કોરોના વાઇરસ : લૉકડાઉનમાં ભાજપના ધારાસભ્યે ઊજવી બર્થડે પાર્ટી પણ કેસ આયોજક સામે

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

દેશ કોરોના વાઇરસની મહામારી સામે ઝૂઝી રહ્યો છે અને સંક્રમણ તેમજ મોતનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે ભાજપના ધારાસભ્યે અનેક લોકોની હાજરીમાં ઉજવેલી બર્થડે પાર્ટી વિવાદમાં આવી છે.

સમાચાર સંસ્થા એનએનઆઈ મુજબ દેશમાં લૉકડાઉનની વચ્ચે કર્ણાટક ભાજપના ધારાસભ્ય એમ. જયરામની બર્થડે પાટી એમના મતક્ષેત્ર તુરુવેકેરેમાં યોજાઈ હતી.

અહેવાલ મુજબ ધારાસભ્ય શુક્રવારે મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે હાથમોજાં પહેરીની જન્મદિન મનાવતાં અને કૅક કાપતાં જોવા મળ્યા.

આ ઘટના તુમાકુરુ જિલ્લાના ગુબ્બી તાલુકામાં બની છે.

બર્થડે પાર્ટી એક સરકારી શાળામાં યોજાઈ હતી અને તેમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા.

આ પાર્ટીના વાઇરલ થયેલા એક વીડિયોમાં ધારાસભ્ય ભેગા થયેલા લોકોને એમ કહેતા સંભળાય છે કે, "સરકારનો હુકમ હોવા છતાં તમારા કાર્યકરોને લીધે આવ્યો છું. આપણે આસપાસમાં જઈને લોકોને કોરોના વાઇરસ સામેની લડતમાં નિયમપાલન માટે જાગૃત કરીશું. આપણે નથી જાણતા કે વાઇરસ કેવી રીતે ફેલાય છે એટલે બાળકો અને અન્યોએ બહાર ન નીકળવું જોઈએ."

ધારાસભ્ય સામે નહીં અન્યો સામે કેસ

આ અંગે તુમાકુરુ જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ વામશી ક્રિશ્નાએ બીબીસીને કહ્યું કે અમે આ ઘટનાની સુઓમોટો કેસ તરીકે નોંધ કરી છે અને આઈપીસીની કલમ 188 મુજબ 3 આયોજકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

જોકે, કલમ 188માં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં અને તે જ કલમ ઍપેડેમિક ડિસીઝ ઍક્ટ 1897 મુજબ પણ લાગુ પડતી હોવા છતાં સુઓમોટો ફરિયાદ ધારાસભ્ય સામે નોંધવામાં નથી આવી, પરંતુ અન્ય ત્રણ આયોજકો સામે નોંધવામાં આવી છે.

ઍપેડેમિક ડિસીઝ ઍક્ટ મુજબ - કોઈ પણ વ્યક્તિ આ કાયદાને આધીન હુકમો ન માને કે જોગવાઈ કે હુકમનો ભંગ કરે તો તે કલમ 188 મુજબ સજાપાત્ર ગુનો ગણાશે.

આ કાયદો એવું કહે છે કે જો વ્યક્તિ એ જાણતી હોય કે સરકારી આદેશનો ભંગ કરવાથી માનવીય જિંદગીને કે તેમના આરોગ્યને અથવા સુરક્ષાને જોખમ છે તો એ વ્યક્તિ સામે કેસ થઈ શકે છે.

કાયદા મુજબ વ્યક્તિ જે હુકમનો અનાદર કરી રહી હોય તેનાથી તે અવગત હોય એટલું જ પૂરતુ છે.

આ કાયદા મુજબ હુકમનો અનાદર કરનારને 6 મહિનાની જેલની સજા અને 1000 રૂપિયા દંડ અથવા બેઉ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ નેતા અને રાજ્યના અધ્યક્ષ ડી.કે. શિવાકુમારે આ મુદ્દે પોલીસને સુઓમોટો ફરિયાદ કરવા વિનંતી કરી હતી. એ પછી પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી.

જોકે, ડી.કે. શિવાકુમારનું કહેવું છે કે લૉકડાઉનના તમામ નિયમોનો ભંગ કરવા બદલ ધારાસભ્ય સામે ફરિયાદ થઈ જોઈએ.

તો શું ધારાસભ્ય સામે પગલાં લેવાશે એ મુદ્દે ભાજપના એક વરિષ્ઠ નેતાએ બીબીસીને કહ્યું કે, આ મુદ્દે તો મુખ્ય મંત્રી જ ધારાસભ્યોને લૉકડાઉનની સ્થિતિમાં યોગ્ય રીતે વર્તવા માટે કહી શકે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો