Top News - ઝારખંડના તબરેજ અંસારીનો વીડિયો શૅર કરનારા ટિક-ટૉકનાં ત્રણ એકાઉન્ટ સસ્પેન્ડ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઝારખંડમાં તબરેઝ અંસારી ઉપર હુમલાનો વીડિયો શૅર કરનારા ટિક-ટૉકનાં ત્રણ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધાં છે.

શિવસેનાની આઈટી પાંખના વડા રમેશ સોલંકીએ વીડિયો અંગે ફરિયાદ દાખલ કરી હતી.

સોશિયલ મીડિયા ઉપર વ્યાપકપણે શૅર થયેલા વીડિયો મુજબ, તબરેજ અંસારીને માર મારવામાં આવ્યો હતો અને 'જય શ્રી રામ' તથા 'જય હનુમાન'ના નારા લગાવવાની ફરજ પાડવામાં આવી હતી.

ટ્વિટર અને ફેસબુક જેવાં સોશિયલ મીડિયા ઉપર આંતરિક નિયમોનું પાલન નહીં કરવા બદલ એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ઘટના બનતી રહે છે, પરંતુ ટિક-ટૉક સંદર્ભે આવું પ્રથમ વખત બહાર આવ્યું છે.

આ એકાઉન્ટ્સ સંયુક્ત રીતે લાખો ફોલોઅર્સ ધરાવતાં હતાં.

ઉલ્લેખનીય છે કે તા. 18મી જૂને તબરેજ અંસારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ચાર દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું.

કૅનેડા જનારા ભારતીય વધ્યાં

વર્ષ 2018માં 39500 ભારતીયોએ એક્સપ્રેસ ઍન્ટ્રી સ્કિમ હેઠળ કૅનેડાનું કાયમી નાગરિકત્વ હાંસલ કર્યું છે.

'ટાઇમ્સ ઑ ઇંડિયા'ના અહેવાલ પ્રમાણે, કૅનેડાએ 2018માં 92 હજારથી વધુ વિદેશીઓને એક્સપ્રેસ ઍન્ટ્રી સ્કીમ હેઠળ કૅનેડાનું 'ગ્રીનકાર્ડ' આપ્યું, જે અગાઉના વર્ષની સરખામણીએ 41 ટકાનો વધારો સૂચવે છે.

ભારતીયો દ્વારા એક્સપ્રેસ ઍન્ટ્રી સ્કિમ હેઠળ કૅનેડાનું નાગરિકત્વ લેવાની બાબતમાં વર્ષ 2017ની સરખામણીમાં 51 ટકાનો વધારો નોંધાયો છે.

2018માં કૅનેડાનું નાગરિકત્વ લેવાની બાબતમાં નાઇજીરિયા બીજા ક્રમે રહ્યું હતું. વર્ષ 2017માં ચીન આ ક્રમે હતું.

ગુજરાત સરકાર 42,929 કરોડ રૂપિયા ઉધાર લેશે

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ નાણામંત્રી નીતિન પટેલે સૂચન કર્યું કે બજેટમાં કરેલા વાયદાઓને પૂરા કરવા માટે ગુજરાત સરકારે આ નાણાકીય વર્ષમાં 42,929 કરોડ રૂપિયા ઉધાર લેવા પડશે.

જેમાંથી રૂ. 380,99 કરોડનો ઉપયોગ જૂની લૉનનું મુદ્દલ તથા વ્યાજ ચૂકવવા માટે થશે.

વિધાનસભામાં રજૂ થયેલા દસ્તાવેજોમાં ઉલ્લેખ છે કે ઉધાર પેટે 42,929 કરોડ રૂપિયામાંથી 21,509 કરોડ રૂપિયા અગાઉની લૉનના વ્યાજ રૂપે ચૂકવાશે, જ્યારે 16,590 કરોડ રૂપિયા મુદ્દલ પેટે ચૂકવાશે.

છેલ્લા પાંચ વર્ષની તુલનાએ રાજ્ય સરકારની ઉધાર લેવાની રકમ બેગણી થઈ ગઈ છે. વર્ષ 2015-16ના બજેટમાં ઉધારની રકમ 23,486 કરોડ રૂપિયા હતી જે 2019-20માં 42,929 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

નાણાકિય વર્ષ 2019-20માં ગુજરાતનું જાહેર દેવું 2.66 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.

અભ્યાસક્રમમાં આરએસએસનો વિષય ઉમેરાતાં વિરોધ

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર નાગપુર વિશ્વવિદ્યાલયના કોર્ષમાં 'રાષ્ટ્ર નિર્માણ'માં આરએસએસનો ફાળો વિષય ઉમેરતાં વિવાદ જાગ્યો છે.

ત્યારબાદ વિદ્યાર્થી સંગઠન એનએસયૂઆઈ (નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઑફ ઇન્ડિયા) દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો.

એનએસયૂઆઈના જિલ્લા પ્રમુખ આશિષ મંડપે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મળ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ તેમણે આ વિષયને અભ્યાસક્રમમાંથી હટાવવા માટે પણ અનુરોધ કર્યો.

મહારાષ્ટ્ર યૂથ કૉંગ્રેસના જનરલ સેક્રેટરીએ જણાવ્યું કે તેઓ વીસીને મળ્યા હતા અને કહ્યું હતું કે ભારતની સ્વતંત્રતામાં આરએસએસનો કોઈ ફાળો નહોતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો