દિલ્હી હિંસામાં ભાજપના નેતા સામે પગલાં ભરવાનો આદેશ આપનાર જજની બદલી - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર દિલ્હીમાં થયેલી હિંસા પહેલાં ભડકાઉ ભાષણ આપનાર (ભાજપનાં ત્રણ નેતાઓ) સામે એફઆઈઆર કરવાનું કહેનાર દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ. મુરલીધરની પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે.

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ. મુરલીધર જેમણે બુધવારે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને દેશના પાટનગરમાં થયેલાં તોફાનો રોકવામાં નિષ્ફળ રહેતાં તેમની ઝાટકણી કાઢી હતી.

તેમણે દિલ્હીના તોફાનોના કેસની સુનાવણી કરતાં કહ્યું હતુ કે, દેશમાં બીજી વખત 1984 જેવી ઘટના થવા નહીં દઈએ.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં થયેલાં તોફાનોમાં હાલ સુધી 27 લોકોનાં મૃત્યુ થયા છે અને 200થી વધારે લોકો ઘાયલ થયા છે.

જસ્ટિસ મુરલીધરની બદલી કરવાનું નોટિફિકેશન કેન્દ્ર સરકારે બુધવાર રાત્રે જાહેર કર્યું. એવું કહેવામાં આવી રહ્યું છે સુપ્રીમ કોર્ટ દ્વારા બદલીની ભલામણ 12 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી.

આ બદલી પર કૉંગ્રેસે સરકારીની ટીકા કરી છે.

સરકારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, બંધારણના આર્ટિકલ 222 પ્રમાણે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ભલામણને આધારે રાષ્ટ્રપતિ જસ્ટિસ મુરલીધરની દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશમાંથી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના જજ તરીકે બદલી કરે છે. જસ્ટિસ મુરલીધર હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જજની ફરજ બજાવશે.

ડી.જી. વણઝારાને નિવૃતિનો છ વર્ષ બાદ પ્રમોશન આપવામાં આવ્યું

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર પૂર્વ આઇપીએસ અધિકારી ડી.જી.વણઝારાને નિવૃતિના છ વર્ષ પછી પ્રમોશન આપવામાં આવ્યું છે.

સરકારે તેમને પોસ્ટ રિટાયર્મેન્ટ પ્રમોશન આપીને ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ બનાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે પૂર્વ આઇપીએસ અધિકારી પર સોહરાબુદ્દીન શૈખ-તુલસીરામ પ્રજાપતિ અને ઇશરત જહાનું કથિત ફેક એન્કાઉન્ટર કરવાનો આરોપ હતો. બાદમાં તેમને આરોપમાંથી મુક્તિ મળી હતી.

આ પ્રમોશન 29 સપ્ટેમ્બર, 2007થી અમલમાં આવશે અને તેમને ત્યારથી એરિયર્સ આપવામાં આવશે.

66 વર્ષના આઇ.પી.એસ અધિકારી ડી.જી.વણઝારાએ 2014માં સાબરમતી જેલમાંથી જ નિવૃતિ લીધી હતી. ઉલ્લેખનીય છે કે તે સમયે તે ઇશરત એન્કાઉન્ટર કેસમાં જેલમાં હતા.

તેમણે કહ્યું, "ભગવાન મહાન છે, મેં કાંઈ ખોટું કર્યું નથી પરંતુ ગુજરાતને આતંકાવાદીઓથી બચાવ્યું છે."

તેમણે એવો પણ આશાવાદ વ્યકત કર્યો હતો તેમને આગામી સમયમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ તરીકે પણ પ્રમોશન મળશે.

કોરોના વાઇરસગ્રસ્ત ક્રુઝમાં ફસાયેલાં 119 ભારતીયો પરત આવ્યા

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર જાપાનના યોકોહામામાં કોરોના વાઇરસગ્રસ્ત ક્રૂઝમાંથી 119 ભારતીય લોકોને ઍરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત બીજા પાંચ વિદેશી નાગરિકોને ભારત લાવવામાં આવ્યા છે. આ લોકો ગુરુવારે સવારે ભારત પહોંચ્યા હતા.

જાપાનના યોકોહામા ખાતે ડાયમન્ડ પ્રિન્સેસ નામના ક્રુઝમાં કોરોના વાઇસને કારણે 20 દિવસથી યાત્રીઓ અટવાયા હતા. આ ક્રુઝમાં એક ગુજરાતી યુવતી પણ અટવાઈ હતી.

ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે જાપાનની સરકારનો આભાર માન્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો