ખોટી અફવા ફેલાવવાના વિશેની ફરિયાદ દાખલ કરી છે.

કરેરા ગામના વાલ્મિકી સમુદાયના સભ્યોએ 14મી ઑક્ટોબરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.

એક સામાજિક કાર્યકર્તાએ કરેલી ફરિયાદને પગલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે કેટલીક અજાણી વ્યક્તિ 230 લોકોના ધર્માંતરણ વિશે ખોટી અફવા ફેલાવી રહી છે. તેને જાતિ સંબંધિત તણાવ પેદા કરવાના પ્રયાસ તરીકે પણ ગણાવાયું છે.

સ્વદેશી બનાવટનું આઈએનએસ કરવત્તી નૌસેનામાં સામેલ

આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ ગુરુવારે સ્વદેશી બનાવટના આઈએનએસ કવરત્તીને ભારતીય નૌકાદળમાં સામેલ કરી છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર વિશાખાપટ્ટનમમાં આઈએનએસ કવરત્તીને નૌકાદળમાં સામેલ કરાઈ. આ યુદ્ધજહાજ સબમરિન રોધી યુદ્ધજહાજ છે.

તેને ભારતીય નૌસેનાના સંગઠન નૌસેના ડિઝાઈન નિયામક (ડીએનડી) દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ ઍન્ડ એન્જિનિયર્સ દ્વારા તેને તૈયાર કરાઈ છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર આઈએનએસ કવરત્તીને 'કવરત્તી' નામ 1971માં બાંગ્લાદેશને પાકિસ્તાનમાંથી સ્વતંત્ર કરાવવા માટે થયેલા યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા નિભાવનારા યુદ્ધજહાજ આઈએનએસ કવરત્તી પરથી મળ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો