You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૉકડાઉન : સુરતમાં 'BJP કાર્યકરે મજૂરોને માર માર્યા'નો મામલો શું છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
કોરોના વાઇરસના સંક્રમણને પગલે દેશભરમાંથી મજૂરોની વતન તરફ હિજરત થઈ રહી છે. સુરતમાં પણ એક પછી એક આવી ઘટનાઓ સામે આવી છે.
આ વચ્ચે સુરતમાં પ્રવાસી મજૂરો પાસેથી વતનમાં જવા માટે પૈસા પડાવવાનો અને તેમને માર મારવાના આરોપો લાગ્યા છે.
પૈસા પડાવનાર અને માર મારનાર શખ્સ ભાજપના કાર્યકર હોવાના દાવા થઈ રહ્યા છે, જોકે ભાજપના નેતા આ વાતને નકારી કાઢે છે.
સુરતમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો વસે છે અને હાલમાં લૉકડાઉન હોવાને કારણે તેઓ વતન પરત ફરી રહ્યા છે.
અગાઉ પ્રવાસી મજૂરો વતન જવાની માગ સાથે રસ્તા પર ઊતરી આવ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા.
આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક મજૂર પોતાને માર માર્યો હોવાનું અને પૈસા આપ્યા હોવા છતાં ટિકિટ ન આપી હોવાનું કહી રહ્યા છે.
વીડિયોમાં દેખાય છે કે મજૂરના માથામાં વાગેલું છે અને લોહી નીકળી રહ્યું છે.
શું કહે છે મજૂર?
દાવો કરવામાં આવી રહ્યો છે કે મજૂરો પાસેથી એક ટિકિટના બે-બે હજાર રૂપિયા લેવાતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાઇરલ થયેલા વીડિયોમાં મજૂર કહે છે કે "હું ટિકિટ લેવા માટે ગયો હતો. એક લાખ સોળ હજાર રૂપિયા આપ્યા હતા."
"બે-બે હજારમાં ટિકિટ વેચતા હતા અને હું વિરોધ કરવા ગયો ત્યારે રાજેશ વર્માએ અમને લાકડીથી માર માર્યો. એટલો માર્યો કે મારું શરીર કામ કરતું નથી."
વીડિયોમાં મજૂર એમ પણ કહી રહ્યા છે કે તેમની પાસે આ અગેના સબૂત છે.
આ જ વીડિયોમાં અન્ય એક શખ્સ કહે છે કે "આવું ન થવું જોઈએ. જેને નંબર લાગ્યો છે એને પણ ટિકિટ નથી આપતાં અને જેને નથી લાગ્યો એ ગાડીમાં બેસી ગયા છે. આ કેવો નિયમ છે."
"બધું કાયદાકીય રીતે થવું જોઈએ. પૈસા આપ્યા હોય તો ટિકિટ મળવી જોઈએ. અહીં બધા લોકો પરેશાન છે."
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
'ઢીંકાપાટુનો માર માર્યો'
સુરતમાં રહેતા અને મૂળ ઝારખંડના ગિરડી જિલ્લાના સરેયા ગામના વતની વાસુદેવ વર્માએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
ફરિયાદમાં તેમણે લખાવ્યું છે કે 'તારીખ સાત મેના રોજ હું અને મારા ગામના માણસો ઋષિનગર ખાતે રહેતા રાજેશ વર્માના ઘરે અમારા વતન ઝારખંડ જવા માટેની ટિકિટ લેવા માટે ગયા હતા.'
તેમણે ફરિયાદમાં જણાવ્યું કે 'અમે અગાઉ ટિકિટના પૈસા આપેલા હોવાથી અમે ટિકિટ માટે માગણી કરી હતી.'
'પછી રાજેશ વર્મા ટિકિટ નહીં મળે એમ કહીને અમારી સાથે બોલાચાલી કરવા લાગ્યા અને બોલાચાલી કરવાની ના પાડતાં તેઓ ઉશ્કેરાઈ ગયા અને ઢીંકાપાટુનો માર મારવા લાગ્યા હતા.'
ફરિયાદીએ લખાવ્યું કે રાજેશ વર્માની સાથે અન્ય માણસોએ પણ અમને માર માર્યો હતો.
ફરિયાદીના કહેવા પ્રમાણે બાદમાં તેમને સ્વીમેર હૉસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
'એ શખ્સ સાથે ભાજપને લેવાદેવા નથી'
એવી પણ જ ચર્ચા થઈ રહી છે કે જેના પર આરોપ લાગ્યો છે એ માણસ ભાજપ સાથે સંકળાયેલા છે.
સુરત ભાજપ શહેર પ્રમુખ નીતિન ભજિયાવાળાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે રાજેશ વર્મા સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી. તેઓ ભાજપના સભ્ય પણ નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે અહીં અલગ-અલગ પ્રાંતના લોકો તેમના વિસ્તારના લોકો માટે કામગીરી કરે છે. એ રીતે તેઓ પણ સામાજિક રીતે ઝારખંડ માટે કામ કરતા હતા, પણ ભાજપને તેમની સાથે કોઈ સંબંધ નથી.
લિંબાયત પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. મકવાણાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આરોપીની ધરપકડ કરાઈ છે અને તેને કોર્ટમાં રજૂ કરાયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.