કોરોના વાઇરસ : અનેક અભ્યાસો અને પરીક્ષણો પછીયે સોશિયલ ડિસ્ટન્સિંગ જ ઉપાય કેમ છે?

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

થોડા સમય અગાઉ અમેરિકની મૅસેચ્યૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી (એમ.આઈ.ટી.)ના વૈજ્ઞાનિકોએ વિશ્વના અનેક દેશોમાં કોરોનાનો ફેલાવો અને ત્યાંના તાપમાન અને હ્યુમિડિટી એટલે કે ભેજના આંકડા એકઠા કરી તેની કોરોના વાઇરસના ફેલાવા પર શું અસર થાય છે તેના ઉપર એક રિસર્ચ પેપર રજૂ કર્યું.

વૈજ્ઞાનિકોએ રજૂ કરેલ પેપરમાં ગરમ અને ભેજવાળા વાતાવરણમાં વાઇરસનો ફેલાવો ધીમો થાય છે, એવી વાત બહાર આવી.

સંશોધનોનું પ્રાથમિક તારણ એવું છે કે એશિયાઈ દેશો જેવા કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેમાં ઋતુપરિવર્તનને કારણે અત્યારે વાતાવરણ 18 ડિગ્રી સેલ્સિયસથી વધારે છે અને ભેજ સપ્રમાણમાં છે, તેને કારણે એશિયાઈ દેશોમાં કોરોના વાઇરસ એટલો ઝડપથી ફેલાયો નથી.

યુ.એસ.માં MITના કાસિમ બુખારી સહિતના વૈજ્ઞાનિકોએ વિશ્વના વિવિધ ભાગોમાં COVID-19 ચેપની સંખ્યાના આંકડાઓનું મૂલ્યાંકન કર્યું હતું અને જેમાં તમામ વિસ્તારોના હવામાનનાં બે પરિમાણો તાપમાન અને ભેજ સાથે સરખાવ્યાં હતાં.

એશિયન દેશોની સ્થિતિ

તેમના સંશોધન પ્રમાણે 90 ટકા કિસ્સામાં માર્ચ 22, 2020 પહેલાં જે વિસ્તારોનું તાપમાન 3થી 17 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હતું. આ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ 4થી 9 ગ્રામ પ્રતિ ઘનમીટર રહેવા પામ્યું હતું.

તેમનાં તારણો મુજબ જે દેશનું સરેરાશ તાપમાન જાન્યુઆરી-ફેબ્રુઆરી અને માર્ચના પ્રથમ પખવાડિયામાં 18 ડિગ્રી કે તેથી વધુ અને ભેજનું પ્રમાણ 9 ગ્રામ પ્રતિ ઘન મીટર રહેવા પામ્યું હતું, તેવા દેશોમાં માત્ર 6 ટકા કેસો જ જોવા મળ્યા હતા.

તેમના વિશ્લેષણના આધારે વૈજ્ઞાનિકો એ નોંધ્યું છે કે એશિયન દેશો કે જ્યાં ઋતુઓ પ્રમાણે વાતાવરણ બદલાય છે, ત્યાં હાલ ઉનાળાની ઋતુ શરૂ થઈ રહી હોવાથી આ દેશોમાં કોરોનાનું ટ્રાન્સમિશન મંદ જોવા મળી શકે છે.

આ દેશોમાં ચોમાસા દરમિયાન પણ તાપમાન પ્રમાણમાં ઉંચુ અને ભેજનું પ્રમાણ સામાન્ય રીતે 10 ગ્રામ/ઘન મીટરથી ઉપર હોય છે.

અમેરિકામાં પણ અલગ અલગ આબોહવા

અમેરિકામાં ઉત્તર અને દક્ષિણ અમેરિકાનાં વિવિધ રાજ્યોનો અભ્યાસ કરતાં અમેરિકાના ઉત્તર ભાગમાં કોરોનાનો ફેલાવો વધુ જોવા મળ્યો, જ્યારે દક્ષિણ અમેરિકામાં ટેક્સાસ, ન્યૂ મૅક્સિકો અને ઍરિઝોનામાં ફેલાવો મર્યાદિત રહેવા પામ્યો.

કૅલિફોર્નિયામાં પણ રાજ્યના ઉત્તર ભાગમાં કોરોનાના કેસની સંખ્યા તેના દક્ષિણ ભાગ કરતાં લગભગ બમણી છે. ઑરેગોન અને લ્યુઇસિયાના એવા બે છેડા છે, જ્યાં તાપમાન અને ભેજને કારણે કારોનાનો ફેલાવા મુદ્દે વિપરીત વલણ જોવા મળ્યું હતું.

એવી દલીલ કે ભારત, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા અને આફ્રિકન દેશોમાં વસતીના પ્રમાણમાં કોરોના ટેસ્ટની સંખ્યા ઓછી છે, પરંતુ સંશોધનકારોએ જણાવ્યું હતું કે, સિંગાપોર, યુએઈ અને સાઉદી અરેબિયા જેવા એશિયાઈ દેશોએ કેટલાક પશ્ચિમી દેશો કરતાં સરેરાશ વધુ ટેસ્ટ કર્યા છે.

આ સંદભે એમ કહી શકાય કે ઉપરોક્ત દેશો માટે પરીક્ષણ ન કરવું એ કોઈ મુદ્દો નથી, પરંતુ આ દેશોમાં વિશ્વના અન્ય દેશોમાંથી સામાન્ય રીતે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં મુસાફરો આવે છે અને અહીંના લોકો વિદેશ પ્રવાસ ખેડતા હોય છે તેથી તેમની મૂવમૅન્ટ ઉપર નિષેધ અને સંક્રમણ ન ફેલાય એટલે આ દેશોમાં ક્વોરૅન્ટીન જેવાં પગલાં મહત્વની ભૂમિકા ભજવે છે.

15 માર્ચ પછી કેટલાક દેશોમાં 10,000થી વધુ કેસ નોંધાયા હોવા છતાં, જેમ-જેમ તાપમાન વધતું જશે, તેમ-તેમ કોરોનાનો ફેલાવો ધીમો થશે તેવું અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે.

આ અંતિમ નિષ્કર્ષ નહીં

વૈજ્ઞાનિકોએ આ નિષ્કર્ષ પર પહોંચવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ડેટા તાપમાન અને ભેજ ઉપર આધારિત છે.

હજુ બીજા અજાણ્યા ડેટા બેઝ, જેમાં વાઇરસ કેવી રીતે પરિવર્તન અને વિકસિત થઈ રહ્યો છે, તેમજ કેસ ફર્ટિલિટી રેશિયો, રિપ્રોડક્ટિવ નંબર અને ડાયરેક્ટ વાઇરસ ઇન્ડાયરેક્ટ ટ્રાન્સમિશન જેવા ડેટાનો ઉપયોગ કર્યો નથી.

સંશોધનકારોએ એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે અભ્યાસનાં પરિણામો "કોઈ રીતે એવું સૂચવતા નથી કે COVID -19 ગરમ ભેજવાળા વિસ્તારોમાં ફેલાઈ ન શકે" તેઓએ કહ્યું કે, 2019-nCoVના ટ્રાન્સમિશનને ધીમું કરવા માટે પબ્લિક હેલ્થ ઇન્ટરવેનન્સ આખી દુનિયામાં લાગુ કરવામાં આવે.

વિશ્વ આખામાં વૈજ્ઞાનિકો કોરોના સામે લડત આપવા નવાનવા પ્રયોગો અને રસી શોધવા માટેનાં પરીક્ષણો કરી રહ્યા છે.

એક એવો પણ અભ્યાસ બહાર પડ્યો છે કે જે દેશોમાં બીસીજીની રસી (ટ્યૂબરકલોસિસ) બાળકોમાં નાનપણથી જ મૂકવામાં આવે છે તે દેશોમાં આ રોગનો ફેલાવો ઓછો થયો છે.

અમેરિકા અને ઇટાલીમાં બીસીજીની રસી બાળકોને મુકાતી નથી ત્યાં આ ફેલાવો વધુ થયો છે, એવું આ અભ્યાસમાં કહેવાયું છે.

જોકે ચીનમાં બીસીજીની રસી બાળકોને અપાય છે, છતાંય ત્યાંથી જ વિશ્વભરમાં કોરોનાનો ફેલાવો થયો હતો. વાઇરસનું સ્ટ્રેઇન વધુ મજબૂત હતું, એના પરિણામે બીસીજીની અસર ઓછી થઈ હશે.

અત્યાર સુધીના અભ્યાસો અને પરીક્ષણો કોઈ ચોક્કસ તારણ ઉપર આવતાં નથી. હજી સુધી કોઈ દવા કે રસી શોધાઈ નથી, ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ અને વારંવાર સાબુ કે સૅનિટાઇઝરથી હાથ સાફ કરવા એજ એક રસ્તો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો