You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે હું ઊંઘી જાવ છું ત્યારે મારો ફોન કોરોના વાઇરસ પર સંશોધન કરે છે
- લેેખક, જો ટાઈડી
- પદ, સાઈબર રિપોર્ટર, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
રાત્રે હૈના લૉસન-વેસ્ટનું રૂટિન સામાન્ય જીવન જીવતા લોકોની જેમ જ હોય છે. તેઓ આશરે રાત્રે 10:30 વાગે સૂવાની તૈયારી કરે છે.
પલંગ પર જતાં પહેલાં બ્રશ કરવું, આ દરમિયાન પોતાના ઇલેક્ટ્રિક બેડને ગરમ થવા માટે છોડી દેવું અને પોતાનું મોઢું ધોયા બાદ ઊંઘવા જવું.
ઊંઘતા પહેલાં તેઓ અમુક સમાચાર સાઇટ્સ જુએ છે. પોતાનું ઈન્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરે છે અને પછી પોતાનો ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાય છે.
આ બાદ જ્યારે 31 વર્ષનાં હૈના લંડન સ્થિત પોતાના ઘરે ઊંઘતાં હોય છે ત્યારે આશરે 8 કલાક માટે તેમનો ફોન બીજી એક ડ્યૂટીમાં હોય છે. જો અમુક વૈજ્ઞાનિકોને તેનો પાવર વાપરવા આપે છે, જેથી કોરોના વાઇરસ અંગેના સંશોધનમાં તેની મદદ કરી શકાય.
છેલ્લા 11 મહિનાથી તેમનો ફોન સંશોધનમાં સામેલ છે અને વૈજ્ઞાનિકો માટે ફોને અત્યાર સુધી આશરે 25,000 ગણતરીઓ કરી છે.
હૈના વિશ્વના એવા એક લાખ લોકોમાં સામેલ છે જેઓ ડ્રીમલેબ ઍપને સતત "સ્માર્ટ ફોન કમ્પ્યૂટિંગ ટાઇમ" ડૉનેટ કરે છે. એક સંશોધન દ્વારા આ ઍપ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે કોરોના વાઇરસના દર્દીઓને કયા પોષકતત્ત્વોથી ફાયદો થઈ શકે છે?
ખાસ કરીને તે લોકો જેમનામાં લાંબા સમય સુધી કોરોના વાઇરસનાં લક્ષણો જોવા મળ્યાં હોય.
હજુ સીધી એ વાતના કોઈ પુરાવા મળ્યા નથી કે અમુક વસ્તુ ખાવાથી કોરોના વાઇરસથી બચી શકાય કે અમુક વસ્તુઓ ખાવાથી કોરોના વાઇરસ થતો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ આ વિષય ઉપર સંશોધન કરવામાં આવી રહ્યું છે અને આ ઍપ એ બાબત જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સંશોધન ઇમ્પિરિયલ કૉલેજ ઑફ લંડન અને ધ વોડાફોન ફાઉન્ડેશન ચેરીટી દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ રીતે રાત્રે ફોન કરે છે કરોડો ગણતરી
સંશોધનના આયોજકો કહે છે કે સ્માર્ટફોન કમ્પ્યૂટર નેટવર્ક જે કાર્ય કરી રહ્યું છે અને જે ઝડપથી કરી રહ્યું છે, તે સામાન્ય કમ્પ્યૂટરથી કરવું મુશ્કેલ છે અને તેમાં ઘણો સમય લાગી શકે છે.
કહેવાય છે કે સ્માર્ટફોન કમ્પ્યૂટર નેટવર્ક જે ડાટાને ત્રણ મહિનામાં પ્રોસેસ કરે છે, તેને પ્રોસેસ કરવામાં સામાન્ય કમ્પ્યૂટરને 300 વર્ષ લાગશે.
હૈના કહે છે, "જ્યારે મારા પિતાને બલ્ડ કૅન્સરનું નિદાન થયું ત્યારે સૌથી પહેલાં મને આ ઍપ વિશે ખબર પડી. કૅન્સરની દવા શોધનાર પ્રોજેક્ટ, જે મારો પ્રથમ પ્રોજેક્ટ હતો, જે માટે મેં ફોનના સ્માર્ટફોન કમ્પ્યૂટિંગ ટાઇમનું દાન કર્યું હતું."
"પરતું જ્યારે કોરોના વાઇરસ રોગચાળો આવ્યો ત્યારે મેં પ્રોજેક્ટ બદવાનો નિર્ણય કર્યો. મને લાગ્યું કે કોઈ એવા પ્રોજેક્ટને પાવર આપવો જોઈએ જે કોવિડ સાથે સંકળાયેલા પ્રશ્નોનો જવાબ આપી શકે."
અઠવાડિયામાં હૈના માત્ર એક અથવા બે વખત ઍપને ચેક કરે છે. તેઓ કહે છે, જ્યારે ખબર પડે છે કે તમારી સાથે જોડાયેલી વસ્તુ કોઈ ખાસ કાર્યમાં સામેલ હોય ત્યારે ખરેખર સારી અનુભૂતિ થાય છે. સાચું કહું તો મારી પાસે એ જણાવવા માટે કોઈ કારણ નથી કે બીજા લોકો કેમ આ પ્રોજેક્ટમાં સામેલ થતાં નથી.
અત્યાર સુધી હૈના જેવા સ્વંયસેવકો પાંચ કરોડથી વધુ ગણતરીઓ કરવામાં વૈજ્ઞાનિકોની મદદ કરી છે. આ ઍપ સમગ્ર વિશ્વમાં હાજર છે અને યુકે, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, જર્મની, ઘાના, ગ્રીસ, સ્પેન અને પોર્ટુગાલ જેવા દેશોમાં અંદાજીત 17,000 યૂઝર્સ છે.
હૈનાના ઘરેથી અંદાજીત 900 માઇલ દૂર લિસ્બનમાં આવેલા એક ઘરમાં ઍન્જલિકા એન્જિવેડોનો ફોન પણ આવી ગણતરીઓ કરી રહ્યો છે. જ્યારે તેઓ સૂતાં હોય છે ત્યારે તેમનો ફોન નંબરોની રમત ઉકેલતો હોય છે.
ઍન્જલિકા કહે છે, "કોરોના સંક્રમણ દરમિયાન લ્યૂકિમિયાના કારણે મારી માતા મૃત્યુ પામ્યાં હતાં. કદાચ આ જ કારણ છે કે મેડિકલ સંબંધિત સમસ્યાઓને લઈને હું વધુ સંવેદનશીલ છું. મને લાગે છે કે જો કોરોના વાઇરસ સામેની લડતમાં હું કોઈ પણ પ્રકારે મદદરૂપ થઈ શકું તો મારે એ માટેના પ્રયાસ કરવા જોઈએ."
28 વર્ષનાં ઍન્જલિકા દરરોજ સવારે આ ઍપ જુએ છે. તેઓ જણાવે છે કે તેનાથી દિવસની શરૂઆત પૉઝિટિવ થાય છે.
બીબીસી સાથે વાત કરતાં તેઓ જણાવે છે, "હું દરરોજ સવારે જોવું છું કે મારા ફોને રાત્રે કેટલી ગણતરીઓ કરી. તેનાથી મને આનંદની અનુભૂતિ થાય છે. એવું લાગે છે કે મેં પણ કોઈક રીતે પોતાનું યોગદાન આપ્યું છે."
વૈજ્ઞાનિકોનો મત શું છે?
ઇમ્પિરિયલ કૉલેજ ઑફ લંડનમાં ફેકલ્ટી ઑફ મેડિસિનના પ્રોફેસર કિરિલ વેસેલકોવ કહે છે, "તેઓ એ બધા લોકોનો આભાર માને છે જેમણે તેમના સંશોધનને આગળ લઈ જવામાં મદદ કરી છે."
"કોરોના-એઆઈ માત્ર 55 ટકા પૂર્ણ થયો છે, પરતું જેટલી મદદ તેમને લોકોના સ્માર્ટફોનથી મળી છે, તેટલી ગણતરી તેમની યુનિવર્સિટીનાં સુપર કમ્પ્યૂટરો પણ કરી શક્યાં નથી."
કિરિલ જણાવે છે કે એક લાખ સ્માર્ટફોન સુપર કમ્પ્યૂટરોથી બે કે ત્રણ ગણા વધુ ઝડપી હોય છે.
પ્રોફેસર કિરિલનું રિસર્ચ પેપર હ્યુમન જેનૉમિક્સ જર્નલમાં છપાશે. આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ એ વાત પર ભાર મૂક્યો છે કે 50 ખાસ પરમાણુઓ મળી આવ્યા છે જેઓ સૈદ્ધાંતિક રીતે ઍન્ટી કોવિડ ગુણધર્મો ધરાવે છે.
વિશ્વના ખૂણે-ખૂણેથી વૈજ્ઞાનિકો આ સંશોધનમાં રસ લઈ રહ્યા છે કારણ કે સંશોધન માટે લોકોના સ્માર્ટફોનને કનેક્ટ કરવાની જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે એકદમ અલગ છે. કેટલાક વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે જો ખાદ્ય પદાર્થોથી મળતા ચોક્કસ પરમાણુઓ શોધી પણ કાઢવામાં આવ્યા હોય તો સંક્રમણ ઉપર સોશિયલ ડિસ્ટેનસિંગ, સ્વચ્છતા અને સંભવિત વૅક્સિન વધુ અસર કરશે.
આ સંશોધન માટે જે લોકો સ્વયંસેવક બન્યા છે અને એક ઍપ થકી પોતાનો ફોન વૈજ્ઞાનિકોને ગણતરી માટે સમર્પિત કરી રહ્યા છે, તેમને 'સ્વયંસેવક કમ્પ્યુટિંગ' કહેવામાં આવે છે જેની શરૂઆત 1990ના દાયકામાં થઈ હતી.
અત્યાર સુધી ઘણાં વૈજ્ઞાનિક સંશોધનો આ રીતે કરવામાં આવ્યાં છે. વૈજ્ઞાનિકો મુજબ આ ડેટા ભેગો કરવા માટે અને ગણતરી કરવા માટેની સૌથી સારી રીત છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો