કોરોના : ગુજરાતનાં નવજાત જોડિયાં બાળકોએ કઈ રીતે વાઇરસને માત આપી?

    • લેેખક, હેમિંગ્ટન જેમ્સ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે મહેસાણામાં બે નવજાત બાળકને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાના સમાચાર આવ્યા હતા. જોકે આનંદની વાત એ છે કે આ જોડિયાં બાળકોએ કોરોનાને માત આપી છે.

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મોલીપુરા ગામમાં રહેતા હિતેશ પરમાર તેમનાં સગર્ભા પત્ની હસુમતી પરમારને સિવિલ હૉસ્પિટલમાં ચેક-અપ માટે લઈ જતાં હતાં અને દરમિયાન હસુમતીબહેનને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

12મી મેના દિવસે હૉસ્પિટલમાં દાખલ થયેલાં હસુમતીબહેને ત્યાં 16મી મેના રોજ જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો.

જોકે તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત હોવાથી બાળકોને સીધાં જ એનઆઈસીયુમાં લઈ જવાયાં હતાં.

વડનગર સિવિલમાં જ સારવાર લીધી

હસુમતીબહેને એક બાળક અને એક બાળકીને જન્મ આપ્યો હતો.

સારવાર બાદ શુક્રવારે વડનગર સિવિલમાંથી માતા અને બંને બાળકોને રજા આપવામાં આવી હતી.

હસુમતીબહેનનું ઑપરેશન કરનારાં અને બંને બાળકોને સારવાર આપનારાં ડૉક્ટર પ્રજ્ઞા ખન્ના બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે જ્યારે અમને ખબર પડી કે માતા કોરોના પૉઝિટિવ છે ત્યારે જ અમે તેમના ઑપરેશન માટે તૈયારી કરી રાખી હતી.

હસુમતીબહેનના પતિ હિતેશભાઈ કહે છે કે સારવાર માટે અમને ડૉક્ટરોએ કહ્યું હતું કે જો અમે ઇચ્છીએ તો અમદાવાદ સિવિલમાં જઈ શકીએ છીએ.

તેઓ કહે છે, "અમદાવાદમાં જે રીતે રોજ કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધે છે અને લોકો મરે છે તે જોઈને મને ઘણી બીક લાગી હતી એટલે મેં વડનગર સિવિલમાં તબીબોને વિનંતી કરી અને તેમણે મારું કહ્યું માન્યું."

બંને બાળકના રિપોર્ટ પૉઝિટિવ

35 વર્ષીય હિતેશ પરમાર મોલીપુરમાં રિક્ષા ચલાવે છે. તેમની રોજની કમાણી અંદાજે 200થી 300 રૂપિયા છે.

હિતેશ અને હસુમતીબહેનને ચાર વર્ષનો દીકરો છે, પરંતુ તે બોલી કે સાંભળી શકતો નથી.

ડૉ. ખન્ના કહે છે, "હસુમતીબહેનની ડિલિવરીની તારીખ 26 મે હતી. પણ અમને ખબર પડી કે એક બાળક અંદર ઊંધું થઈ ગયું છે, જેને અમે બ્રીચ પ્રેઝન્ટેશન કહીએ છીએ. પછી અમે સિઝેરિયન કરીને બંને બાળકોને સલામત કાઢી લીધાં અને તેમને એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં."

આવા સંજોગોમાં સામાન્ય રીતે બાળકના નમૂના લઈને કોરોના વાઇરસના સંક્રમણનું પરીક્ષણ પણ કરવામાં આવતું હોય છે.

ડૉ. ખન્ના કહે છે, "ટેસ્ટ કરતાં ખ્યાલ આવ્યો કે બંને પૈકી એક કોરોના વાઇરસથી સંક્રમિત છે. બાળકનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો અને બાળકીનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો."

"જોકે 48 કલાક પછી અમે ફરીથી બાળકીનું પરીક્ષણ કરાવ્યું અને તેનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો."

મોબાઇલમાં બાળકોના ફોટો જોયા

ડૉ. ખન્ના કહે છે કે આ સ્થિતિમાં બાળકોને માતા પાસે રાખવાં હિતાવહ ન હોવાથી અમે તેમને અલગ જ રાખ્યાં હતાં.

"દસ દિવસ બાદ બાળકનાં માતાનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો, એ પછી અમે બાળકોને તેમની પાસે લઈ ગયાં હતાં."

હસુમતીબહેન કહે છે કે "મારાં બાળકોને મેં જોયાં જ નહોતાં, પરંતુ મેડિકલ સ્ટાફે મને તેમના મોબાઇલમાં તસવીરો બતાવી હતી. મને હવે આનંદ છે કે બંને બાળકો મારી સાથે છે."

નવજાત બાળકો માતાના દૂધ પર આધાર રાખતાં હોય છે તો આવા સંજોગોમાં શું કરવામાં આવ્યું?

એ વિશે વાત કરતાં ડૉક્ટર ખન્ના કહે છે કે "અમે માતાનું દૂધ વાટકીમાં કાઢીને ચમચીથી બાળકોને પિવડાવતાં હતાં."

હસુમતીબહેન દસ દિવસ સુધી તેમનાં બાળકોને સ્પર્શી પણ નહોતાં શક્યાં.

સીડીએચઓ એચ. ડી. પાલેકરે જણાવ્યું કે હવે બંને બાળકો સ્વસ્થ છે અને માતા પણ તંદુરસ્ત હોવાના કારણે તેમને ડિસ્ચાર્જ કરાયાં છે.

હિતેશભાઈ કહે છે, "મને આનંદ છે કે ડૉક્ટર્સ અને હૉસ્પિટલની મેડિકલ ટીમે મારી પત્ની અને બાળકોને બચાવી લીધાં."

હસુમતીબહેને કહ્યું કે "ઘરમાં મને ઓરડી અલગ કરી આપવામાં આવી છે એટલે હું અને બંને બાળકો ત્યાં રહીશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો