CAA : અમદાવાદમાં નાગરિકતા કાયદાનો વિરોધ કરનારને તડીપાર કરવાની નોટિસ કેમ અપાઈ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં નાગરિક્તા સુધારા કાયદાનો વિરોધ કરનાર કલીમ સિદ્દીકીને અમદાવાદ પોલીસના એ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનરે તેમને તડીપાર કેમ ન કરવામાં આવે તેની કારણદર્શક નોટિસ આપી છે.

આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને મહેસાણા જિલ્લાની હદમાંથી તેમને બે વર્ષની મુદ્દત માટે દૂર કરવાની અને બે વર્ષ માટે જિલ્લામાં પાછા ફરવું નહીં અથવા દાખલ થવું નહીં તેની વિચારણા હાથ ધરવામાં આવી છે.

પોલીસે નોટિસમાં તેમને માથા ભારે અને ઝનૂની સ્વભાવના અને હિંસાત્મક કૃત્યો કરતા જણાવ્યા છે અને તેમના પર આરોપ છે કે તેઓ રખિયાલ પોલીસ સ્ટેશનની હદના વિસ્તારમાં હિંસાત્મક કૃત્યો કરે છે.

આ ઉપરાંત નોટિસમાં તેમણે કરેલાં દસ સાહેદોએ તેમની સામે અલગ અલગ ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ લખાવનાર વ્યક્તિઓએ પોતાનું નામ, સરનામું, ધંધાનો ચોક્કસ પ્રકાર અને ચોક્કસ જગ્યાને ખાનગી રાખવાની શરતે આપી હોવાની જણાવેલ છે.

આ ઉપરાંત તેમની સામે નોંધાયેલી બે ફરિયાદની વિગત પણ નોંધવામાં આવી છે. જેમાં એક ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં અને બીજી ફરિયાદ રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

અમદાવાદ શહેરની મદદનીશ પોલીસ કમિશનર ‘એ’ ડિવીઝન મૂકેશ પટેલે કહ્યું કે અમારી પાસે તેમની સામે તડીપારની નોટિસ ચલાવવા માટે આવી છે. જેના પર ચલાવ્યા પછી અમે નિર્ણય કરીશું.

“દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં કર્મશીલો સામે કાર્યવાહી થઈ તેવી મારી સામે થઈ”

કલીમ સિદ્દીકી પોતાને તડીપાર કરવા માટે અપાયેલી કારણદર્શક નોટિસ અંગે કહે છે, “રખિયાલ વિસ્તારમાં 14 જાન્યુઆરીથી 14 માર્ચની વચ્ચે નાગરિક્તા સુધાના કાયદાના વિરોધમાં ચલાવેલી લડતને ધ્યાનમાં રાખીને મને તડીપાર કરવાની નોટિસ આપવામાં આવી છે”

તેઓ વધુમાં કહે છે, “પોલીસ સીએએ વિરોધના આંદોલન સમયે પણ આવી પરંતુ અમે એક ખાનગી જગ્યામાં વિરોધ કરતા હતા જેથી તે કાંઈ કરી શકી ન હતી એટલે હાલ પહેલાંથી જ કાર્યવાહી કરી રહી છે.”

તેમને આપવામાં આવેલી નોટિસ અંગે તેઓ છે, “મારી સામે જે દસ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં કોઈ સાક્ષીઓ નથી. હું બાપુનગર વિસ્તારમાં રહું છું અને મારા બનાવની વિગત રખિયાલ વિસ્તારના છે.”

કલીમ સિદ્દીકી કર્મશીલની સાથે એક પત્રકાર પણ છે તેઓ કહે છે, “મેં લૉકડાઉનમાં સરકારે ચાલુ કરેલી શ્રમિક એક્સપ્રેસના ગોટાળા અંગે જનચોક વેબપૉર્ટલમાં અને મજૂરોને રાહત આપવા માટેના સરકારના નિર્ણય પર પ્રશ્નો ઊભા કરતો લેખ ડાઉન ટૂ અર્થ મૅગેઝિનમાં લખ્યો હતા."

"આથી સરકાર મારો અવાજ દબાવવા માટે આ કાર્યવાહી કરી રહી છે.”

કલીમ સિદ્દીકી વ્યવસાયે પ્લાસ્ટર ઑફ પેરિસની લાદીઓ ફીટ કરવાના કૉન્ટ્રાક્ટર છે.

ઉપરાંત વિવિધ વેબપોર્ટલ માટે લખતાં પણ રહે છે. તેઓ જણાવે છે કે તેમની સામે જે બે ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેમાંથી એકમાં તો તેમને છોડી મૂકવામાં આવ્યા છે. જ્યારે બીજી ફરિયાદ રખિયાલ પોલીસ સ્ટેશને સીએએના વિરોધ કરવા એકઠા થયેલા જે 500 લોકો સામે કરી હતી તે છે. જેમાં મારી સામે પણ નોંધાઈ હતી.

કલીમ કહે છે, “જેમ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સીએએનો વિરોધ કરી રહેલાં કર્મશીલો સામે જે કેસ કરવામાં આવ્યા છે તેમ મારી સામે પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. સરકાર મારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે.”

“વ્યવસ્થિત ઊભી થયેલી ચળવળને દબાવવા સરકાર આ કરી રહી છે”

ગુજરાતના કર્મશીલ મનીષી જાની કહે છે કે કલીમે વ્યવસ્થિત રીતે ઊભી કરેલી ચળવળને દબાવવા માટે આ નોટિસ આપવામાં આવી છે.

તેઓ એક કર્મશીલ ઉપરાંત પત્રકાર છે. તેમણે જનતાના અનેક મુદ્દાઓને લૉકડાઉનમાં ઉઠાવ્યા હતા.

મનીષી જાની કહે છે, “કલીમે રખિયાલ વિસ્તારમાં સીએએના વિરોધમાં બહેનોની સારી ચળવળ ઉભી કરી હતી.

હવે કોરોનાની મહામારી બાદ ફરીથી આવી કોઈ ચળવળ ઊભી ન કરે તેના માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે”

તેઓ વધુમાં કહે છે, “સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી હાસ્યાસ્પદ અને દુઃખદ છે.

આ પ્રકારે સીએએના વિરોધ કરતાં લોકોને જેલમાં પૂરવાની શરૂઆત દિલ્હીથી થઈ છે અન હવે આખા દેશમાં ફેલાઈ રહી છે.”

મનીષી જાની કહે છે, “કોઈપણ લડત દરમિયાન સરકાર દ્વારા આ પ્રકારની પ્રવૃતિ કરવામાં આવતી હોય છે. તડીપારની સજા ગુંડા તરીકેનો ત્રાસ આપતા લોકોને અપાય છે જ્યારે અહીં નિયમિત પત્રકાર તરીકે કામ કરતા વ્યક્તિને અપાય છે.”

તેઓ પોતાની સામે મીસા(આંતરિક સુરક્ષા ધારા) હેઠળ નોંધાયેલાં આ પ્રકારના કેસને યાદ કરી કહે છે, “મારી સામે બે વખત મીસા હેઠળ કેસ નોંધાયો છે, કાવતરું ઘડવાનો કેસ નોંધાયો છે. પરંતુ આ માત્ર વિરોધને દબાવવા માટે જ કરવામાં આવે છે.”

“તડીપાર અને પાસા લોકોનાં અવાજ દબાવવાનું ટૂલ છે.”

ગુજરાત હાઇકોર્ટના વકીલ શમશાદ પઠાણ જણાવે છે કે આ પ્રકારની નોટિસને તમારે હાઈકોર્ટમાં ચેલેન્જ કરવી પડે અથવા અધિકારી સામે હાજર થઈને જવાબ આપવો પડે.

તેઓ વધુમાં કહે છે તડીપાર અને પાસાની પ્રક્રિયા ખરાબ છે અને સરકાર લોકોના અવાજને દબાવવા માટે આ પ્રકારની કાર્યવાહી કરતી હોય છે.

સામાન્યપણે નોટોરિયસ ક્રિમિનલની સામે આવી ફરિયાદ થતી હોય છે પરંતુ હવે આવી સિસ્ટમ રહી નથી.

વકીલ શમશાદખાન કહે છે, “દલિત, આદિવાસી, મજૂરોના નેતાઓ અને કાર્યકરોના વિરોધમાં સરકાર વારંવાર વાપરે છે.”

તેઓ વધુમાં કહે છે, “જે નોટિસ આપવામાં આવે છે તેમાં ખાલી ફરિયાદ જ નોંધાઈ હોય છે. હજુ કોર્ટમાં કેસ ચાલવાનો બાકી હોય."

"આરોપી તેમાં દોષિત ઠર્યો હોતો નથી તો પણ આ પ્રકારની કાર્યવાહી થાય છે. કહેવામાં આવે છે કે ફલાણાને તમે ધાકધમકી આપો છો, સાહેદોએ ફરિયાદ કરે છે પણ તે કોણ છે તેની કોઈ વિગત મળતી નથી.”

શમશાદ કહે છે કે તડીપારના આવા 90 ટકા કેસમાં સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને દોષિત પણ ઠરતા હોય છે.

તેઓ કલીમ સિદ્દીકીને મળેલી તડીપારની નોટિસ અંગે કહે છે કે સરકારે મજૂર કાયદાઓમાં ફેરફારો કર્યા છે.

કલીમે રખિયાલ વિસ્તારોમાં મજૂરોના સંગઠન માટે કામ કર્યું છે. જેથી એવું પણ બની શકે કે તેઓ મજૂર આંદોલન કરે તે પહેલાં તેના અવાજને દબાવવા માટે આ પગલું લેવામાં આવ્યું હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો