You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પૂર્વ ક્રિકેટર હરભજનસિંહ 'આપ'નો પ્રચાર કરશે
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, 20 નેતાઓની આ સૂચીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે જ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સાંસદ સંજય સિંહ અને રાઘવ ચડ્ડાનું નામ પણ સામેલ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની સૂચી જાહેર કરી દીધી છે. 20 નેતાઓની આ સૂચીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે જ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઠ્ઠાનું નામ પણ સામેલ છે.
ભગવંત માન સાથે જ પાર્ટીએ ગુજરાત ચૂંટણી પ્રચારમાં દિલ્હી સાથે જ પંજાબના નેતાઓ પર પણ વિશ્વાસ બતાવ્યો છે. પાર્ટીએ સ્ટાર પ્રચારક તરીકે બે મહિલા નેતાઓને પણ સામેલ કર્યા છે.
આ સાથે જ સ્ટાર પ્રચારકોની સૂચીમાં પૂર્વ ક્રિકેટર અને પંજાબથી રાજ્યસભાના સંસદસભ્ય હરભજન સિંઘને પણ ગુજરાતમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવાર ઇસુદાન ગઢવી પણ સ્ટાર પ્રચારકોની સૂચીમાં છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ઉપરાંત મનોજ સોરઠિયા, અલ્પેશ કથિરિયા અને યુવરાજસિંહ જાડેજાને પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ સાથે જ આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચારના સ્ટાર પ્રચારકોમાં પંજાબ સરકારની બે મહિલા મંત્રી બલજિંદર કૌર અને અનમોલ ગગન માનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સ્ટાર પ્રચારકોમાં જગમલ વાળા, રાજૂ સોલંકી, પ્રવીણ રામ, ગૌરી દેસાઈ, માથુર બેદનિયા, અજીત લોકિલ, રાકેશ હીરપરાને પણ સામેલ કરવામાં આવ્યા છે.
કોણ જીતશે ટી-20 વર્લ્ડકપ? એબી ડી વિલિયર્સે કરી ભવિષ્યવાણી
ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ પહેલા દક્ષિણ આફિક્રાના દિગ્ગજ ખેલાડી એબી ડી વિલયર્સે વર્લ્ડકપ જીતનારી ટીમની ભવિષ્યવાણી કરી છે.
તેમણે કહ્યું કે, “ટી-20 વર્લ્ડકપ ભારત પોતાના નામે કરશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પત્રકારોના સવાલોના જવાબ આપતા તેમણે કહ્યું કે, જો ભારતીય ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લૅન્ડને હરાવી દેશે તો તેઓ ફાઈનલમાં નક્કી જીતી જશે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા એબી ડી વિલિયર્સે કહ્યું કે, ભારત અને ન્યૂઝીલૅન્ડની ટીમ વચ્ચે ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાશે. ભારતના સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી શાનદાર ફૉર્મમાં છે.
ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ સિડનીમાં પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાશે, સાથે બીજી સેમિફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સાથે છે.
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું રશિયા જોડે તેલ ખરીદવાનું ચાલુ રાખશે ભારત, જણાવ્યું આ કારણ
રશિયા સાથેની તેલની આયાત અંગેના એક સવાલના જવાબમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે કહ્યું હતું કે, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ભારતના લાભની વાત છે અને ભારત ‘તેને જાળવી રાખવા માગે છે.’
કેટલાક પશ્ચિમ દેશની ટીકા કરવા છતાં છેલ્લાં કેટલાંક મહિનામાં ભારતે રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ ઓઈલની ખરીદીમાં ભારે વધારો કર્યો છે.
વિદેશ મંત્રી જયશંકરની આ ટિપ્પણી એવા સમયે સામે આવી છે કે જ્યારે તેઓ માસ્કોમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે મૂલાકાતે હતા.
વિદેશ મંત્રી જયશંકરે મોસ્કોના બે દિવસીય પ્રવાસ દરમિયાન મીડિયાના સવાલોના જવાબ આપતા કહ્યું કે, “ઊર્જા માર્કેટ પર દબાવ છે. આ બધા કારણોના કારણે તણાવ છે, પરંતુ દુનિયાના ત્રીજા સૌથી મોટા તેલ અને ગેસ ઉપભોક્તા તરીકે જેની કમાણી વધુ નથી, અમારી મૂળભૂત જવાબદારી એ સુનિશ્ચિત કરવાની છે કે, ભારતીય ગ્રાહકોને શ્રેષ્ઠ તેલ મળે અને અમને આંતરરાષ્ટ્રીય બજારોમાં સૌથી વધુ નફાકારાક સોદો મળે.”
“પ્રમાણિકતાથી કહું તો આ સંદર્ભમાં અમને ભારત અને રશિયાના સંબંધોનો ફાયદો થયો છે. તો જો અમારા માટે આ ફાયદાકારક હોય તો હું તેને જાળવી રાખવા માગીશ.”
રશિયા સાથેના ભારતના સંબંધોને ઘણા સ્થિર બતાવતા, જયશંકરે કહ્યું કે, “બન્ને દેશ વચ્ચે આ સંબંધનો ઉદ્દેશ વધતા આર્થિક સહયોગની પૃષ્ઠભૂમિમાં પરસ્પર લાભદાયી અને લાંબા સમયની ભાગીદારી બનાવવાનો છે.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G20 પ્રેસિડન્સી માટે લોગો, થીમ અને વેબસાઈટ લૉન્ચ કરી
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ભારત પહેલી ડિસેમ્બરે ઇન્ડોનેશિયાના વર્તમાન પ્રમુખ પાસેથી જૂથની અધ્યક્ષતા સંભાળશે અને આવતા વર્ષે સમિટનું આયોજન કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કમળના ફુલ પર આધારિત ભારતના G20 પ્રેસિડન્સીનો લોગો, થીમ અને વેબસાઇટ લોન્ચ કરી. છ ભારતીય ભાષાઓમાં સ્વાગત કરતા વડા પ્રધાને કહ્યું કે, “આની થીમ સાર્વત્રિકતા પર આધારિત છે.” હિન્દુ દેવી સરસ્વતી અને લક્ષ્મીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, “ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન અને સમૃદ્ધિ બન્નેના દેવી કમળ પર બિરાજમાન છે.”
વડા પ્રધાને કહ્યું કે, લોગોમાં કમળની સાત પાખડીઓ સાત મહાદ્વીપનું પ્રતિનિધિત્વ કરે છે. આ ‘વસુદૈવ કુંટુંબકમ’, ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ ની થીમ સાથે જોડાયેલો છે. ભારત 1 ડિસેમ્બરે ઇન્ડોનેશિયાના વર્તમાન પ્રમુખ સાથે જૂથની અધ્યક્ષતા ગ્રહણ કરશે અને આવતા વર્ષે સમિટનું આયોજન કરશે.
તેમણે કહ્યું હતું કે, “જી-20 એવા દેશોનો સમૂહ છે, જેની આર્થિક ક્ષમતા, દુનિયાના કુલ સ્થાનિક ઉત્પાદનના 85 ટકા, વિશ્વના વેપારના 75 ટકા તથા વિશ્વની બે તૃતીયાંશ વસતીનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત હવે આ જી-20 જૂથનું નેતૃત્વ કરવા જઈ રહ્યું છે.”
વડા પ્રધાને કહ્યું કે, “આજે જે પ્રતિક ચિન્હનું લોકાર્પણ થયું છે, તેના નિર્માણમાં પણ દેશવાસીઓની ઘણી મોટી ભૂમિકા રહી છે. આ લોગો અને થીમ દ્વારા અમે એક સંદેશો આપ્યો છે. યુદ્ધ માટે બુદ્ધનો સંદેશ છે. હિંસા સામેના પ્રતિકારમાં મહાત્મા ગાંધીના જે ઉપાયો છે. જી-20 દ્વારા ભારત તેની વૈશ્વિક પ્રતિષ્ઠાને નવી ઊર્જા આપી રહ્યું છે.”
તેમણે કહ્યું કે, “જી-20નો આ લોગો માત્ર એક પ્રતીક ચિન્હ જ નથી. આ એક સંદેશ, એક ભાવના છે જે અમારી રગેરગમાં છે. આ એક સંકલ્પ છે જે અમારા વિચારમાં સામેલ છે.”
તેમણે કહ્યું કે, “આજે વિશ્વ સારવારની જગ્યાએ સ્વાસ્થ્ય શોધી રહ્યું છે. આયુર્વેદ, યોગ જેને લઈને દુનિયામાં એક નવો ઉત્સાહ અને વિશ્વાસ છે. તેના વિસ્તરણ માટે આપણે એક વૈશ્વિક વ્યવસ્થા બનાવી શકીએ છે. ભારત વિશ્વનું સમૃદ્ધ અને સજીવ લોકતંત્ર છે. અમારી પાસે લોકતંત્રના સંસ્કાર પણ છે, લોકતંત્રની જનનીના રૂપમાં ગૌરવશાળી પરંપરા પણ છે.”