કોરોના વાઇરસ : લૉકડાઉનમાં છ દિવસમાં 20 લોકોનાં મૃત્યુ થયાં

    • લેેખક, શાદાબ નઝમી
    • પદ, બીબીસી, વિઝ્યુલ જર્નાલિઝમ ટીમ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસ સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે. દુકાનોથી લઈને બધા પ્રકારની ગતિવિધિઓ પર રોક લાગવાને કારણે પ્રવાસી મજૂરો માટે રોજિંદા ખર્ચને પહોંચી વળવું બહુ મુશ્કેલ બની ગયું છે.

ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય રાજ્યોના મજૂરો દેશના અલગઅલગ ભાગમાં કમાવવા-ખાવાના ઇરાદાથી જાય છે. પરંતુ બધું બંધ હોવાને કારણે તકલીફ થતાં મજૂરો પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા છે.

કામકાજ અને કમાણી બંધ થતાં તેમની પાસે ઘરે પરત ફરવા સિવાય કોઈ આરો નથી. સરકારી બસો, ટ્રેનો બધું બંધ છે. ખાનગી ગાડીઓ ચાલતી નથી.

આથી દેશભરમાંથી કેટલાક દિવસોથી પરેશાન કરનારી તસવીરો સામે આવી રહી છે, જેમાં પ્રવાસી મજૂરો સેંકડો કિમી સુધી પગપાળા ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે.

માત્ર પુરુષો જ નહીં મહિલાઓ અને નાનાં-નાનાં બાળકો પણ આ તકલીફદાયક સફરમાં જોવાં મળી રહ્યાં છે.

લૉકડાઉનના એલાન બાદ રસ્તાઓ પર અકસ્માતમાં આ પ્રવાસી મજૂરોનાં મૃત્યુ થયાં હોવાની ખબરો પણ આવી રહી છે.

ભારતમાં રોડ-અકસ્માતમાં આમ તો સરેરાશ રોજના 17 લોકોનાં મૃત્યુ થાય છે, પરંતુ જ્યારથી લૉકડાઉન થયું ત્યારથી આ દુર્ઘટનાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, કેમ દેશના હાઈવે અને રસ્તા પર સામાન્ય લોકોની અવરજવર થઈ રહી નથી.

લૉકડાઉનનું એલાન એટલા માટે કરવામાં આવ્યું કે દેશમાં કોરોના વાઇરસને ફેલાતો રોકી શકાય.

પીએમ મોદીએ લોકોને અપીલ કરી છે કે તેઓ તેમના ઘરમાં જ રહે અને સામાજિક અંતર રાખે.

જોકે બધા લોકો તેનું પાલન કરતાં નથી.

પ્રવાસી મજૂરોમાં ભાગદોડ મચી છે. તેઓ મોટી સંખ્યામાં બસ સ્ટેન્ડ પર જોવા મળે છે. આ મજૂરો કોઈ પણ હાલતમાં શહેરમાંથી નીકળીને પોતાના ગામ અને ટાઉનમાં જવા માગે છે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર, 29 માર્ચે, 2020 સુધી કોરોના વાઇરસને લીધે દેશમાં 25 લોકોનાં મૃત્યુ થયાં છે.

બીજી તરફ લૉકડાઉનને કારણે રોડ-અકસ્માત અને મેડિકલ ઇમરજન્સીને કારણે અત્યાર સુધીમાં 20 લોકોએ પોતાના જીવ ગુમાવવો પડ્યો છે.

બીબીસીએ મીડિયા રિપોર્ટ્સ પર કરેલા એક વિશ્લેષણ પ્રમાણે, લૉકડાઉનના એલાન બાદ ચાર રોડ-દુર્ઘટના સામે આવી છે. મોટા ભાગે પગપાળા જવાને કારણે મેડિકલ ઇમરજન્સીના બે કેસ જોવા મળ્યા છે અને અન્ય પ્રકારની એક ઘટના સામે આવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે, 27 માર્ચે હૈદરાબાદના પેડ્ડા ગોલકોંડા પાસે થયેલા રોડ-અકસ્માતમાં આઠ લોકોનાં મૃત્યુ થયાં છે. મૃતકો તેલંગણાના પ્રવાસી મજૂરો હતા, જેમાં બે બાળકો પણ સામેલ હતાં. આ લોકો કર્ણાટકમાં પોતાના ઘરે પરત ફરતા હતા. તેઓ એક ખુલ્લા ટ્રકમાં આવી રહ્યા હતા. આ ટ્રકને પાછળથી આવતાં એક વાહને ટક્કર મારી હતી.

તેલંગણાની સરકારે લૉકડાઉન કર્યા બાદ તમામ પ્રવાસીઓ મજૂરો પોતપોતાની જગ્યાએ ફસાયેલા છે.

બે અન્ય મામલામાં ગુજરાતના છ પ્રવાસી મજૂરોનાં મૃત્યુ થયાં હોવાના અહેવાલો આવ્યા છે.

28 માર્ચે મહારાષ્ટ્રથી ગુજરાત પોતાના ઘરે પરત ફરી રહેલા ચાર પ્રવાસી મજૂરોને પૂરપાટ આવતાં ટૅમ્પોએ કચડી નાખ્યા હતા. આ ચારેય લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ રોડ-અકસ્માત મુંબઈ-અમદાવાદ હાઈવે પર પારોલ ગામ પાસે થયો હતો.

એ દિવસે ગુજરાતના વલસાડ જિલ્લામાં બે મહિલા મજૂરોનાં મૃત્યુ થયાં હતાં. આ મહિલા રેલવે પુલ પાર કરી રહ્યાં હતાં ત્યારે એક માલગાડીએ તેમને ટક્કર મારી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, 'મહિલાઓ શ્રમિક હતી અને લૉકડાઉનને કારણે તેઓને તેમના ગામ પરત ફરવું પડ્યું હતું.'

એએનઆઈ અનુસાર, હાલના રિપોર્ટ પ્રમાણે 29 માર્ચની સવારે કુંડલી-માનેસર-પલવલ (કેએમપી) એક્સપ્રેસ વે પર ચાર લોકોને એક ગાડીએ કચડી નાખ્યા છે. કહેવાય છે કે મૃતક તમામ રોડ પર ચાલતાં જતા હતા.

મેડિકલ ઇમરજન્સી

26 માર્ચે 39 વર્ષીય એક શખ્સનુ્ં મૃત્યુ મધ્ય પ્રદેશના મુરૈનામાં પોતાના ઘરે જતી વખતે રસ્તામાં થયું હતું. રણવીર સિંહ દિલ્હીમાં ફૂડ ડિલિવરી બૉય તરીકે કામ કરતા હતા. તેઓ દિલ્હીથી મુરૈના પોતાના ઘરે જવા માટે પગપાળા નીકળી ગયા હતા.

દિલ્હીથી મુરૈનાનું અંતર લગભગ 300 કિમી છે. આગ્રામાં રસ્તા વચ્ચે તેઓ પડી ગયા અને તેમનું મૃત્યુ થઈ ગયું.

27 માર્ચે ગુજરાતના સુરતમાં 62 વર્ષીય ગંગારામનું મૃત્યુ થયું. ગંગારામ એક હૉસ્પિટલથી પોતાના ઘરે જઈ રહ્યા હતા, જે અંદાજે આઠ કિમી દૂર હતું. તેમને ઘરે જવા માટે કોઈ વાહન ન મળ્યું એટલે ચાલતાં જ ઘરે જવાનો નિર્ણય કર્યો હતો.

પાંડસેરામાં પોતાના ઘરની પાસે તેઓ બેભાન થઈને પડી ગયા હતા. તેમને ફરી વાર હૉસ્પિટલ લઈ જવાયા હત, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.

દરેક ઘટનાની ઓછામાં ઓછી બે મીડિયા રિપોર્ટના આધારે પુષ્ટિ કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો