You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપ નેતા ડૉ. જયનારાયણ વ્યાસે પક્ષમાંથી રાજીનામું કેમ આપ્યું?
ગુજરાત ભાજપના સિનિયર નેતાઓમાંના એક ડૉ. જયનારાયણ વ્યાસે પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે.
શનિવારે સવારે તેમણે સ્થાનિક ચૅનલોના પત્રકારો સાથે વાતચીત કરતાં રાજીનામું આપ્યું હોવાની માહિતી આપી હતી.
સ્થાનિક પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે પાટણ જિલ્લા ભાજપ સમિતિ દ્વારા તેમની સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવતું હોવાથી તેમણે રાજીનામું આપ્યું છે.
તેમણે કહ્યું કે, "પક્ષના સિનિયર સભ્ય હોવા છતાં મારે નાની નાની બાબતો માટે છેક પક્ષ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પાટીલને રજૂઆત કરવી પડતી હતી. એના કારણે મને એવું લાગતું હતું કે મારે હંમેશા ફરિયાદી તરીકે જ કામ કરવું પડે છે. એનાથી હું કંટાળી ગયો હતો."
આ સાથે તેઓ પોતે આ વિધાનસભાની ચૂંટણીમાં પાટણની સિદ્ધપુર બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ક્યા પક્ષમાંથી લડશે? તો તેમણે આગામી સમયમાં આમ આદમી પાર્ટી અથવા તો કૉંગ્રેસમાંથી કોઈ એક પક્ષ પર પસંદગી ઉતારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ડૉ. જયનારાયણ વ્યાસ છેલ્લા ત્રણ દાયકાથી પણ વધારે સમયથી ભાજપ સાથે સંકળાયેલા છે. તેઓ ગુજરાતના આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે 43 ઉમેદવારો જાહેર કર્યા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ સાથે કૉંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
શુક્રવારે દિલ્હીમાં કૉંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.
આ બેઠક બાદ આમ આદમી પાર્ટીને એક આંચકો પણ લાગ્યો હતો. કૉંગ્રેસમાંથી આપમાં જોડાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાછા કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં એક અને પાંચ ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે પરિણામ હિમાચલ પ્રદેશ સાથે આઠ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
કૉંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્ય મંત્રીપદના દાવેદાર તરીકે ઈસુદાન ગઢવીની જાહેરાત કરી હતી.
ગોળી વાગ્યા બાદ ઇમરાન ખાન આવ્યા સામે, કહ્યું, ‘ચાર લોકોએ બંધ રૂમમાં મને મારવાનું નક્કી કર્યું’
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાનને તેમની લૉન્ગ માર્ચ દરમિયાન ગોળી વાગ્યા બાદ તેમણે હૉસ્પિટલમાંથી સંબોધન કર્યું હતું.
સૌથી પહેલાં તેમના ડૉક્ટર ફૈસલ સુલ્તાન ખાને તેમના પગનો ઍક્સ-રે બતાવ્યો હતો. તેમના પ્રમાણે ઇમરાન ખાનને પગમાં ચાર ગોળીઓ વાગી છે.
ઇમરાન ખાને કહ્યું કે તેમને પહેલેથી ખ્યાલ હતો કે ગુજરાંવાલા કે વજીરાબાદમાં તેમને મારવાનો પ્રયત્ન કરાશે.
તેમણે કહ્યું કે ચાર લોકોએ બંધ રૂમમાં મને મારવાનું નક્કી કર્યું હતું અને તેમણે એક વીડિયો બનાવીને રાખ્યો છે જેમાં એ ચાર લોકોના નામ રાખવામાં આવ્યા છે.
ઇમરાન ખાને કહ્યું, “તેમણે મને મારવાનો નિર્ણય લીધો. આ લોકોના નામનો વીડિયો મેં બનાવી રાખ્યો છે. મને કંઈ થશે તો તે વીડિયો રીલિઝ કરવામાં આવશે.”
તેમણે અન્ય ત્રણ લોકોના નામ આપીને એમ પણ કહ્યું કે ત્રણ લોકોએ લૉન્ગ માર્ચમાં તેમના પર હુમલો કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું.
જે ત્રણ લોકોનો ઇમરાન ખાને ઉલ્લેખ કર્યો, તેમાં પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ, વડા પ્રધાન શહબાઝ શરીફ અને મેજર જનરલ ફૈસલ નસીર સામેલ છે.
તેમણે પોતાના પર થયેલા હુમલા અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, “જ્યારે હું કન્ટેનર પર હતો, ત્યારે અચાનક ગોળીઓ વાગી, હું અચાનક નીચે પડ્યો અને બીજી બાજુથી પણ ગોળીઓ ચાલી. ત્યાં બે માણસો ગોળીઓ ચલાવી રહ્યા હતા. હું પડી ગયો હતો. તેથી બેમાંથી એક વ્યક્તિને લાગ્યું કે હું મરી ગયો છું, જેથી તે ચાલ્યો ગયો. જ્યારે એક પકડાઈ ગયો.”
દિલ્હી પ્રદૂષણ : શાળાઓ રહેશે બંધ, સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘દરમિયાનગીરી જરૂરી’
દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તરને લઈને સરકારે શનિવારે પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
દિલ્હીમાં પ્રદૂષણના વધી રહેલા સ્તરને કારણે સામાન્ય લોકોની તબિયત ખરાબ થઈ રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
આ વચ્ચે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે દરમિયાનગીરી કરવી જરૂરી છે.
કોર્ટે કહ્યું કે તેઓ આ મામલે 10 નવેમ્બરે સુનાવણી હાથ ધરશે.
સુપ્રીમ કોર્ટમાં એક વકીલે દિલ્હીમાં પ્રદૂષણ અંગે તાત્કાલિક સુનાવણી કરવા અરજી કરી હતી.
આ વચ્ચે દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ પંજાબના મુખ્ય મંત્રીને પત્ર લખીને પ્રદૂષણ રોકવાની કામગીરી કરવા અપીલ કરી છે.
દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પણ જણાવ્યું છે કે રાજ્ય સરકારના 50 ટકા કર્મચારીઓ ‘વર્ક ફ્રૉમ હોમ’ કરશે.