You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 548 અને ઓમિક્રૉનના 19 નવા કેસ - TOP NEWS
ગુજરાતના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ અનુસાર રાજ્યમાં આજે કોરોનાના કુલ 548 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું છે અને 11 દર્દીઓ વૅન્ટિલેટર પર છે.
અખબારી યાદી અનુસાર, રાજ્યમાં કોરોના વાઇરસને લીધે અત્યાર સુધીમાં કુલ 10,116 દર્દીઓનાં મોત થયાં છે. તેમજ આજે 65 દર્દીઓ કોરોના વાઇરસના ચેપમાંથી મુક્ત થયા છે.
તો ઓમિક્રૉન વૅરિયન્ટના નવા 19 કેસ નોંધાયા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને આણંદમાં આ કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 1,94,376 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર 98.55 ટકા છે.
ભાજપને 1 કરોડ મત મળ્યા તો દારૂ 70 રૂપિયામાં આપીશું
આંધ્ર પ્રદેશમાં ભાજપના અધ્યક્ષ સોમુ વીરરાજુએ જનતાને વચન આપ્યું છે કે જો 2024ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 1 કરોડ મત મળશે તો પક્ષ દારૂની કિંમત 70 રૂપિયા કરી દેશે.
વિજયવાડામાં મંગળવારે યોજાયેલી એક રેલી દરમિયાન વીરરાજુએ કહ્યું કે રાજ્યમાં મોંધી કિંમતો પર 'ખરાબ દારૂ વેચવામાં આવી રહ્યો છે અને ચર્ચાસ્પદ બ્રાન્ડ મળતી જ નથી.'
તેમણે કહ્યું, "દારૂ 'સ્પેશિયલ સ્ટેટ', 'ગુડ ગવર્નન્સ'ના નામે વેચાઈ રહ્યો છે. બ્રાન્ડેડ દારૂ નથી વેચાઈ રહ્યો. તેમણે પૂર્ણ દારૂબંધીની વાત કરી છે પણ દારૂ બનાવી રહ્યા છે ને વેચી રહ્યા છે."
સમચાર સંસ્થા એએનાઈના મતે ભાજપના અધ્યક્ષે કહ્યું, "ભારતીય જનતા પક્ષને એક કરોડ મત આપો, અમે માત્ર 70 રૂપિયામાં દારૂ ઉપલબ્ધ કરાવીશું. જો અમારી પાસે રાજસ્વ રહેશે તો અમે દારૂ 50 રૂપિયામાં ઉપલબ્ધ કરાવીશું. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે રાજ્ય સરકાર પર ઝેરી દારૂ બનાવવાનો અને વેચવાનો આરોપ પણ લગાવ્યો.
મુખ્ય મંત્રીના કાર્યક્રમમાં ગેરહાજર રહેનારા 26 ભાજપ કોર્પોરેટરોને કારણદર્શક નોટિસ
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 217.25 કરોડનાં વિકાસકાર્યોના લોકાર્પણ સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, સુરત શહેર ભાજપ દ્વારા મુખ્ય મંત્રીના કાર્યક્રમમાં હાજર ન રહેનારા 26 કૉર્પોરેટરોને મંગળવારના રોજ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
ભાજપના જણાવ્યા પ્રમાણે, કુલ 93 કૉર્પોરેટરોમાંથી 55 કૉર્પોરેટરો કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. આ 55માંથી 29 કૉર્પોરેટરો તેમના વૉર્ડમાં પ્રશિક્ષણ શિબિર માટે રોકાયેલા હતા.
જે 26 કોર્પોરેટરોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. તેમને સાત દિવસમાં જવાબ આપવાની સૂચના અપાઈ છે.
હરિદ્વાર ધર્મસંસદ : વસીમ રિઝવીએ ધમકીઓને લઈને પોલીસ ફરિયાદ કરી
હરિદ્વારમાં 17થી 19 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી 'ધર્મસંસદ'માં ઉશ્કેરણીજનક ભાષણના મામલામાં એફઆઈઆર નોંધાયા બાદ ઉત્તર પ્રદેશ વકફ બૉર્ડના પૂર્વ ચૅરમૅન વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર નારાયણ ત્યાગીએ ક્રોસ એફઆઈઆર નોંધાવી છે.
ત્યાગી સહિત અનેક લોકોએ ઉત્તરાખંડ પોલીસ સમક્ષ ફરિયાદમાં કહ્યું છે કે તેમને 'મુસ્લિમ કટ્ટરપંથીઓ તરફથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.'
પોલીસ હાલમાં તેમની ફરિયાદ અંગે તપાસ કરશે. જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, મંગળવારે ઉત્તરાખંડ પોલીસે વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર નારાયણ ત્યાગી અને પૂજા શકુન પાંડે ઉર્ફે અન્નપૂર્ણા માને ઉશ્કેરણીજનક ભાષણ મામલે પૂછપરછમાં સામેલ થવા સમન્સ જારી કર્યા હતા.
અહેવાલ મુજબ, સ્ટેશન હાઉસ ઑફિસર રાકેશ કઠૈતે કહ્યું કે બન્નેને સમન્સ મોકલવામાં આવ્યા છે, પરંતુ ત્રીજા આક્ષેપિત અને હિન્દુ મહાસભાના મહાસચિવ ધર્મદાસ મહારાજને સમન્સ આપી શકાયા નથી. કારણ કે તેઓ હરિદ્વારસ્થિત પોતાના ઘર પર નહોતા.
મુસ્લિમ સમુદાય વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ ઉત્તરાખંડ પોલીસે સૌથી પહેલાં વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર ત્યાગી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસ દ્વારા તપાસ બાદ સંત ધર્મદાસ અને સાધ્વી અન્નપૂર્ણા વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો